Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

અમદાવાદ: નરોડા શાળામાં રમી રહેલ વિદ્યાર્થીનું પિલ્લર સાથે અથડાતા કમકમાટીભર્યું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ

અમદાવાદ:નરોડા સરસ્વતી સ્કુલમાં ધો.૬માં અભ્યાસ કરતો વિદ્યાર્થી રિસેસમાં રમી રહ્યો હતો ત્યારે પિલ્લર સાથે તેનું માથુ અથડાતા બેભાન થઈ ગયો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તેને મૃત ઘોષિત કરાયો હતો. નરોડા પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ નરોડામાં દહેગામ રોડ પર રામદેવનગરમાં રહેતો મેહુલ જંયતીભાઈ મારવાડી (૧૧) નરોડામાં સરસ્વતી સરકારી સ્કુલમાં ધોરણ ૬માં અભ્યાસ કરતો હતો. ૯ જુલાઈના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે રિસેષ પડતા તે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્કુલના ગ્રાઉન્ડમાં રમી રહ્યો હતો. રમતા રમતા તેનું માથુ પિલ્લર સાથે ટકરાતા તે બેભાન થઈ ગયો હતો. સારવાર અર્થે તેને નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે ડોક્ટરે તેને તપાસીને મૃત ઘોષ્ત કર્યો હતો. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)