Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજય સરકાર સતત ચિતિંત:પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી:

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયનું વહીવટીતંત્ર ખડેપગે : ૨૩ જિલ્લાના ૩૩૫૮ ગામોમાં ગાય ભેસ વર્ગના કુલ ૭૬,૧૫૪ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ પૈકી ૭૬,૧૫૪ અસરગ્રસ્ત પશુઓમાંથી ૫૪,૦૨૫ પશુઓ સાજા થયા:અન્ય ૧૯,૨૭૧ પશુઓની ફોલોઅપ સારવાર હેઠળ : પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલ

નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૩૧.૧૪ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયું: રાજયમાં ૧૪.૩૬ લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ : પશુપાલકોને તાત્કાલિક સારવાર હેતુસર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૯૬૨ કાર્યરત : પશુપાલન ખાતાના અધિકારીઓના મોનીટરીંગ સાથે SEOC–ગાંધીનગર ખાતે ૨૪ કલાક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત : ટાસ્ક ફોર્સ દ્વારા તમામ અસરગ્રસ્ત જિલ્લાઓનુ સતત મોનીટરીગ કરી સત્વરે સારવારની સુવિધા

રાજકોટ તા.૧૦ :પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના ૨૨જિલ્લાઓમાં પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજય સરકાર સતત ચિતિંત છે અને સમયસર પગલાંઓ લઈ રહી છે ત્યારે પશુપાલકો એ સહેજપણ ગભરાવાની જરૂર નથી માત્ર સતર્ક રહી સહયોગ આપવાની જરૂર છે.રાજયનું સમગ્ર વહીવટી તંત્ર સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા સુસજ્જ છે.

કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી એ આજે પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ મિડીયાને વિગતો આપતા કહ્યુ હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ લમ્પી રૌગ સંદર્ભે સતત મોનીટરીગ કરીને માર્ગદર્શન આપવામાં આવી રહયું છે.તેમની સૂચનાનુસાર રાજયનું સમગ્ર વહીવટીતંત્ર ખડેપગે તૈનાત છે એટલુંજ નહીં, પશુઓને સારવાર સહિતની તમામ સુવિધાઓ સત્વરે પુરી પાડવા સંબંધિતોને સૂચનાઓ પણ આપી દેવાઈ છે.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે, રાજપમાં હાલની સ્થિતિએ કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, વલસાડ વડોદરા, આણંદ અને ખેડા મળી કુલ ૨૩ જિલ્લાના ૩૩૫૮ ગામોમાં ગાય ભેસ વર્ગના કુલ ૭૬,૧૫૪ પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળ્યો છે અને તે પૈકી ૭૬,૧૫૪ અસરગ્રસ્ત પશુઓમાંથી ૫૪,૦૨૫ પશુઓ સાજા થયા છે અને અન્ય ૧૯,૨૭૧ પશુઓની ફોલોઅપ સારવાર હેઠળ છે. અત્યાર સુધી કુલ ૨,૮૫૮ પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયેલ હોવાનું નોંધાયું છે.નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૩૧.૧૪ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને ૧૪.૩૬ લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ છે.

તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધી નોધાયેલ કેસમાં સૌથી વધુ ૩૮,૮૯૧ (૫૨% ) કેસ કચ્છ જિલ્લામાં,બનાસકાંઠા જિલ્લામાં ૮,૧૮૬ (૧૧%) દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭,૪૪૭ (૧૦%), જામનગર જિલ્લામાં ૬,૦૪૭ (૮%)  અને રાજકોટ જિલ્લામાં ૪,૩૫૯ (૬%) નોધાયા છે. આજે સવારે ૮.૦૦ કલાકે ૨૩ જીલ્લાઓ પૈકી ૧૨ જિલ્લાઓમાં કોઈપણ નવા કેસ નોંધાયો નથી. નવા નોંધાયેલ ૭૪૪ કેસ પૈકી સૌથી વધુ કેસ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં-૩૦૧ રાજકોટ જિલ્લામાં ૧૦૫, ભાવનગર જિલ્લામાં ૭૮, જામનગર જિલ્લામાં ૭૪, બનાસકાંઠા જિલ્લામાં ૬૫, કચ્છ જિલ્લામાં ૬૪,  બોટાદ જિલ્લામાં ૨૭, પોરબંદર જિલ્લામાં ૨૨, ગીરસોમનાથ જિલ્લામાં ૩, ખેડા જિલ્લામાં ૩ અને મહેસાણા જિલ્લામાં ૨ કેસ નોધાયેલ છે. જયારે ૨૩ જીલ્લાઓ પૈકી માત્ર ૮ જિલ્લાઓમાં કુલ ૭૬ પશુ મરણ નોંધાયેલ છે, જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ - ૪૭,  ભાવનગર જિલ્લામાં ૧૧, પોરબંદર જિલ્લામાં ૭, બોટાદ જિલ્લામાં ૫, જામનગર જિલ્લામાં ૨, ગીર સોમનાથ જિલ્લામાં ૨, દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં ૧ અને મોરબી જિલ્લામાં ૧ પશુ મેત્યું થયું છે. બાકીના ૧૫ જિલ્લાઓમાં એક પણ પશુનું મૃત્યું થયું નથી.

મંત્રીશ્રી એ કહ્યું કે,જામનગર જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના જિલ્લાના ૦૨ તાલુકાઓમાં ૦૨ જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીશ્રી એ ભૂજ આઈસોલેશન સેન્ટરની નિરીક્ષણ-મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ વેકસીનેશન સેન્ટરની પણ મુલાકાત લઈને વેકસીન સ્ટોક, તેની સાચવણી વગેરેની માહિતી મેળવી હતી. ત્યારબાદ જિલ્લાના અધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને ડેરીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી હતી અને તેમાં મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના  પશુધનમાં આ લમ્પી સ્કિન ડીસીઝ વધુ ન ફેલાય તે માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો  વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. તેમણે મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી હતી.

રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમા સત્વરે સારવાર સહિતની સુવિધાઓ માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે.રાજયના પશુપાલન મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ અને મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર દ્રારા પણ રોજબરોજ સતત મોનીટરીંગ કરીને સમીક્ષા પણ કરવામાં આવે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર શ્રી નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને સાત સભ્યોની રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.આ ટાસ્ક ફોર્સ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં સારવાર સંદર્ભે સતત ચાંપતી નજર રાખીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રોગ વધુ પ્રસરે નહી

પશુપાલન મંત્રીશ્રીએ ઉમેર્યુ કે પશુપાલકોને આ રોગ સંદર્ભે સત્વરે માહિતી મળી રહે તે આશય થી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર (SEOC)  ખાતે રાજય કક્ષાનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે. આ કન્ટ્રોલ રૂમનું સુપરવિઝન ફીશરીઝ કમિશ્નર શ્રી નીતીન સાંગવાન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. એટલું જ નહી,પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૯૬૨ શરૂ કરાયો છે.જેના દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે તેમ તેમણે ઉમેર્યું છે

(5:57 pm IST)