Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

મહિલા મોરચા અધિવેશનનું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉદ્ઘાટન કરશે

ભાજપ મહિલા મોરચાનું ૨૧મીએ અધિવેશન : ભાજપ મહિલા મોરચાના અધિવેશનના સમાપનના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે : કમલમ ખાતે ખાસ બેઠકમાં ચર્ચા

અમદાવાદ,તા.૯ : ભાજપા મહિલા મોરચાના ૨૧,૨૨ ડિસેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી અને વ્યવસ્થાના આયોજન માટે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના વડપણ હેઠળ શ્રી કમલમ્ ખાતે આજરોજ મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી માટે બનાવવામાં આવેલા ૨૫ જેટલા વિભાગોના મુખ્ય વ્યવસ્થા ઇન્ચાર્જો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં વિભાગવાર વ્યવસ્થા સંદર્ભે રિપોટલ્લગ હાથ ધરાયુ હતુ. અડાલજ પાસે આવેલા ત્રિમંદિર પરિસરમાં યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનની આયોજન બેઠકને સંબોધતા ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપાના કર્મઠ અને રાષ્ટ્રભક્ત કાર્યકરો ભાગ્યશાળી છે કે ભાજપાના સ્થાપનાકાળથી અત્યાર સુધીના સૌથી મોટા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનને યોજવાની તક મળી છે. ગુજરાતના કાર્યકરો રાષ્ટ્રીય અધિવેશનનું સુચારુ અને સફળ, યશસ્વી અને રાષ્ટ્રને પથદર્શક આયોજન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યુ હતુ કે, ભાજપાના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપાની સંગઠનની તાકાત, ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાકાત ઓછી છે તેવો તમિલનાડુ, કેરળ, આંદામાન-નિકોબાર જેવા રાજ્યો સહિત રાષ્ટ્રભરમાંથી અપેક્ષિત હજારો મહિલા કાર્યકરો ઉપસ્થિત રહેશે. ગુજરાતની ભૂમિ પર ''લઘુ ભારત'' આ અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન ગુજરાતના સપૂત અને રાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરશે. રાષ્ટ્રીય અધિવેશનના સમાપન પ્રસંગે ગુજરાતના સપૂત, રાષ્ટ્રભક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. ભાજપાના મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટેનો મહત્વનો આધારસ્થંભ બનશે. રાષ્ટ્રીય સ્તરે નારીશક્તિ જાગરણનો રણટંકાર બનશે. રાષ્ટ્રના વિકાસમાં નારીશક્તિની ભાગીદારી વધે તે માટે આત્મવિશ્વાસ નિર્માણ કરનાર મહત્વનું સ્થાન બની રહેશે. ભાજપા મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા વિજ્યા રાહટકરે બેઠકને સંબોધતા જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ટીમે અને સંગઠને રાષ્ટ્રીય અધિવેશનને એક અવસર તરીકે ઉપાડી લઇ ઝીણવટભર્યું વ્યવસ્થાપન ઉભું કરવાના પ્રયાસો કર્યા છે તે અભિનંદનીય છે. ગુજરાતના આંગણે રાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત રહેનાર નારીશક્તિ જીવનનો એક આગવો વિશ્વાસ લઇને જશે તેવો આશાવાદ તેઓશ્રીએ વ્યક્ત કર્યો હતો.

(9:28 pm IST)