Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

રાજ્યમાં “નલ સે જલ”નો સંકલ્પ:.પૈસાના વાંકે કોઈ કામ રાજ્ય સરકાર અટકવા દેશે નહિ. : વિજયભાઈ રૂપાણી

અટલ સરોવર ડેવલપમેન્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ઓવરબ્રીજ તથા આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ ખાતે અન્ડરબ્રિજ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામનાર આવાસોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ :મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલપમેન્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ઓવરબ્રીજ તથા આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ ખાતે અન્ડરબ્રીજનુ ખાતમુહૂર્ત ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામનાર EWS-1 અને EWS-2ના કુલ ૪૯૬ આવાસોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા ઉપસ્થિત રહેલ હતા.

આ પ્રસંગે, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જીલ્લા કલેકટર રૈમ્યા મોહન, ડીવીઝનલ મેનેજર પશ્ચિમ રેલ્વે પરમેશ્વર ફંકવાલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડૉ. જૈમનભાઈ ઉપાધ્યાય, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટરશ્રીઓ, ભાજપના અગ્રણીશ્રીઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેલ.હતા

આ પ્રસંગે રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌપ્રથમ સૌને નવા વર્ષની શુભકામના પાઠવતા વધુમાં કહ્યું હતું કે,આશરે રૂ.૩૦૦ કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. એક એવો સમય હતો કે રાજકોટ મહાનગરપાલિકાનુ આખું બજેટ રૂ.૩૦૦ કરોડનું હતું ભૂતકાળમાં રાજકોટ શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા એક પણ ફદીયુ આપવામાં આવતું નહિ. રાજકોટની પાણીની કટોકટી વખતે ભાદરની લાઈન નાખવા માટે પણ તત્કાલીન કોંગ્રેસ સરકારે એકપણ પૈસો આપેલ નહિ. ત્યારે કોર્પોરેશનએ હુડકોની લોન લઈ આ કામગીરી કરેલ હતી. રોજીરોટી માટે ગામડાઓમાંથી લોકો શહેર તરફ આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આગળનો સમય ધ્યાનમાં રાખી કામ કરી રહી છે. સૌની યોજના હેઠળ આજીને નર્મદા સાથે જોડી પાણીની સમસ્યાને હલ કરેલ છે. રાજ્ય સરકાર “નલ સે જલ”નો સંકલ્પ કરી ૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં શુધ્ધ પાણી મળે તે દિશામા આગળ વધી રહેલ છે. નળ દ્વારા ફિલ્ટર કરેલું શુધ્ધ પાણી મળવાથી લોકોને પાણીજન્ય રોગો નહિ થાય.

વિશેષમાં મુખ્યમંત્રીએ જણાવેલ કે, આપણે નાના હતા ત્યારે અને આજે મોટા થયા ત્યાં સુધી શહેરમાં એક જ રેસકોર્ષ હતું પરંતુ હવે શહેરને બીજું રેસકોર્ષ મળશે. આ ઉપરાંત ૧૦૦ વર્ષ પહેલા રાંદરડા લાલપરી તળાવ બનેલા અને હવે અટલ સરોવરના નવા તળાવનું નિર્માણ થયું. આમ્રપાલી ફાટક દિવસમાં ૧૮ વખત ટ્રેન નીકળે છે. ફાટક બંધ થાય ત્યારે ઘણી વખત ટ્રાફિકમાં ૧૦૮ કે એમ્બ્યુલન્સ ફસાતી હોય છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે આમ્રપાલી ફાટક અન્ડરબ્રીજ તેમજ ટ્રાફિક નિવારણ માટે હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ બ્રીજ બનાવવાનુ ખાતમુહૂર્ત કરેલ છે. હજુ આગામી સમયમાં નવા પાંચ ઓવરબ્રીજ બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ. પૈસાના વાંકે કોઈ કામ રાજ્ય સરકાર અટકવા દેશે નહિ. રાજ્યની તમામ મહાનગરોમાં લોકોને પગથીયા ઘસવા ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે ઓનલાઈન સિસ્ટમથી કામ થાય તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતને એઈમ્સ મળે તેવું ક્યારેય પણ વિચારેલ નહિ. પરંતુ હાલના દેશના વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને એઈમ્સ આપવાનો નિર્ણય કરી અને આ એઈમ્સ રાજકોટને મળેલ છે તે માટે માન.પ્રધાનમંત્રીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

આ અવસરે કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયાએ જણાવેલ કે, રંગીલું રાજકોટ એક અનોખું શહેર છે. આજે દેશ વિદેશમાં પોતાનું ગૌરવ વધારી રહયું છે ત્યારે દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સતત સાથસહકાર અને માર્ગદર્શન હેઠળ આ શાનદાર વિકાસ યાત્રાને આગળ ધપાવવા રાજકોટ મહાનગરપાલિકા એક પછી એક પ્રોજેક્ટને ખૂબ ઝડપ થી આગળ ધપાવી રહી છે. આપ સૌ જાણો છો એ મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની મદદ સાથે આજરોજ કુલ રૂ.૨૯૯.૪૪ કરોડના વિવિધ પ્રોજેક્ટ જેવા કે, સિવિલ હોસ્પિટલ ચોકના ઓવરબ્રિજ અને આમ્રપાલી રેલ્વે ક્રોસિંગ ખાતેના અન્ડરબ્રિજ ઉપરાંત રૈયા સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથોસાથ "રૂડા"ની વધુ એક આવાસ યોજનાનું ખાતમુહૂર્ત થયેલ છે.

શહેરીજનોમાં નવા ઉત્સાહનો સંચાર કરે તે માટે નવા હરવાફરવાના સ્થળો વિકસાવવાના આયોજનના એક ભાગરૂપે રેસકોર્સ-૨ અને અટલ સરોવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. આ પ્રોજેક્ટ રાજકોટ શહેરને એક આગવી ઓળખ આપશે અને શહેરીજનોને ફરવા માટેનું એક નવું નજરાણું મળશે.

      ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના માનનીય પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને  રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અથાગ જહેમતથી સાકાર થયેલી "સૌની યોજના" થકી આજી, ન્યારી અને ભાદર ડેમને જોડવામાં આવેલ છે.

રૈયા વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.૩૨ માં અંદાજે ૯૩૦ એકર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં આકાર પામનાર સ્માર્ટ સિટીમાં અટલ લેઈકમેનેજમેન્ટ કન્વેન્શન સેન્ટરસ્પોર્ટસ એરિયાન્યુ રેસકોર્સસેન્ટ્રલાઈઝ્ડ ડેટા મોનિટરિંગ અને કન્ટ્રોલથી સંચાલિત આધુનિક સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ હશે.

       અંતમાં મને એમ કહેતા ગૌરવ થાય છે કે, રાજકોટના લોકોના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન આવી રહયું છે અને તેઓનો હેપિનેસ ઇન્ડેક્સ વધુ ને વધુ ઉંચે ચડી રહયો છે.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ શાબ્દિક સ્વાગતમાં જણાવેલ કે, માન. મુખ્યમંત્રીએ શહેરની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધેલ છે તે જ રીતે શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આજે બ્રિજના ખાતમુહૂર્ત કર્યા છે. કોર્પોરેશન દ્વારા ટ્રાફિકના નિવારણ માટે જુદા જુદા બ્રીજ બનાવવાની જરૂર છે ત્યારે માન. મુખ્યમંત્રીશ્રીએ એવી ખાતરી આપેલી કે, બ્રીજ બનાવવા માટે પૈસાની ચિંતા કરશો નહિ, રાજ્ય સરકાર દ્વારા આ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે. વિશેષમાં રાજકોટમાં ૧૦૦ વર્ષમાં કોઈ નવું તળાવ બનેલ નહિ. બાદ માન.મુખ્યમંત્રીએ એક નવા તળાવનુ નિર્માણ કરેલ છે. આ ઉપરાંત રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસપોર્ટ, એઈમ્સ, જી.આઈ.ડી.સી. વિગેરે જેવા પ્રોજેક્ટો આપેલ છે. રાજકોટના સપૂત માન.મુખ્યમંત્રી હોવાથી રાજકોટ શહેર માટે વિકાસની દિશામાં “શહેરનો સુવર્ણ યુગ” ચાલે છે.

કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય રાજ્યના.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવેલ હતું.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે મંચ પર બિરાજમાન મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોનુ શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનુ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા રાજકોટ શહેર ભાજપની સંગઠન ટીમ દ્વારા, તેમજ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જીલ્લા કલેકટર રૈમ્યા મોહન તથા ડીવીઝનલ રેલ્વે મેનેજર (પશ્ચિમ રેલ્વે) પરમેશ્વર ફંકવાલ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.

.મુખ્યમંત્રી દ્વારા પ્રોજેક્ટના સ્થળે ખાતમુહૂર્ત કરી પ્રોજેક્ટની વિસ્તૃત જાણકારી મેળવી હતી. તે સમયે પદાધિકારી અને સ્થાનિક વોર્ડના કોર્પોરેટરઓ દ્વારા માન.મુખ્યમંત્રીનુ બુકે વડે સ્વાગત કરવમાં આવેલ.

કાર્યક્રમની શરૂઆતમાં બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક વડે સ્વાગત તેમજ કાર્યક્રમના અંતે આભારવિધિ કરેલ.

(9:39 pm IST)