Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

વર અને કન્યાના અરમાનો પર કોરોના ગ્રહણ : લગ્નના આગલા દિવસે જ વરરાજા પોઝિટિવ: કન્‍યા માવતરે જ રહી : માત્ર 5 મિનિટની વિધિ પતાવી

પાદરા :વડોદરા જિલ્લામાં આવેલા એક ગામે નક્કી થયેલ લગ્નની તારીખના એક દિવસ અગાઉ વરરાજા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે કોરોના સંક્રમિત વર અને કન્યાના અરમાનો પર કોરોના ગ્રહણ લાગી જવા પામ્યું હતું. વરરાજાને કોરોના શરૂઆતના તબક્કામાં હોય બંને પક્ષની સહમતિ અને ડોક્ટરની જરૂરી સાવચેતી સાથેની સૂચના અનુસાર સોશિયલ ડિસ્ટન્સ રાખી કોઈપણ જાતની લગ્નવિધિ કર્યા વિના માત્ર 5 થી 10 મિનિટ વરરાજા આવી લગ્નની ઔપચારિક વિધિ કરી હતી. સાથે જ સલામતીના ભાગરૂપે કન્યાને પિતાના ઘરે જ રાખી પોતાના ઘરે રવાના થયા હતા.

હાલ કરજણ તાલુકામાં કોરોનાની ચાલતી મહામારી વચ્ચે લગ્નની મોસમ પણ પુરજોશમાં ચાલી રહી છે. કરજણના એક ગામમાં રહેતા પરિવારની પુત્રીના લગ્ન વડોદ શહેરમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના જ યુવક સાથે લગ્ન નક્કી થયા હતા.

છેલ્લા ત્રણ માસથી લગ્નની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી હતી. હાલોલ રોડ પરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક અને યુવતી બંને પક્ષના પરિવારજનોમાં લગ્નપ્રસંગે આમંત્રણની પત્રિકાઓ પણ વહેંચી દેવામાં આવી હતી. સોશ્યલ ડિસ્ટન્સ જાળવી કોરોના ગાઈડ લાઈન મુજબ અનુસરી બંને પક્ષના સગા વ્હાલ આમંત્રિતોને જમણવારથી માંડી આગતા સ્વાગતાનું આયોજન પણ કરી દેવામાં આવ્યુ હતુ. દરમ્યાન અચાનક જ રંગમાં ભંગ પાડતો હોય તેમ બન્યું હતુ.

5 મે ના રોજ લગ્ન તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ લગ્નના બે ત્રણ દિવસ પહેલા વરરાજાને શારીરિક નબળાઈ અને શરદી તાવ જેવું રહેતા તેણે કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. આ બાજુ કન્યા પક્ષે લગ્નની પૂરજોશમાં તૈયારીઓ ચાલતી હતી અને કન્યાને પીઠી પણ ચઢાવી દેવામાં આવી હતી. પણ ન જાણ્યું જાનકી દાસે નક્કી કરેલ લગ્નની આગલા દિવસે વરરાજાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આમ વર વધૂના અરમાનો પર પાણી ફરી વળ્યાં હતાં. હવે શું કરવું અને શું ન કરવું એવી દ્વિધામાં બંને વરવધૂના પરિવારો હતા.

.

કોરોના રિપોર્ટમાં કોરોનાની અસર શરૂઆત તબક્કામાં હોય સોશિયલ ડિસ્ટન્સ રાખી લગ્ન કરવાનું નક્કી કરાયં હતું. હાથમાં મોજા પહેરી લગ્નની ચાર પાંચ વ્યક્તિની હાજરીમાં કોઈ પણ જાતની લગ્ન વિધિ કર્યા વિના ફક્ત લગ્નની ફોરમાલિટી કરવાનું બંને પક્ષે નક્કી કર્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ રાખી બંને પક્ષે ચાર પાંચ વ્યક્તિઓની હાજરીમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ જાતની લગ્ન વિધિ કર્યા વિના સમાજની રીતે કહેવાતા લગ્ન સંપન્ન થયા હતાં.

કોરોના સંકમિત વરરાજા ફક્ત પાંચ દસ મિનિટ રોકાઈને પરત ફર્યા હતા. સાથે જ નવપરણીત પત્નીને પિતાના ઘરે રાખી પરત વડોદરા રવાના થયા હતા. આ અનોખા લગ્નમાં વરરાજા નવવઘુ ગોર મહારાજ અને બંને પક્ષના વડીલો ઉપરાંત ફેમિલી ડોક્યર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)