Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

હવે ગુજરાતના સિરક્રિકમાં નૌકાઓ મળતા ખળભળાટ

દક્ષિણ ભારતમાં હુમલા થવાની દહેશત વધી : નૌકાઓ મળ્યા બાદ ગુજરાત અને કેરળમાં એલર્ટ જાહેર

અમદાવાદ,તા.૯ : ગુજરાતના સરક્રિકમાં કેટલીક બિનવારસી નૌકાઓ મળી આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. નૌકાઓ મળ્યા બાદ સેનાએ દક્ષિણ ભારતના વિસ્તારોમાં ત્રાસવાદી હુમલાઓની શંકાને ધ્યાનમાં લઇને એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. કલમ ૩૭૦ને દૂર કરાયા બાદ આતંકવાદીઓ દક્ષિણ ભારતમાં હુમલાની યોજના બનાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, કચ્છ અમારા સરહદી જિલ્લા તરીકે છે. ગુજરાતમાં હાઈએલર્ટની જાહેરાત કરાઈ છે. ગુજરાત ઉપરાંત કેરળમાં પણ તમામ જિલ્લાઓમાં સુરક્ષા વધારવામાં આવી છે. દક્ષિણભારતમાં હુમલાની દહેશત છે.

આર્મી સાઉધર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ એસ.કે.સૈનીએ કહ્યું છે કે તેમને મળેલા ઇનપુટ પ્રમાણે દક્ષિણ ભારતના વિસ્તારમાં આતંકીઓ હુમલો કરી શકે છે. આ માહિતીના આધારે આર્મી ચોક્કસ છે કે આ તત્વોને તેમના અંજામ સુધી પહોંચતા રોકવામાં આવે. થોડા દિવસો પહેલા સરક્રિક પાસે બિનવારસી હોડીઓ પણ મળી આવી હતી. આર્મીના ઇનપુટ અંગેના મેસેજ બાદ કેરળના ડીજીપી લોકનાથ બેહેરાએ કહ્યું હતું કે કેરળને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે અને પોલીસને સાર્વજનિક સ્થળોએ ચોકસાઇ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ સૈની જે બિનવારસી બોટની વાત કરી રહ્યા હતા તે કચ્છના સરક્રિક વિસ્તાર પાસેના હરામીનાળા પાસેથી મળી હતી. ૨૪ ઓગષ્ટના શનિવારે બિનવારસી બોટ મળી હતી જેનો બીએસએફના જવાનોએ કબજો લીધો હતો. આ બોટ અહીં સુધી કેવી રીતે પહોંચી અને તેમાં ઘુસણખોરો હતા કે કેમ તેના વિશે કોઇ માહિતી મળી નથી. જ્યારે આ બોટ મળી ત્યારે કાશ્મીરની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને દેશભરની બોર્ડર પર હાઇએલર્ટ હતું.

(10:31 pm IST)