Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

કોરોના વાયરસના ઉપચારમાં ગૌમૂત્રનો પ્રયોગ કરાશે

૫ હજાર ગાયોની વચ્ચે કુદરતી વાતાવરણમાં સારવારઃ દર્દીઓને ગોબર, ગૌમુત્રના ખાતરથી ઉગાડેલું અનાજ અને મસાલાઓથી નિર્મિત ભોજન પ્રસાદ આપવામાં આવશે

બનાસકાંઠા,તા.૯: બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં અનોખું વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોના કહેર વધ્યો છે તે વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સારવાર મળી રહે તે માટે ગૌશાળાના સંચાલકો સામે આવ્યા છે. જેમાં ગૌ શાળામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આયુર્વેદ અને એલોપેથી દવાઓના માધ્યમથી ઉપચાર કરવામાં આવશે. વેદલક્ષણા ગૌથી પ્રાપ્ત થયેલ પંચગવ્ય જેમાં ગૌમુત્ર, ઘી, દૂધ તથા દહીં સાથે અનેક આયુર્વેદિક ઔષધીથી તૈયાર કરવામાં આવેલું પંચગવ્યામૃત ઔષધીઓ દ્વારા સારવાર આપવામાં આવશે. જ્યારે દર્દીઓને ગોબર, ગૌમુત્રના ખાતરથી ઉગાડેલું અનાજ અને મસાલાઓથી નિર્મિત ભોજન પ્રસાદ આપવામાં આવશે. કોરોના દર્દીઓને vedLakshana covid૧૯ center માં પૂજા-ઉપાસના, ગોધૃત, ગુગળ અને હવન સામગ્રીથી પ્રતિદિન યજ્ઞ ધૂપ દ્વારા વાતાવરણમાં કોરોના દર્દીઓ માટે પ્રાણશક્તિનું નિર્માણ કરવામાં આવશે.

   રાજારામ ગૌશાળા આશ્રમમાં તૈયાર થયેલા આ વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટરમાં ૫૦ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૧ આયુર્વેદ અને ૧ એલોપથી ડૉક્ટર સાથે ૫ નર્સ કોવિડ દર્દીઓને સારવાર આપશે. કોવિડ કેર સેન્ટરમાં ઠંકડ રહે તે હેતુથી સમગ્ર કોવિડ કેરની આજુબાજુ ઘાસ લગાવવામાં આવ્યું છે. જેથી કોવિડ સેન્ટરમાં કુદરતી રીતે તાપમાન જળવાઈ રહી. આ અંગે ગૌશાળાના સંચાલક રામરતન મહારાજે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયું છે. ભારતીય આયુર્વેદમાં મહામારી તેમજ અસાધ્ય રોગોને ઈલાજ માટે ગાય માતા દ્વારા તૈયાર થયેલા ખોરાક દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ આપશે. જ્યારે આયુર્વેદ અને એલોપથી ઈલાજના કારણે દર્દીઓ જલ્દી સાજા થશે. વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ પદ્ધતિથી દર્દીઓની સારવાર થશે. ૫ હજાર ગાય જ્યાં રહે છે ત્યાં તેમની સાથે રહી કુદરતી વાતાવરણમાં કોરોના દર્દીઓ સારવાર મેળવશે.

(11:29 am IST)