Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અમદાવાદમાં ભગવાન શ્રી જગન્‍નાથજીના રૂટ ઉપર-દરિયાપુરમાં પ્રદિપસિંહ જાડેજાએ ફુટ માર્ચ કર્યુઃ પોલીસ અધિકારીઓની હાજરીમાં આયોજનની સમીક્ષા-નિરીક્ષણ

અમદાવાદઃ અમદાવાદમાં આગામી 12 તારીખે નિકળનારી રથયાત્રાને સરકારે શરતોના અધિન મંજૂરી આપી છે. હાલ જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આજે પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી અને 7 વાગ્યે મુખ્યમંત્રી વિજય રુપાણી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારે રથયાત્રાના રુટ પર પોલીસવડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, તમામ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓએ મળી 50 ગાડીના કાફલા સાથે નિરીક્ષણ કર્યું.

સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં દર્શન કરીને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી પ્રેમદરવાજા અને દરિયાપુર પહોંચ્યા છે. અહીંથી તેમણે મોસાળ સરસપુરમાં પણ રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

રાજ્ય સરકારે ગત ગુરુવારના રોજ જાહેરાત કરી હતી કે, રથયાત્રાના માર્ગના તમામ વિસ્તારોમાં સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ચૂસ્ત કર્ફ્યૂ રહેશે અને પાંચેક કલાકમાં રથ નિજમંદિરે પરત લાવી દેવાશે. આ દરમિયાન લોકોએ તો ભગવાનનાં દર્શન ટીવી અને મોબાઇલમાં જ કરવાં પડશે. રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના 19 કિ.મી. લાંબા રૂટ પર કર્ફ્યૂ રહેશે. સંક્રમણ વધે નહીં એ માટે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રહેશે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા આજે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અલગ રીતે યોજાશે. મંદિર તરફથી અપીલ છે કે લોકો ઘરમાં બેસી રથયાત્રાનો લાભ લે. રથ નિયત કરેલા સમયમાં પરત આવશે. રસ્તામાં કોઈપણ પ્રસાદની વહેંચણી કરવામાં આવશે નહી. રથ નિજમંદિર પરત ફરશે. ત્યાર બાદ મંદિરમાં મગ, જાબું, ખીચડાનો પ્રસાદ આપવામાં આવશે. બપોરે ભગવાન રથમાં પરત આવે ત્યારે લોકો મંદિરમાં આવીને દર્શન કરી પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.

(5:06 pm IST)