Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વિન્ટર અને સમર પાક માટે સિંચાઈનું પાણી પુરૂ પડાશે

ખેડૂતોની તકલીફને ઓછી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય : સતત કમોસમી વરસાદના પરિણામસ્વરૂપે પાકને નુકસાન

અમદાવાદ, તા. ૮ : હાલમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન પાકમાં થયું છે ત્યારે તેમની તકલીફોને ઓછી કરવાના હેતુસર રાજ્ય સરકારે શિયાળાની સાથે સાથે ઉનાળા પાક માટે પણ ખેડૂતોને સિંચાઈ પાણી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને રાહત આપવા માટે જે પગલા લેવામાં આવી રહ્યા છે તે પગલા થકી એક તરીકે આ નિર્ણયને ગણવામાં આવે છે. રાજ્ય સરકાર શિયાળાની સાથે સાથે ઉનાળા બંને માટે સિંચાઈ પાણી ઉપલબ્ધ કરાવનાર છે. સરકાર પાસે જે વિકલ્પો રહેલા છે તે મુજબ સરકાર સતત કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા કામ કરવા માટે તૈયાર છે. આના ભાગરૂપે જ મોટાપાયે પાક નુકસાન થયા બાદ ખેડૂતોને એકબાજુ વળતરની યોગ્ય ચુકવણી માટે તૈયારી થઇ રહી છે. બીજી બાજુ આગામી દિવસોમાં ખેડૂતોને શિયાળા અને ઉનાળા પાક માટે સિંચાઈ પાણી ઉપલબ્ધ કરાવવાની પણ વાત કરી છે.

                બુધવારના દિવસે રાજ્ય કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં પાક નુકસાનના મામલામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથે સાથે સંભવિત રાહત પગલા પર પણ ચર્ચા થઇ હતી. ખેડૂતોની તકલીફને ઓછી કરવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે અન્ય રાહતો આપવા માટેની પણ તૈયારી કરી છે. ખેડૂતોને પાણી ઉપલબ્ધ કરાવવા માટે પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે. આ વખતે સારા વરસાદના પરિણામ સ્વરૂપે બંધ અને સરોવરમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો રહેલો છે. પાક નુકસાનના મુદ્દા પર તેમની પ્રતિક્રિયા આપતા અધિકારીઓએ કહ્યું છે કે, તેમને ગ્રામિણ વિસ્તારોમાં જઇને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કહેવામાં આવ્યું છે. પાક નુકસાન સર્વે કામગીરી યોજવામાં આવી રહી છે. સરકાર દ્વારા વિમા દાવાના ઝડપી નિકાલ માટે પણ વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારે કેટલાક કારણોસર હાલમાં કન્ટીજેન્સી ફંડની રચના કરવાનો ઇન્કાર કરી દીધો છે. આનો મતલબ એ થયો કે, સરકારને ફરી એકવાર વિમા પ્રિમિયમની ચુકવણી નહીં થવાના કારણે ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડશે. બીજી બાજુ રિઝર્વ ફંડની રચનાનો મુદ્દો ફરી એકવાર સપાટી ઉપર આવી શકે છે. ૪૦ ટકાથી વધુ ખેડૂતોને હજુ સુધી તેમના ક્લેઇમની રકમ મળી શકી નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓને વાર્ષિક પ્રિમિયમ તરીકે આશરે ૩૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરે છે. રિઝર્વ ફંડની રચનાનો વિચાર આગામી વર્ષે અમલી થાય તેમ માનવામાં આવે છે.

(8:32 pm IST)