Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

નવસારીના કુંભાર ફળીયા નજીક અજાણ્યા વાહનની હડફેટે કદાવર દીપડાનું મોત

નવસારી:નાં નાગધરાથી કુંભાર ફળિયા ગામ તરફ જતા રસ્તા પરથી પસાર થતાં કદાવર દિપડો અજાણ્યા વાહન અડફટે  આવતાં ઘટનાસ્થળ પર તેનુ ંલોહીલુહાણ હાલતમાં મોત થયું હતું. વનવિભાગ દ્વારા મૃત દિપડાનો કબ્જો લઇ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નવસારી તાલુકાનાં કુંભારફળિયા ગામનાં રસ્તા પરથી પસાર થતો એક કદાવર દિપડો અજાણ્યા વાહનની અડફટે આવતાં મોતને ભેટયો હતો. વહેલી સવારની આ ઘટના અંગે આજુબાજુના લોકોને ખબર પડતાં ટોળેટોળા દિપડાને જોવા માટે ધસી આવ્યા હતા. નાગધરાથી કુંભારફળિયા ગામ તરફ જવા રસ્તો ક્રોસ કરતી વખતે પુરપાટ જતાં અજાણ્યા વાહનચાલકે આ વન્યજીવને ટક્કર મારી હોવાનું સ્થાનિક રહીશોનું અનુમાન છે. બનાવની જાણ થતાં નવસારી વનવિભાગના અધિકારી- કર્મચારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃત દિપડાનો કબ્જો લઇ વનવિભાગનાં ઉન ખાતે આવેલા ડેપો પર લઇ ગયા હતા. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરીને તેને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. નવસારી વનવિભાગ દ્વારા આ બનાવ અંગે તપાસ હાથધરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ કુંભારીયા ગામે રાત્રિનાં સુમારે શિકાર કરવા આવેલો દિપડો જૂના જર્જરિત કૂવામાં ખાબક્યો હતો. જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નવસારીની પૂર્ણા નદી કાંઠા પર આવેલા ગામો સાતેમ, કુંભારફળિયા, કુરેલ, શાહુ, સરપોર- પારડી, નાગધરા, વચ્છરવાડ, મહુડી પુણી ગામમાં દિપડાની હાજરી અવારનવાર નોંધાતી રહી છે. તેવી જ રીતે ગણદેવીની અંબિકા નદી કાંઠાના ગામો આંતલિયા, નાંદરખા, ગણદેવા, એંધલ વિગેરે ગામોમાં દિપડા દેખાય છે. જાણવા મળતી માહિતી મુજબ વિતેલા ત્રણ વર્ષોમાં દિપડાના અકસ્માત મોતનો આ ચોથી ઘટના બની છે.

 

 

(5:20 pm IST)