Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

૨૩૦ મુસ્‍લિમ ઉમેદવારો ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાઃ માત્ર ૧નો વિજય થયો

જ્‍યારે આ સિવાય BSP અને અપક્ષ ઉમેદવારોની સંખ્‍યા પણ ઘણી મોટી હતી પરંતુ તેમાંથી માત્ર ૧ મુસ્‍લિમ ઉમેદવાર પોતાની જીતને સફળ બનાવી શકયા છે

 નવી દિલ્‍હી, તા.૯: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયે રાજકીય પાર્ટીઓ દ્વારા જે અનુમાનનો અને દાવા કરવામાં આવી રહ્યા હતા તેની પરિણામ આવતાની સાથે સ્‍પષ્ટતા થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી હતી તેના કારણે ત્રિપાંખિયો જંગ કંઈક નવાજૂની કરશે તેવી સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી રહી હતી. આ સિવાય AIMIMને અમદાવાદની કોર્પોરેશનની ચૂંટણીમાં સફળતા મળ્‍યા બાદ વિધાનસભામાં કંઈક ખાસ કરી શકશે તેવી આશા હતી પરંતુ ધાર્યું પરિણામ મેળવવામાં પાર્ટી નિષ્‍ફળ સાબિત થઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૦થી વધારે મુસ્‍લિમ ઉમેદવારો ઉભા હતા જેમાંથી માત્ર એકની જીત થઈ છે.

૧૯૮૦થી આ નંબરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસે ખામ (KHAM - ક્ષત્રીય, હરિજન, આદિવાસી, મુસ્‍લિમ) ફોર્મ્‍યુલાના આધારે ૧૨ મુસ્‍લિમ ઉમેદવારોને વિધાનસભામાં મોકલવામાં સફળતા હાંસલ કરી હતી. જ્‍યારે પાછલી ચૂંટણીમાં મોહમ્‍મદ જાવેદ પિરઝાદા, ગયાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા કોંગ્રેસની ટિકિટ પર જીત્‍યા હતા. આ વખતે પાર્ટીએ ૬ મુસ્‍લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી માત્ર ઈમરાન ખેડાવાલા જ જીતવામાં સફળ થયા છે. ઈમરાન ખેડાવાલાએ AIMIM અને BJPના કાર્યકર્તાઓને જબરજસ્‍ત ટક્કર આપી છે.આ સિવાય કોંગ્રેસના જે બે ધારાસભ્‍યો હતા તેમાં ગ્‍યાસુદ્દીન શેખ દરિયાપુરથી હારી ગયા છે, જ્‍યાં ૪૬% મુસ્‍લિમ વોટશેર છે, અહીંથી કૌશિક જૈનનો વિજય થયો છે. આ સિવાય અન્‍ય કોંગ્રેસના ધારાસભ્‍ય મોહમ્‍મદ જાવેદ પિરઝાદાએ પણ પોતાની મોરબીની વાંકાનેરની બેઠક ગુમાવી પડી છે. પિરઝાદાનો પરિવાર આ બેઠક પર બે પેઢીથી જીતી રહ્યો હતો.

આમ આદમી પાર્ટીએ ત્રણ મુસ્‍લિમ ઉમેદવારો ઉતાર્યા હતા જેઓ પણ હારી ગયા છે, આ સિવાય BSPએ પણ ઘણાં મુસ્‍લિમ ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ તેઓ જીતવામાં સફળ થયા નથી.

(3:49 pm IST)