Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અમદાવાદમાં ચાર યુવતીઓએ નકલી પોલીસ બની મહિલાને ધમકાવી

'દેહ વેપાર કરાવે છે, પોલીસ સ્ટેશન લઈ જવી પડશે' કહી ૩૦ હજાર આપવા ધમકી

અમદાવાદ, તા.૯: ખાડીયામાં એક ૫૦ વર્ષીય મહિલા પતિના મૃત્યુ બાદ એકલી રહે છે. તેના બે પુત્રોએ દીક્ષા લીધી છે, જયારે એક પુત્રી લગ્ન કરી રાજકોટ ખાતે રહે છે. પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહ માટે આ મહિલા દેહવેપાર કરતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેણે આ કામ છોડી દીધું હોવા છતાં પોલીસની ઓળખ આપી ચાર યુવતી તેના ઘરે ઘૂસી ગઈ હતી. જે બાદમાં મહિલાને ધમકાવી હતી અને દેહવેપાર કરાવતી હોવાથી ૩૦ હજાર રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી. ચારેય યુવતીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.

શહેરના ખાડીમાં આવેલી એક પોળમાં રહેતી ૫૦ વર્ષીય મહિલા તેની નણંદ સાથે રહે છે. તેના પતિ ૧૪ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. આ મહિલાને સંતાનમાં ૨૫ વર્ષની એક પુત્રી કે જેના લગ્ન રાજકોટ ખાતે થયા છે અને બીજા બે જુડવા પુત્રો છે. આ બંને પુત્રોએ દીક્ષા લઈ મુનિ બની ગયા છે. હાલમાં બંને સુરત ખાતે આશ્રમમાં રહે છે. ખાડિયામાં રહેતી ૫૦ વર્ષીય મહિલાને પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં હોવાથી તેણી ઘરે દેહવેપાર કરતી હતી. જોકે, હાલ આ મહિલાએ દેહવ્યાપાર બંધ કરી દીધો છે. જયારે દેહવેપાર કરાવતી હતી ત્યારે તેને ત્યાં પ્રીતિ જાદવ નામની એક યુવતી પણ આવતી હતી અને તે પણ દેહવેપાર કરતી હતી.

ગઈકાલે આ ૫૦ વર્ષીય મહિલા તેના દ્યરે હતી ત્યારે પ્રીતિ જાદવ નામની યુવતી અન્ય ત્રણ યુવતીઓ સાથે આવી હતી. બાદમાં આ મહિલાના ઘરનું બારણું ખખડાવી તેને બહાર બોલાવી હતી. મહિલાના ઘરે આવેલી ચાર યુવતીઓ સાદા ડ્રેસમાં હતી અને મોઢા પર દુપટ્ટા તથા માસ્ક પહેરીને આવી હતી. પ્રીતિ નામની યુવતીએ ૫૦ વર્ષીય મહિલાને પોતે તથા તેની સાથે આવેલી તમામ યુવતીઓ પોલીસ હોવાનું કહી મહિલા પર રોફ જમાવ્યો હતો.

આ ચારેય લોકોએ મહિલાને કહ્યું કે, તું ઘરે દેહવેપાર કરે છે અને તારા વિરુદ્ઘમાં અરજી આવેલી છે. જેથી આ મહિલા ગભરાઈ ગઈ હતી અને તેણીએ જણાવ્યું કે તેણી પહેલા આવું કરાવતી હતી. હાલમાં છેલ્લા ઘણા સમયથી આ ધંધો કરતી નથી. જેથી આ ચાર છોકરીઓએ સમાધાન કરવું હોય તો ૩૦ હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી મહિલાને પોલીસ સ્ટેશન લઇ જઇ મારવાની ધમકી આપી હતી.

(2:59 pm IST)