Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

શક્તિપીઠ અંબાજીમાં પૂનમ મેળો શરૂ : શ્રદ્ધાળુનો ધસારો

૧૪મી સપ્ટેમ્બર સુધી પૂનમ મેળો ચાલશે : અંબાજીના માર્ગ ઉપર જય અંબેના ઉદઘોષ જોવા મળ્યા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે તેવા એંધાણ

અમદાવાદ, તા. ૮ : યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની આજે પરંપરાગતરીતે ભવ્ય શરૂઆત થઇ હતી. ભાદરવી પુનમના મહામેળાનો અંબાજી ખાતે  વિધિવત પ્રારંભ  કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આની શરૂઆત કરાવવામાં આવી હતી. મહામેળાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રથને પ્રસ્થાન કરાવીને શરૂઆત કરાવી હતી. હવે ૧૪મી સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે અંબાજી મંદિરમાં આરતી અને દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ ધ્વજારોહણ પણ કર્યું હતું. મહામેળાની શરૂઆત કરવામાં આવી ત્યારે ઉપસ્થિત હજારો માઇભક્તો પદયાત્રીકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા. પ્રદર્શન ડોમમાં જુદા જુદા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળાને લઇને શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત થયેલા છે. મેળાને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહ્યો છે. મેળાના પરિણામ સ્વરુપે અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જુદી જુદી જગ્યાઓ ઉપર જુદા જુદા સંગઠનોના સ્વૈચ્છિક લોકો સેવા માટે સક્રિય થયા છે.

           શ્રદ્ધાળુઓની સેવા માટે ચા-કોફી, નાસ્તા અને ભોજન માટે શિબિર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જ નહીં બલ્કે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. આ પદયાત્રીઓ માતાના દર્શન કરવા માટે ઉત્સાહિત થયેલા છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનનમાં લઇને એસટી વિભાગ તરફથી પણ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્રથી પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માતાના દર્શન સરળરીતે કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તૈયારીઓને ધ્યાનમાં લઇને પહેલાથી જ તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. મેળાની તમામ તૈયારીઓ ગઇકાલે જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. માતા અંબાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, અમદાવાદથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. મોટા ચિલોડા, હિંમતનગર થઇને અંબાજી જતા માર્ગો પર જય અંબેના જયઘોષ સાંભળવા મળી રહ્યા છે.

શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધા અભૂતપૂર્વ જોવા મળી રહી છે. આ ઉપરાંત ચાંદખેડા-ગાંધીનગર, રિંગરોડ, ચિલાડો, હિંમતનગર માર્ગો ઉપર રાત દિવસ માતાના રથ અને ધજા સાથે શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે હિંમતનગરમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ-હિંમતનગર રાજમાર્ગ ઉપર ઉદય ફાર્મમાં શ્રદ્ધાળુઓ માટે આરામ,ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવા કેન્દ્રો ચલાવનાર લોકોનું કહેવુંછે કે, વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓને માલપુવા, ખીર, શાકભાજી અને નાસ્તા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ફાર્મ હાઉસમાં રહેવા અને ન્હાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. શ્રદ્ધાળુઓ હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે જેથી તંત્ર દ્વારા સાવચેતી પગલા લેવાયા છે.

શ્રદ્ધાળુઓનો ધસારો...

*   શક્તિપીઠ અંબાજીમાં ભારદવી પૂનમ મેળાની શરૂઆત થઇ

*   મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો

*   અંબાજી માર્ગ પર શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

*   મેળાના પરિણામ સ્વરુપે અંબાજી તરફ દોરી જતા માર્ગ ઉપર જય અંબેના ઉદઘોષ ગુંજી ઉઠ્યા

*   દેશના જુદા જુદા ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે

*   એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાઈ રહી છે

*   અંબાજીમાં માતાજીના દર્શન સરળરીતે થઇ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

*   શ્રદ્ધાળુઓને રહેવા અને ભોજન માટેની પણ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી

*   ચાંદખેડા-ગાંધીનગર, રિંગરોડ, ચિલોડા, હિંમતનગર માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

(9:44 pm IST)