Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

નવસારી જીલ્લાના વાંસદા તાલુકાનું દોધા ગામ પ્રદુષણ મુકતઃ નર્સરી વ્યવસાય વિકસ્યો

સ્નેહલ  પટેલ-નવસારીઃ તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઠેર ઠેર થઇ ત્યારે નવસારી જિલ્લામાં એક ગામ એવું છે જે પ્રદુષણ મુકત ગામ તરીકે જાણીતું છે. જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા વાંસદા તાલુકાના એક ગામમાં ઘરે-ઘરે નર્ર્સરીનો ઉદ્યોગ જોવા મળે છે. જી હા તમને જાણીને નવાઇ લાગશે કે આ ગામના તમામ લોકો ભલે તે મોટા બંગલાવાળો હોય કે નાની ચાની લારી ચલાવતો હોય દરેક માણસ પણ નર્સરી ઉદ્યોગ થકી વધારાની આવક મેળવે છે.

નર્સરીતો અનેક જોઇ હશે પરંતુ આજે અમે તમને ગુજરાતનું એક એવું ગામ બતાવીએ જેમાં રહેનારા તમામ લોકો નર્સરી ઉદ્યોગથી સંકળાયેલા છે અને પોતાના કામકાજ સાથે  વધારાની આવક મેળવે છે. આ છે નવસારી જિલ્લાનું દોલધા ગામ. જયાં છેલ્લા ૧૦ વર્ષથી નર્સરી ઉદ્યોગ એવો તો જામ્યો છે કે આજે મોટા બંગલાવાળાથી માંડીને નાના ઝુંપડાવાળા અને ગામમાં ચાની લારી ચલાવનારા તમામ પોતાના વ્યવસાય સાથે વધારાની આવક મેળવવા માટે નાના મોટા નર્સરીનો ઉદ્યોગ ચાલુ કરી ફુલોના છોડ વેચવાનું કામ કરે છે.

આજે દોલધા ગામ ગુજરાત સહીત સમગ્ર ભારતમાં નર્સરી ઉદ્યોગ માટે જાણીતું છે. જેને કારણે દોલધા ગામનો વિકાસ થયો છે. ત્યારે આ ગામને પ્રદુષણ મુકત ગામ પણ કહી શકાય છે. આ ગામના અસંખ્ય લોકો ફુલ અને છોડ ખરીદવા જ નહી પરંતુ જોાવ માટે પણ આવતા હોય છે તેથી આ દોલધા ગામ પર્યટક સ્થળ તરીકે પણ વિકસી રહયું છે. એક શિક્ષકે શરૂ કરેલ આ કામ આજે ઘરે-ઘરે જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે દોલધા ગામનું નર્સરી વ્યવસાયનું વાર્ષિક ટર્ન ઓવર ૧પ૦ થી ર૦૦ કરોડ જેટલું છે. આ ઉદ્યોગ એટલો ફેલાયેલો છે કે ફેકટરી કે કારખાના ન હોવા છતા આ ગામમાં આજુબાજુના ગામના લોકો રોજીરોટી પુરી પાડે છે.

ચાની લારી ચલાવવાની સાથે નર્સરી ચલાવી નાની મોટી આવક મેળવનાર બાબુભાઇ પટેલ કહે છે કે અમે ફુલછોડમાંથી કટીંગ કરીને જાતે પ્લાન્ટ બનાવીને વેચીએ છીએ. વર્ષના અંતે ફુલછોડમાંથી અમને ત્રણેક લાખ જેટલી આવક થાય છે. આ વિશે અમર ફાર્મના માલીક નરેન્દ્ર ઠાકોરનું કહેવું છે કે ગુજરાત સહીત મહારાષ્ટ્ર અને દેશના અનેક રાજયો તેમજ વિદેશના મોટા શહેરોમાંથી લોકો અહી ફુલોના છોડ લેવા આવે છે. દોલધાની ખાસ વિશેષતા એ અહીયાની લોન છે. લોન માટે બીજાના ખેતર ગણોતથી રાખીને લોનની ખેતી કરે છે. દોલધા ગામ મોટા ગાર્ડનમાં લાગતી લોન માટે ખુબ જાણીતું છે. મોટા ઉદ્યોગ અને કોર્પોરેટ સેકટરથી લઇને ગાંધીનગરના સચિવાલય સુધી દોલધા ગામની લોન પથરાયેલી છે.

(5:37 pm IST)