Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાજ્યના દરિયાકાંઠે વાયુ વાવાઝોડાનું સંકટ: વરસાદ અને વાવાઝોડા વેળાએ કેવી સાવચેતી રાખવી જોઈએ

જર્જરિત બિલ્ડીંગો કે મકાનો અથવા વૃક્ષ નીચે આશ્રય લેવો નહી, મકાનોની છત ઉપર રહેવાનું પણ ટાળવું

અમદાવાદ :ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. પરંતુ  થોડીક સાવચેતી રાખવી જરૂરી છે જે  વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે સુરક્ષિત રાખી શકે છે વાવાઝોડું અને વરસાદના સમયે  કેવી સાવચેતી રાખવી જોઇએ.

વાવાઝોડા અને ભારે વરસાદ જેવી કુદરતી આફતો વખતે સૌપ્રથમ તો વાવાઝોડાને લગતી ખોટી અફવા ફેલાવવી ન જોઇએ, વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય તે પહેલા જ ખોરાક-પાણી અને દવા સહિત જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ એકત્ર કરી રાખવી, જો ઘરના બારી-બારણા કે છત નબળા હોય તો તેનું મજબૂતીકરણ કરવું, વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરી લેવું જોઇએ, સરકાર તરફથી સ્થળાંતર કરવાની સૂચના મળે તો તેનું અવશ્ય પાલન કરવું, ઘર છોડતા પહેલા વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર અચૂક બંધ કરવા.

    વાવાઝોડા દરમ્યાન જર્જરિત બિલ્ડીંગો કે મકાનો અથવા વૃક્ષ નીચે આશ્રય લેવો નહી… બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું પણ ટાળવું… શક્ય હોય તો વાવાઝોડા દરમ્યાન ઘરમાં જ રહેવું જોઇએ… આ દરમ્યાન બેટરીથી ચાલતા રેડિયોનો ઉપયોગ કરી સતત જાણકારી મેળવતી રહેવી…

   વાવાઝોડું પસાર થઇ ગયા પછી સૌપ્રથમ તો ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક દવાખાને ખસેડવા જોઇએ… જો તમારું ઘર નુકસાનગ્રસ્ત થયું હોય તો તેની અંદર જવાનો પ્રયાસ કરવો નહી.જો ઘરમાં કોઇ પણ પ્રકારની નુકસાની ન થઇ હોય તો જ ઘરમાં રહેવું.

જો તમે ઘરમાં રહ્યા હોવ તો બહાર નીકળતા પહેલા વાવાઝોડું પસાર થઇ ચૂક્યું છે કે કેમ તેની ખાતરી કરી લેવી.બહાર નીકળવામાં કોઇ જોખમ કે ભય ન હોય તો જ ઘરની બહાર નીકળવું. સ્થાનિક અધિકારીઓની સૂચના મળે તો તેનું અચૂક પાલન કરવું જોઇએ

(12:09 am IST)