Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

તારીખ પે તારીખ... તારીખ પે તારીખ

૬૫ વર્ષનાં ધનજીભાઇને ૩૩ વર્ષે મળ્યા છુટાછેડા

બીજા લગ્નને ૨૮ વર્ષે કાયદેસરતા મળીઃ અજબગજબની ઘટના

અમદાવાદ, તા.૯: ધનજીભાઈ પરમાર(૬૫)ને પોતાના નિષ્ફળ લગ્નજીવનથી મુકત થવામાં ૧,૨ કે ૫ નહીં પૂરા ૩૩ વર્ષ લાગ્યા, લગભગ આખુ જીવન પૂરું થઈ ગયું ત્યારે કોર્ટે પહેલી પત્નીથી તેમના છૂટાછેડા મંજૂર કર્યા. જેથી તેમના બીજા લગ્નને ૨૮ વર્ષ પછી કાયદેસરતા મળી. તેમાં પણ જયારે કોર્ટે પહેલા તેમની અરજીને ધ્યાને રાખીને છૂટાછેડા આપી દીધા કે પરમારે તરત જ બીજા લગ્ન કરી લીધા હતા. જેના કારણે ભારે ગુંચવાડાની સ્થિતિ ઉભી થઈ હતી.

આશરે ત્રણ દાયકા બાદ પરમારની પહેલી પત્ની ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવી અને આત્મિયતા દર્શાવતા કહ્યું કે પોતે હવે આ ડિવોર્સ કેસ આગળ લડવા નથી માગતી કારણ કે પોતે નથી ઇચ્છતી કે તેના પતિની બીજી પત્નીના ત્રણ બાળકો પર સમાજમાં એવું કલંક રહે કે તેમના માતા પિતાના લગ્ન તો ગેરકાયદેસર છે.

આ કેસમાં પરામારના પહેલા લગ્ન ૧૯૭૮માં ઈંદિરાબેન સાથે થયા હતા. જે બાદ ૧૯૮૩માં તેમને પુત્રનો જન્મ થયો પરંતુ વૈવાહિક કલહનું કારણ આપી પરમારે ૧૯૮૬માં શહેરની સિવિલ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જયાં કોર્ટે એ પક્ષને સાંભળીને જ અરજી મંજૂર કરી છૂટાછેડા મંજૂર કર્યા હતા. આ છૂટાછેડા મળતા જ પરમારે એક જ મહિનાની અંદર રમિલાબેન સાથે લગ્ન કર્યા હતા.

પરમારને બીજા લગ્નથી ૩ બાળકો થયા પરંતુ પરિવાર પર છૂટાછેડાની કાયદેસરતાનો ઓછાયો કાયમ માટે લટકતી તલવારની જેમ રહ્યો. કેમ કે સિવિલ કોર્ટે જયારે છૂટાછેડા મંજૂર કર્યા તેના ૭ મહિના પછી ઈંદિરાબેન કોર્ટ પહોંચ્યા અને કોર્ટના ચૂકાદા વિરુદ્ઘ અપીલ કરી હતી કે તેઓ પોતાના માવતરમાં રહી શકે તેમ નથી અને આ કારણે તેમને આ છૂટાછેડા મંજૂર નથી. અંતે કોર્ટે ૧૯૯૧માં પરમારના છૂટાછેડાને નામંજૂર કરતા તેના બીજા લગ્નની કાયદેસરતાને જોખમમાં મુકી દીધી હતી

કોર્ટના આદેશ વિરુદ્ઘ પરમાર તાત્કાલીક ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા. જયાં તેમનો કેસ પેન્ડિંગ રહ્યો અને તે પણ ૨૮ વર્ષ સુધી. અંતે જયારે કેસની સુનાવણી શરુ થઈ ત્યારે કોર્ટે કહ્યું કે, 'આટલા વર્ષોમાં દ્યણુબધુ બદલાઈ ગયું છે બંને પરિવાર ઘણા આગળ વધી ગયા છે અને પોતપોતાના જીવનમાં સ્થિર થયા છે..' કોર્ટે બંને પક્ષકારો સહમતીથી સમાધાન શોધવા માટે આગ્રહ કર્યો હતો.

પરમારના પ્રથમ પત્નિએ કોર્ટ સમક્ષ જણાવ્યા મુજબ તેઓ આગળ કેસ લડવા ન માગતા હોઈ પરંતુ તેમને મળવા પાત્ર હક્ક રકમ પરમારે ન આપી હોવાથી ગુજરાત હાઈકોર્ટે આખરે ગત સપ્તાહમાં આ કેસમાં સિવિલ કોર્ટનો ચુકાદો રદ કરીને પરમારના છૂટાછેડાને મંજૂરી આપી હતી સાથે ઈંદિરાબેનને કાયમી ધોરણે ખાધાખોરાકી પેટે રૂ.૧૭ લાખ ચૂકવવા આદેશ કર્યો હતો.

(11:47 am IST)