Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભારતમાં દલિતો માટે ત્રણ કાયદા બન્યા, રક્ષણ મળશે કયારે?

નેશનલ ક્રાઇમ બ્યુરોના રિપોર્ટમાં દર વર્ષે ૪૫૦૦૦ થી વધુ ઉપર અત્યાચારઃ જૂલ્મો ઘટવાને બદલે વધવા લાગતા ચિંતા-ભયનો માહોલ : એક વ્યકિતને ફરિયાદી બનાવીને ૨૩ કરોડ લોકોને આરોપી બનાવી દેવાયાઃ એટ્રોસીટી કાયદાને નબળો કરવા-ચૂકાદાની થનારી ગંભીર અસરો વિશે અમરશીભાઇ મકવાણાએ કેન્દ્રીય ગૃહ સચિવને કરી રજૂઆત

રાજકોટ તા.૧૦: ભારતમાં એટ્રોસીટી એકટ નબળો કરવા મુદ્દે.સુપ્રિમ કોર્ટમાં ચૂકાદો અપાતા જ ઠેક-ઠેકાણે વિરોધ વંટોળ ઉઠયો હતો... જાન-માલને પણ મોટા પાયે નૂકશાન થવા પામ્યુ હતુ ત્યારે દલિતોમાં જ સંભળાઇ રહ્યુ છે કે, અત્યાર સુધીમાં ત્રણ કાયદા તો બન્યા... પણ રક્ષણ કયારે મળશે??

આ બાબતે એટ્રોસીટી કાયદો નબળો કરવા-ચૂકાદાની થનારી ગંભીર અસરો વિશે રાજકોટના પૂર્વ નગરસેવક અમરશીભાઇ મકવાણાએ કેન્દ્ર સરકારના ગૃહ સચિવને લેખિત રજુઆત કરી છે કે સુપ્રિમકોર્ટ ઓફ ઇન્ડીયામાં ક્રિમીનલ અપીલ નં.૪૧૬/૨૦૧૮ના મુળ અરજદાર ભાસ્કર ગાયકવાડની સામે એક દલિત વ્યકિતની ત્રણ ફકરાવાળી એફ.આઇ.આર.માં ઘણા બધા શબ્દોના કારણે ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં એક આરોપીને ફરીયાદી બનાવીને દેશના તમામ ૨૩ કરોડ દલિતોને આરોપી બનાવી દેવાયાએ કયાંનો ન્યાય??

આવો ચૂકાદો કદાચ દુનિયામાં પ્રથમ હશે એવા અણિયારા સવાલ સાથે એમ પણ ઉમેર્યુ છે કે, દેશમાં દલિત સમાજ માટે અત્યાર સુધી ત્રણ કાયદા બન્યા છે... ૧૯૫૫,૧૯૭૬ અને ૧૯૮૯માં બનેલા કાયદાઓથી દલિત સમાજનો બચાવ નથી થયો કોઇ રક્ષણ નથી મળ્યુ. ઉલ્ટાના જુલ્મ-અત્યાચારો વધ્યા છે.

તો નેશનલ ક્રાઇમ બ્યુરોના જણાવ્યા મુજબ દેશમાં સરેરાસ દર વર્ષે ૪૫૦૦૦ થી વધુ દલિતો ઉપર અત્યાચાર થાય છે અત્યાચારોથી પણ ખતરનાક બાબત ન્યાયાલયો દ્વારા અપાતી સજાનો દર જે ૩૯.૬ ટકા હતો તે ઘટીને હાલમાં ૧૬.૩ ટકા થઇ ગયો હોવાનો પણ સીધે-સીધો સણસણતો ગંભીર આક્ષેપ કરી દીધો હતો.

એવી જ રીતે ચુકાદાનો ઉલ્લેખ કરી જણાવ્યું છે કે  ખાસ બંધારણીય જોગવાઇ કલમ ૧૩૧-કમાં કેન્દ્રીય કાયદાની સંવૈધાનિક કાયદેસરતા અંગેના પ્રશ્નો સંબંધમાં ઉચ્ચત્તમ ન્યાયલયની સ્વતંત્ર  હકુમત બંધારણીય (તેતાળીસમાં સુધારો) અશ્વિનીયમ ૧૯૦૦ ની કલમ ૪ (૧) થી રદ કર્યો છે, એટલે કે કેન્દ્રીય કાયદાની જે કાયદાની જોગવાઇઓ છે તે દેશની સર્વોચ્ચ અદાલત કોઇપણ કેન્દ્રીય કાયદામાં ફેરફાર કરવા કે સુધારાઓ કરવા કે નાબુદ કરવાની સત્તા કે અધિકાર રહેતો નથી.

ઉપરાંત ચુકાદો બંધારણ અને લોકશાહી માટે ખતરારૂપ છે ત્યારે આવા પ્રકારના ચુકાદાથી ભારતની સંસદ, રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન જેવા સર્વોચ્ચ હોદ્દાની કિંમત રહેશે નહીં. ઉલ્ટાનું સર્વોચ્ચ અદાલનની નીચે બંધારણ-લોકશાહી-ભારતીય સંસદ-રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કામ કરતા બની જશે ને દેશની સર્વોચ્ચ મહાસતા સુપ્રિમકોર્ટ બની રહેશે તેવો પણ અણસાર આપ્યો છે.

વળી ગત ૧પ મી ઓગસ્ટે લાલ કિલલા ઉપરથી ૧રપ કરોડ નાગરિકોને રાષ્ટ્રીય પ્રવચનમાં વડાપ્રધાાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતુ, આપણા દેશમાં દલિતો ઉપર ખુબ જ અત્યાચાર થાય છે 'અગર ગોલી મારની હૈ, તો મુઝે મારો મેરે દલિત ભાઇઓ કો નહિ' આવા આકરા શબ્દોથી દેશના નાગરિકોને લાગણીશીલ અપીલ કરી હતી.

દેશના પ્રથમ નાગરીક અને વડાપ્રધાનથી વધુ મજબુત પુરાવો આપણી સર્વોચ્ચ અદાલતને નહિ દેખાયો હોય તો આ પુરાવાની પણ સર્વોચ્ચ અદાલતે અવગણના કરી છે જે ખરેખર દુઃખદ બાબત છે.

૨૩ કરોડને દોષીત બનાવવાના ચૂકાદાને 'ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રાખીશું

દલિતો ઉપરના અત્યાચારો કયાં હદ સુધી થાય છે? તેની દુનિયા નોંધ લેશે  :  'શ્રેષ્ઠ ન્યાય, શ્રેષ્ઠ બચાવ, શ્રેષ્ઠ રક્ષણ'ની વાતો માત્રને માત્ર પોકળ સાબિત

રાજકોટઃ ભારત દેશમાં એટ્રોસીટી કાયદાને નબળો પાડવા-ચૂકાદાની થનારી ગંભીર અસરો બાબતે પૂર્વનગર સેવક અમરશીભાઇ મકવાણાએ કેન્દ્રીય ગૃહ સચિવને રજુઆતમાં એમ પણ ઉમેર્યુ છે કે, ચુકાદાથી ૨ એુપ્રીલે સમગ્ર ભારત દેશના દલિતો દ્વારા બંધનુ એલાન અપાયેલું હતું, જેમાં દેશભરમાં હિંસા ફાટી નિકળતા અસંખ્ય દલિતોને ઇજાઓથી માંડીને મોટું નુકશાન થયું હતું. ૧૪ દલિત નિર્દોષ યુવાનોના મોત થયા, સાથે સાથ જાતિ-જાતિ પ્રત્યેના વેરઝેર વધ્યાં અને સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થા પણ કથળી હતી. ભયભીત માહોલથી સમગ્ર દલિત-સમાજ ફફડાટમાં મુકાઇ ગયો હતો.

વધુમાં ભારત દેશનો ન્યાયમાં 'શ્રેષ્ઠ ન્યાય', 'શ્રેષ્ઠ બચાવ', 'શ્રેષ્ઠ રક્ષણ'ની પોકળ વાતો ને ખુલ્લી પાડવા માટે એક આરોપીને ફરિયાદી બનાવીને સમગ્ર દેશના ૨૩ કરોડને દોષીત માનીને આરોપી બનાવવાના ચુકાદાને 'ગીનીશ બુક ઓફ થી વર્લ્ડ રેકોર્ડ'માં રાખવા માંગીએ છીએ. રેકોર્ડથી દુનિયામાં દલિત સમાજની ઉપર જુલ્મો, અત્યાચારો કયાં હદ સુધી થાય છે? તેની સમગ્ર વિશ્વ નોંધ લેશે.

સાથે સાથે અમરશીભાઇએ જણાવ્યુ છે કે, ચુકાદાથી સમગ્રદેશના દલિતોના જાન-માલ ને મોટુ નુકશાન થયું છે, તેના માટે ગંભીર રૂપે જવાબદારી કોની થાય? તમામ જવાબદારો સામે કાયદેસરની કાનુની કાર્યવાહી થાય એવું દેશનો સમગ્ર દલિત-સમાજ ઇચ્છી રહ્યો છે.

(12:56 pm IST)