Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

તાંત્રિક પ્રશાંતને દુષ્કર્મ કેસમાં કોર્ટ દ્વારા બે દિનના રિમાન્ડ

બગલામુખીનો ઢોંગી મહંતના પાપનો ઘડો ભરાઈ ગયો : પ્રશાંત ઉપાધ્યાય યુવતીઓને મસાજ કરવા માટે બોલાવતો અને પછી દુષ્કર્મ આચરતો હતો : પોલીસની વધુ તપાસ

વડોદરા, તા. ૮ : બગલામુખીનો ઢોંગી મહંત અને પોતાને તાંત્રિક ગણાવતા પ્રશાંત ઉપાધ્યાયના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. રોજેરોજ લંપટ પ્રશાંતના કાળા કારનામા બહાર આવી રહ્યા છે, ત્યારે આજે દુષ્કર્મના ગુનામાં પોલીસ દ્વારા પ્રશાંતને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે પ્રશાંતના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બગલામુખીના પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપધ્યાયનો એક સમય એવો હતો કે, જ્યારે શહેરની મોટીમોટી હસ્તીઓ તેના આશીર્વાદ લેવા માટે પડાપડી કરતી હતી પરંતુ આજે એજ પ્રશાંતને જુઓ તો ઓળખી ન શકાય તેવી સ્થિતિમાં તે મુકાયો છે. જેની પાછળનું મુખ્ય કારણ તેના કાળા કારનામા છે. પ્રશાંત પોતાને મહાન તાંત્રિક ગણાવી લોકોના અંધવિશ્વાસનો ગેરલાભ ઉઠાવતો હતો. તંત્ર મંત્ર તેમજ અતિ લાભદાયી યંત્રોની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી આચારતો હતો. એટલું જ નહીં પોતાની જ સેવિકા સાથે કરેલા દુષ્કર્મના ગુનાએ આખરે તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો.

પ્રશાંત ઉપાધ્યાય છેતરપીંડી તેમજ દુષ્કર્મના ગુનામાં સેન્ટ્રલ જેલની સજા કાપી રહ્યો હતો. દરમિયાન થોડા દિવસ અગાઉ તેના વિરુદ્ધ પોતાના સેવકની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે જેલમાંથી પ્રશાંતનો કબજો મેળવ્યો હતો. આજે પ્રશાંતને પોલિસે જજ સમક્ષ રજુ કરતા કોર્ટે પ્રશાંતના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મહત્વનું છે કે પ્રશાંત પોતે નિર્દોષ છે અને તેને કોઈ જ ગુનો ન કર્યાનું રટણ કરી રહ્યો છે. ત્યારે રિમાન્ડ દરમિયાન પ્રશાંતની વધુ પાપલીલા બહાર આવશે કે નઈ એતો આવનારો સમયજ બતાવશે.

(9:40 pm IST)