Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

અમદાવાદના મણીનગર સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રિય દાસજીની તબિયત વતુ લથડતા મુંબઇથી તબીબોને બોલાવાયા

અમદાવાદ: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાનું સામે આવ્યું છે. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીના હૃદયમાં તકલીફ વધી છે. આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજીને ગઈકાલથી વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે. હાલ તેઓ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેમની સારવાર માટે મુંબઈથી નિષ્ણાત તબીબને બોલાવવામાં આવ્યા છે. સ્વામીને એક વખત પ્લાઝમા થેરાપી અપાઈ હતી. પરંતું તેમાં ધાર્યું પરિણામ મળ્યું નથી.

સ્વામીજીને 3 વાર હાર્ટએટેક આવ્યો છે

આચાર્ય પુરુષોતમપ્રિયદાસજી સ્વામી 78 વર્ષની ઉમર ધરાવે છે. ગાદી સંસ્થાનના 11 સંતોની સાથે તેઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને 3 વખત હાર્ટ એટેક આવી ચૂક્યો છે. પહેલો અટેક તેમને 1992માં, બીજો 1994 અને અંતિમ 1998માં આવ્યો હતો. અંતિમ હૃદય હુમલાની સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરવામાં આવી આવી હતી. તે સમયે તેમનું હૃદયની 40 ટકા બ્લોક થયું હતું અને 60 ટકા ચાલુ હતું, જેમાં 3 નસો કામ નહોતી કરતી, જેથી તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામી જલ્દીથી સાજા થાય તે માટે લાખો હરિભક્તો પ્રાર્થના કરી રહ્યાં છે.

તાજેતરમાં જ મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ૧૧ જેટલા સંતો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામી પણ સામેલ હતા. ૧૧ જેટલા સંતોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ સંતોના સ્વાસ્થ્ય સુધારા પર છે. પરંતુ 11 ભક્તોને કોરોના થતા બાકીના સંતોને મંદિરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. તેમજ તકેદારીના તમામ પગલા મંદિરમાં લેવામાં આવ્યા હતા.

(5:38 pm IST)