Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વિધાનસભામાં નાગરિક કાયદાને ટેકો આપતો પ્રસ્તાવ પસાર કરાયો

કાયદાથી કોઇ ભારતીયની નાગરિકતા છીનવાતી નથી : સરકાર : વિપક્ષ ખોટી અફવાઓ ફેલાવી દેશવાસીઓને ગેરમાર્ગે દોરવાની તેમજ મત બેંકની રાજનીતિ બંધ કરે : સરકાર તરફથી કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો

અમદાવાદ,તા.૧૦ : ગુજરાત વિધાનસભામાં કેન્દ્ર સરકારના નાગરિક સુધારા કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ બહુમતિથી આજે પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે આ સંદર્ભમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ કાયદાથી કોઇ ભારતીયની નાગરિકતા છીનવાતી નથી. કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અફવાઓ ફેલાવી દેશવાદીઓને ગેરમાર્ગે દોરવાની અને મતબેંકની રાજનીતિ કરી રહી  છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સંસદમાં પસાર કરેલ નાગરિકતા સુધારા કાયદો –સીએએ પાકિસ્તાન, બાંગ્લાદેશઅને અફઘાનિસ્તાનમાં ૧૯૪૭ થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા લઘુમતીઓ જેવા કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓના અસ્તિત્વ માટે સંજીવની સમાન છે.

                 આ કાયદો તેમને નવું જીવન આપશે જેમાં આ ત્રણ દેશોમાંથી પોતાનું અસ્તિત્વ બચાવવા હિજરત કરીને તા.૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ભારતમાં આવેલા આ ૬ લઘુમતીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે.આ કાયદાથી કોઇ ધર્મના ભારતીયની નાગરિકતા છીનવાશે નહી. આ બાબતે મતોના રાજકારણ માટે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ખોટી અફવા ફેલાવીને દેશવાસીઓમાં અસલામતી અને અરાજકતા ફેલાવવાનું બંધ કરવું જોઇએ. મંત્રી જાડેજાએ  કહ્યું  હતું કે, કેન્દ્રિયગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં આ બિલ રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, આ કાયદાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વર્ષોથીયાતનાનોભોગ બનેલા લઘુમતીઓને નવું જીવન મળશે. આ કાયદાના અમલીકરણથી દેશમાં રહેતા કોઇપણ ધર્મના કોઇપણ નાગરિકની નાગરિકતા છીનવાવાની નથી. મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે,કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આપેલા વચનો ત્રિપલ તલાકમાંથી મુસ્લિમ મહિલાઓને મુક્તિ, કશ્મિર માટેની કલમ -૩૭૦ અને ૩૫-એને રદ્દ કરવાની, અયોધ્યામાં રામ મંદિર નિર્માણની યોજના જેવા અનેક વચનો દેશ હિતમાં પૂર્ણ કરી રહી છે જેના ઉપર હાલના વિપક્ષના મિત્રો હિન્દુ – મુસ્લિમના નામે ધર્મનું રાજકારણ કરી રહ્યા છે.

                       ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સીએએ અંગે કોંગ્રેસ લોકોમાં ખાસ કરીને  મુસ્લિમોમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહી છે. વાસ્તવમાં નવો નાગરિકતા કાયદો ભારતીય મુસ્લિમો અથવા દેશના કોઈ પણ નાગરિકના અધિકારોને આંચકી લેતો નથી. તેમણે જેમ પડકાર ફેંક્યો છે તે મુજબ શું કોંગ્રેસ જાહેર કરશે કે કાશ્મીરમાં ૩૭૦ની કલમ લાગુ કરાશે ?  શુંત્રણ તલાક વિરુદ્ધ બનેલો કાયદો રદ કરાશે ? અને શું બધા જ પાકિસ્તાનીઓને ભારતની નાગરિકતા આપશે ? કોંગ્રેસની "ભાગલા પાડો અને રાજ કરો"ની નીતિને કારણે જ એક વખત મા ભારતીના ટુકડા થઈ ગયા. આ જ કોંગ્રેસે ગેરકાયદેસર રીતે લાખો ઘુસણખોરોને ભારતમાં ઘુસવા દીધા અને તેમનો વોટબેંક તરીકે ઉપયોગ કર્યો. મંત્રી જાડેજાએ આ કાયદો લાવવાના સંદર્ભમાં પૂર્વ ભૂમિકા આપતા જણાવ્યું હતું કે,  વર્ષ - ૧૯૪૭માં ભારત દેશ આઝાદ તો થયો પણ કમનસી બે ધર્મના આધારે ભારત અને પાકિસ્તાન એમ દેશના બે ટુકડા થયા.  જેમાં ધર્મ આધારિત પાકિસ્તાનનો જન્મ થયો.પરંતુ ઈસ્લામ પાકિસ્તાનને એક રાખી ન શક્યુ અને ૧૯૭૧માં બાંગ્લાદેશનો જન્મ થયો. મંત્રીએ ગૃહમાં કાયદાનો વિરોધ કરી રહેલા વિપક્ષના મિત્રોને કહ્યું હતું કે, હું રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીએ તા. ૨૬મી સપ્ટેમ્બર૧૯૪૭ની પ્રાર્થના સભામાં કહેલા શબ્દો યાદ કરવા માગું છુ.

                   પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ સમુદાયના લોકો જો ત્યાં રહેવા ન માગતા હોય તો તેમને ભારતમાં આવવાનો સંપૂર્ણ અધિકાર છે. આ પરિસ્થિતિમાં તેમને રોજગારી આપવી અને તેમના જીવનને સામાન્ય બનાવવું ભારત સરકારનું કર્તવ્ય છે. રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે પણ આ ત્રણ દેશોના લઘુમતી સમુદાયના લોકોને નાગરિકતા આપતું બિલ લાવવા અપીલ કરી હતી. મંત્રીએ કહ્યું હતું કે, ૨૦૧૪ પહેલા કોંગ્રેસ પક્ષે જ દેશમાં સીએએ લાવવાની માગણી કરી હતી. આ બિલ ઉતાવળથી લાવવામાં આવ્યું તેવો પણ આક્ષેપ થઇ રહ્યો છે પરંતુ ૨૦૧૬ માં આ અંગે લોકસભામાં બિલ રજૂ કરાયું હતું જે બિલને સંયુક્ત સંસદીય સમિતીને વિચારણા માટે મોકલવામાં આવ્યું હતું. આ બિલ ઉપર વર્ષ ૨૦૧૬-૨૦૧૯ સુધી બિલ પર ચર્ચા થતી રહી છે. આ શરણાર્થી પીડિતોની વેદના પણ સરકારે સાંભળી છે. અંદાજે નવ હજાર રજૂઆતો પર ધ્યાન આપીને ત્યારબાદ જ વર્ષ -૨૦૧૯માં તેને કાયદાનું સ્વરૂપ અપાયું છે, એટલે કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ આરોપો તદ્દન ખોટા છે. મંત્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી યુ.પી.એ. સરકાર સત્તાવાર રીતે માનતી હતી કે પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચાર થઇ રહ્યા છે.

                  વર્ષ  ૨૦૦૫માં પાકિસ્તાન માનવ અધિકાર અહેવાલને ટાંકીને તત્કાલીન યુપીએ સરકારના વિદેશ રાજ્ય મંત્રી ઇ.અહમદે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં હિન્દુઓ પર હિંસા આચરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ – ૨૦૧૦માં લોકસભામાંતત્કાલીન વિદેશ મંત્રી એસએમ ક્રિષ્ણાએ પણ પાકિસ્તાનમાં હિન્દુઓ  પર અત્યાચાર થતા હોવાની  જાણકારી આપી હતી અને આજે એ જ કોંગ્રેસ મતોના રાજકારણ માટે  દેશમાં અરાજકતાનું વાતાવરણ ફેલાવી રહી છે. મંત્રી જાડેજાએ આ કાયદાની જરૂરીયાત અંગે જણાવતા કહ્યું હતું કે, ભાષાને આધારે બાંગ્લાદેશની રચના થઈ હતી ત્રીજા ભાગની હિંદુઓની વસ્તીમાંથી આજે માત્ર ૭.૮ ટકા વસ્તી રહી. મોટા ભાગના હિંદુઓ ત્યાં રહી ઈસ્લામ ધર્મ સ્વીકારવા મજબૂર બન્યા અથવા ભારતમાં શરણાર્થી તરીકે આવ્યા. અફઘાનિસ્તાનમાં શીખો અને બૌદ્ધ ધર્મીઓની મોટી સંખ્યા હતી તેના પણ આ જ હાલ થયા. 

(8:49 pm IST)