Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જીટીયુજી મીટીંગમાં વિદ્યાર્થી હિતલક્ષી મહત્વના નિર્ણયો

ગુણવત્તા સુધારવા એકેડમીક ઓડીટ કરાશે : પ્રિન્સીપાલ અને ડાયરેકટરની જગ્યા ન ભરનાર સંસ્થાઓ પર આકરા પગલાના નિર્દેશોઃ વિદ્યાર્થીઓ માટે નવા કોર્ષ શરૂ કરાશે

અમદાવાદ તા. ૯ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે  એકેડમિક કાઉન્સિલની ઓનલાઈ અને ઓફલાઇન મોડમાં મીટીંગ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ માટેના વિવિધ હિતલક્ષી નિર્ણયોને પસાર કરીને આગામી સમયમાં અમલમાં મૂકવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ મીટીંગમાં જીટીયુ દ્વારા કરવામાં આવેલ તમામ પ્રવૃત્તિઓ અને સિદ્ઘિઓને એકેડમિક કાઉન્સિલ સમક્ષ પ્રોજેકટ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે જીટીયુએ મેળવેલ એરીયા રેન્કિંગ, કયુએસ રેન્કિંગ તેમજ રોબોકોન સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ જીટીયુની રોબોટીકસ ટીમે મેળવેલ દ્વિતીય સ્થાનને વધાવી લેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ૬૦૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓની સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત ઓનલાઈન પરીક્ષા લઈને જીટીયુ, ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરીકે ખરાં અર્થમાં ચરિતાર્થ થઈ છે. એકેડમિક કાઉન્સિલના તમામ સભ્યો દ્વારા જીટીયુના  કુલપતિશ્રી પ્રો. ડા. નવીન શેઠને આ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ન્યૂ એજયુકેશન પોલીસીને એકેડમિક કાઉન્સિલના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે સ્વીકારીને તેના જુદા જુદા વર્ટિકલ પૈકી ક્રેડિટ ટ્રાન્સફર, ક્રેડિટ બેન્ક અને મલ્ટીપલ એન્ટ્રી અને એકિઝટની રૂપરેખા તૈયાર કરવા માટે જીટીયુ ખાતે ટાસ્ક ફોર્સની રચના કરીને ૩૦ દિવસમાં ઠરાવ આધારિત રિપોર્ટ રજૂ કરવો. તૈયાર કરાયેલ રિપોર્ટને આગામી દિવસોમાં રાજય સરકાર , એઆઇસીટીઇ અને યુજીસીને પણ મોકલવામાં આવશે.

ન્યૂ એજયુકેશન પોલીસી- ૨૦૨૦ના સૂચન પ્રમાણે જીટીયુ ખાતે સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજી શરૂ કરવા અને ચાલુ વર્ષથી જ એમ.ફિલ કોર્સ બંધ કરવાનો સૈદ્ઘાંતિક સ્વિકાર પણ કરવામાં આવ્યો હતો.

નિયત સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરેલ વિદ્યાર્થીઓની વધુ એક તક આપવાની રજૂઆતને સ્વીકારીને યુજીસીના માર્ગદર્શન પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જીટીયુની પીજી સ્કૂલ અને સંલગ્ન સંસ્થાઓમાં ટીચીંગ અને લર્નિંગની ગુણવત્તા સુધારવાના સંદર્ભે દરેક સંસ્થામાં એકેડમીક ઓડિટ કરવાનું નક્કી કરાયું છે. તેમજ સંલગ્ન તમામ સંસ્થાઓએ એબીએ અને નેક એક્રિડેશન મેળવવા માટેના પૂરતા પ્રયત્નો કરવા નિર્દેશો અપાયા હતા.

જે સંસ્થામાં પ્રિન્સિપાલ / ડાયરેકટરની જગ્યા ખાલી હોય તો, પ્રથમ વર્ષે ૨૫%, બીજા વર્ષે પણ ન ભરાય તો ૫૦% સિટ ઘટાડવામાં આવશે. આ ઉપરાંત સતત ૩ જા વર્ષે પણ પ્રિન્સિપલ/ડાયરેકટરની જગ્યા ખાલી રહે તો , જે –તે સંસ્થાને નો એડમિશન ઝોનમાં મૂકવા માટે નક્કી કરાયું છે.

ડીપ્લોમાના જે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને પણ ભવિષ્યમાં રોજગારીની તકો મળી રહે તે હેતુસર, તેમના અભ્યાસ આધારિત સ્કીલ સર્ટીફીકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જીટીયુ ગ્રેજયુએટ સ્કૂલ ઓફ ફાર્મસી ખાતે આગામી સમયમાં સર્ટીફીકેટ કોર્સ ઈન ફર્મા ક્રોવિઝલન્સ એન્ડ મેડિકલ રાઇટીંગ અને સર્ટીફીકેટ કોર્સ ઈન સોફેસ્ટીકેટેડ એનાલીટીકલ ઇન્સ્ટ્રુમેન્ટ હેન્ડલીંગ તથા જીટીયુ જીસેટ ખાતે પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન ડેટા સાયન્સનો કોર્સ શરૂ કરાશે.

તેમજ આગામી દિવસોમાં સંલગ્ન સંસ્થાઓમાં એમબીએમાં ફાઈનાન્સ મેનેજેન્ટ, ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, આર્ટીફિશિયલ ઈન્ટીલિજન્સ એન્ડ ડેટા સાયન્સ, આર્ટીફિશિયલ ઈન્ટીલિજન્સ એન્ડ મશીન લર્નિંગ તથા ગ્રાફિકસ અને મલ્ટીમીડિયાના નવા કોસ શરૂ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈમર્જિન એરિયાના કોર્સ અને માઇનર ડિગ્રી મેળવવા અંગેની માર્ગદર્શિકા પણ રજૂ કરવામાં આવી હતી.

(12:56 pm IST)