Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ:વિશ્વ ફલક પર ભારતીય પ્રતિભાને પુનઃપ્રસ્થાપિત કરવા સેમિનાર યોજાશે

વૈશ્વિક ધોરણે ભારતીય પ્રતિભાઓને તૈયાર કરવા શિક્ષણવિદો - ઉદ્યોગકારો વિશ્લેષણ અને ચર્ચા-વિચારણા કરશે

અમદાવાદ :ભારતના માનવબળનું વિશ્લેષણ કરી તેમની ક્ષમતામાં વધારો કરીને વૈશ્વિક વ્યવસાયિક સમુદાયને અનુરૂપ કૌશલ્યવાન માનવબળ તૈયાર કરવાના હેતુથી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત 'રિપોઝિશનિંગ ઇન્ડિયન ટેલેન્ટ પૂલ ઓન અ ગ્લોબલ ફ્રન્ટીઅર' વિષયક સેમિનાર તારીખ ૨૦ જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાશે.

   આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, પ્રોફેસર્સ, રીસર્ચ કરતા વિદ્યાર્થીઓ, કંપનીના  અધિકારીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સ, માર્ગદર્શકો અને વ્યવસાયિક સેવાકીય પેઢીઓ-સંસ્થાઓ ભાગ લેશે. તેમજ અર્થતંત્રમાં તેમના મહત્વને ધ્યાનમાં લઈને સ્થાનિક ઇકોસીસ્ટમ સુધારવા પર તથા તેને આંતરરાષ્ટ્રીય ઇકો-સિસ્ટમની સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

  આ સેમિનારમાં 'શોકેસિંગ ગ્લોબલ ટ્રેન્ડસેટર્સ' અને 'બ્રેકિંગ ધ ક્રિએટીંગ એન્ડ એફેસિશ્યન્સી બેરિયર્સ'  વિષયક બે સત્ર યોજાશે. પ્રથમ સત્રમાં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઈનોવેશન દ્વારા ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ્સ ક્ષેત્રની કંપનીઓને વિશ્વ ફલક પર ગ્લોબલ લીડર તરીકે પ્રસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેપીએમજીના નારાયણ રામાસ્વામી સત્રનું સંચાલન કરશે, જેમાં ઈસરોના પી. કુન્શીક્રિષ્ણન, કોટક મહિન્દ્રાના  વી. સ્વામિનાથન, પ્રતિભાના પ્રમોદ ચૌધરી,  ઈઈન્ફોચીપ્સના પ્રતુલ શ્રોફ, સંગીતિનાસીવાન મેનન પણ પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, સેમિનારના બીજા સત્રનું સંચાલન ગ્રામીણ વિકાસ વિભાગના કમિશનર શ્રીમતી મોના ખંધાર દ્વારા કરવામાં આવશે, જેમાં એમઆઈટીના પ્રોફેસર રાજેશ નાયર, મેકક્વેરીના સુરેશ ગોયલ, વીઈટીઇએના (VETEA)  અહમદ સોકરનો, માઈકાના ડૉ. શૈલેન્દ્ર રાજ મહેતા વિચારોનું આદાન-પ્રદાન કરશે.

   પત્રકાર પરિષદને સંબોધતાં શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, આ સેમિનારમાં આંતરરાષ્ટ્રીય માર્કેટ સબંધિત તકોનું વિશ્લેષણ કરી રાજ્યના ઉધોગોને અનુરૂપ માનવબળ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ફેશન ટેકનોલોજી - ગાંધીનગર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી - ગાંધીનગર, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, એન્ટરપ્રિનોરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયા વેગેરે જેવી સંસ્થાઓ મહત્વની બની રહેશે. સાથે જ માર્કેટની ઇકો સિસ્ટમ સબંધિત સમસ્યાઓ ઓળખી તેને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

   સેમિનારના ઉદ્દેશ વિશે ગ્રામીણ વિકાસ વિભાગના કમિશનર શ્રીમતી મોના ખંધારએ જણાવ્યું હતું કે “ભારતને ઓછી મધ્યમ આવકના દેશ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જો કે, ભારતે સેવા ક્ષેત્રે વિકાસનો માર્ગ કંડાર્યો છે જેમાં સર્વિસ સેક્ટર અને સ્ટાર્ટઅપ્સમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે. આ સેમિનારનું લક્ષ્ય માનવ સંસાધનોને શ્રેષ્ઠ બનાવીને કાર્યક્ષમ બનાવવાનું તેમજ ભારતને ઉચ્ચ-મધ્યમ આવક શ્રેણીમાં સમાવિષ્ટ કરવાનો છે.

    છેલ્લા દશક દરમિયાન આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે ઘણા સુધારા આવ્યા છે તથા વિકસતા અર્થતંત્રમાં વ્યાપારની તકોમાં પણ વધારો થયો છે. છેલ્લા ૨૫ વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે ભારતના આર્થિક કદમાં નોંધપાત્ર વધારો થયો છે.

  ભારતની બહુ-આયામી વિસ્તરણ રણનીતિને સહયોગી રાષ્ટ્રો અને સબંધિત પક્ષો દ્વારા આવકારવામાં આવી છે. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર-ઉધોગની સ્પર્ધામાં ટકી રહેવા કુશળતા ધરાવતા માનવબળની જરૂર છે. જીડીપી અને રોજગારને સીધો સબંધ છે તેથી યોગ્યતા ધરાવતું અને કુશળ માનવબળ દેશના અર્થતંત્ર માટે ખુબ મહત્વનું બની રહે છે. લાંબા સમય સુધીવ્યાપાર-ઉધોગોને આગળ ધપાવવા માટે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની જરૂરીયાતોને પરિપૂર્ણ કરવા માટે ઇનોવેશન અને ક્રિએટિવીટીની જરૂર છે.

(11:12 pm IST)