Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

૯મી એપ્રિલથી બંધ ગાંધીનગર અક્ષરધામ સોમવારથી ફરી ખુલ્લુ મુકાશે

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં ફરી ખોલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યોઃ કોવિડ ગાઈડલાઈનનું પાલન જરૂરીઃ એન્ટ્રી પહેલા થર્મલ સ્ક્રીનિંગ, હેન્ડ સેનિટાઈઝેશન ફરજિયાત રહેશે

ગાંધીનગર, તા.૯: ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સોમવારે રથયાત્રાના દિવસે સવારે ૧૦ વાગ્યાથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવશે. જણાવી દઈએ કે, રાજયમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં અક્ષરધામ મંદિર ૯મી એપ્રિલથી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હવે રાજયમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર દ્યટાડો થતાં ફરીથી ખોલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ૧૨મી જુલાઈ સોમવારના રોજ રથયાત્રાના પવિત્ર દિવસથી સવારે ૧૦ કલાકથી સાંજના ૭.૩૦ કલાક સુધી મંદિર ખુલ્લો કરવામાં આવશે. ત્યારે સોમવારથી ભાવિક ભકતો દર્શનની સાથે વોટર શોનો પણ આંનદ માણી શકશે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, રથયાત્રાના દિવસે સોમવાર હોવાથી તે દિવસે અક્ષરધામ ખુલ્લુ રહેશે, પરંતુ તે સિવાયના દર સોમવારે મંદિર બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને પગલે સરકારના આદેશ મુજબ રાજયભરના નાના મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી ગાંધીનગરનું સુપ્રસિદ્ઘ અક્ષરધામ મંદિર પણ ગત ૯ એપ્રિલથી જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, સંક્રમણમાં દ્યટાડો થતાં સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરો ફરીથી ખોલવાની પરવાનગી માંગવામાં આવી હતી.

દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન કોરોના મહામારી અંગેના સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પરિસરમાં માસ્કની સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝેશન ફરજિયાત રહેશે. સામાન્ય કરતાં વધુ તાપમાન ધરાવતા તેમજ કોવિડના લક્ષણો ધરાવતા મુલાકાતીઓને પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

(3:57 pm IST)