Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

લોકડાઉન એ સંક્રમણ રોકવાનો ઉપાય કોઈ નથી :ચેઈન તોડવા માટે સૌ એ માસ્ક પહેરવું, સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવુ અને ટોળામાં એકત્ર ન થવુ એ જ અસરકારક નીવડશે:પદ્મશ્રી ડો , તેજસ પટેલ

કોરોનાની સારવારમાં નાગરિકો અને તબીબોને માર્ગદર્શન મળી રહે એવો ઉપયોગી વાર્તાલાપ :રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞ ર્ડાકટર્સનો મીડિયા સાથે મહત્વનો સંવાદ પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ,ડૉ. દિલીપ માવલંકર, ડૉ. વી.એન.શાહ , ડૉ. અતુલ પટેલ, ડૉ. તુષાર પટેલ અને ડૉ. મહર્ષિ દેસાઈએ વિવિધ વિષયો પર વિસ્તૃત માહિતી આપી

અમદાવાદ : ગુજરાત સરકારની કૉવિડ-૧૯ની તજજ્ઞ ડૉક્ટરોની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ આજે ગાંધીનગરમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ, કોરોના દરમિયાન હોમ આઈસોલેશનનું મહત્વ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇંજેક્શનનો ઉપયોગ અને રસીકરણ જેવા વિષયો પર નાગરિકો અને ડોક્ટરોને સતાવતી વિવિધ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય એ પ્રકારે વિસ્તૃતમાં પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી હતી.

વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડૉ. વી.એન.શાહ , ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર શ્રી ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ વિવિધ વિષયો પર વિસ્તૃત માહિતી આપી હતી.
ડૉ.તેજસ પટેલ : અમદાવાદની એપેક્ષ હાર્ટ ઈન્સ્ટીટયુટના ચેરમેન અને કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રી
અમદાવાદની એપેક્ષ હાર્ટ ઈન્સ્ટીટયુટના ચેરમેન અને કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રી ડૉ.તેજસ પટેલે જણાવ્યુ છે કે; કોરોનાના સંક્રમણથી બચવા માટે સૌ નાગરિકો માસ્ક પહેરે અને જે ના પહેરતા હોય તેમને ફરજીયાત પહેરવા સમજાવીશુ તો જ બચી શકશુ કેમ કે આ એક અલગ પ્રકારનો વાયરસ છે જે શિયાળો,ઉનાળો અને ચોમાસામાં પણ પ્રસર્યો છે. એટલે આપણે માસ્ક પહેરીએ, વારંવાર હાથ ધોઈએ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીએ રાજય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે પ્રજાકીય સહયોગ પણ એટલો જ અનિવાર્ય છે.
તેમણે ઉમેર્યુ કે,કોવિડ-૧૯નો કેસ નવેમ્બર -૨૦૧૯માં શરૂ થયા વાયરોલોજીના નિષ્ણાંતોના મતે આ વાયરસ સામે ભારતના તબીબોએ જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપ્યા એની નોધ વિશ્વએ પણ લીધી છે. પ્રથમ ફેઈઝમા આપણા પ્રયાસોના કારણે એક તબક્કે કોરોના જશે એવી પરિસ્થિતિ જોવા મળી પરંતું કમનસીબે બીજો તબક્કો વધુ ગંભીર છે ત્યારે આપણે સ્વયં જાગૃત બનવાની જરૂર છે નહી કે ગભરાવવાની જરૂર છે.
ડૉ.પટેલે ઉમેર્યુ કે,સંક્રમણને રોકવા માટે દેશભરમાં જે વેકિસનેશન ની કામગીરી થઈ રહી છે ત્યારે સૌ નાગરિકોએ ગભરાયા વગર વેકિસન લઈ લેવી જોઈએ. કોમોર્બિડીટી હોય અને સ્ટેબલ દર્દી હોય તેમણે પણ કોઈ ચિંતા કર્યા વગર વેકિસન લઈ લેવી જોઈએ.તેમણે કહ્યુ કે, આપ વેકિસન લેશો તો કોરોના નહી થાય એવુ નથી પરંતુ સંક્રમિત થવાથી બચશો અને વાયરલલોડ થી બચી શકાશે અને મૃત્યુથી બચી શકાશે અને અન્યને સંક્રમણ નહી ફેલાવવા માટે સુપર સ્પ્રેડર નહી બનો જો દેશભરમાં ૭૦ ટકા લોકો વેકિસન લઈ લેશે તો જ હર્ડ ઈમ્યુનીટી આવશે એટલા માટે સૌ એ રસી લઈ લેવી અત્યંત જરૂરી છે.
તેમણે કહ્યુ કે,લોકડાઉન એ સંક્રમણ રોકવાનો કોઈ ઉપાય નથી સંક્રમણની ચેઈન તોડવી એ પણ જરૂરી છે પરંતુ ચેઈન તોડવા માટે આપણે સૌ એ માસ્ક પહેરવું,યોગ્ય સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવુ અને બિન જરૂરી ટોળામાં એકત્ર ન થવુ એ જ અસરકારક નીવડશે 
ડૉ. દિલીપ માવળંકર : પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટયૂટના નિયામક અને કોવીડ ટાસ્ક ફોર્સના સદસ્ય
પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટયૂટના નિયામક અને કોવીડ ટાસ્ક ફોર્સના સદસ્ય ડૉ. દિલીપ માવળંકરે જણાવ્યું કે, કોરોના સામેની લડતમાં આપણે  "એસ.એમ.એસ." (સેનિટાઇઝેશન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ) અને ટી.ટી.ટી. (ટેસ્ટિંગ, ટ્રેસિંગ,ટ્રિટમેન્ટ) બાદ હવે  3વી. (વેક્સિનેશન, વેન્ટિલેશન, વલ્નરેબલ્સ કેર) નું સૂત્ર પણ અપનાવવું પડશે.
તેમણે કહ્યું કે, કોરોના સામેની લડતમાં લોકો વેન્ટિલેશન (હવા-ઉજાસ)ને ભૂલી રહ્યા છે. સંક્રમણથી બચવા ઘરોમાં વેન્ટિલેશન ખૂબ જ અગત્યનું છે તથા એર કન્ડીશનીંગ સુવિધાઓનો ઉપયોગ ટાળવો પણ હિતાવહ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.  
તેમણે વધુમાં કહ્યું કે, કોરોના વાયરસના નવા સ્ટ્રેન, વેકસીન લીધા બાદ પણ વ્યક્તિનું કોરોના સંક્રમિત થવું અને એકવાર કોવિડ દર્દી બન્યા બાદ ફરી બીજીવાર સંક્રમિત થવાના કિસ્સાઓના હજી વધુ સઘન અભ્યાસ જરૂરી છે જે ભારતને વિશ્વના તજજ્ઞો કરી રહ્યા છે.
ડોક્ટર માવળંકરે સૂચન કરતાં કહ્યું કે,  યુવાનો સહિત તમામ લોકોએ બિનજરૂરી પ્રવાસ ટાળવો જોઇએ. કારણકે કોરોનાના બીજા વેવમાં પહેલા વેવથી ત્રણ ગણી ઝડપે સંક્રમણ ફેલાઇ રહ્યું છે.
તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ડ્રગ્સ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને આવશ્યક સંશાધનો (લોજિસ્ટિક)ના મેનેજમેન્ટ થકી દર્દીઓની સારવારને સુનિશ્ચિત કરી શકાશે. કોરોના સંક્રમણ વિશે લોકોને જાગૃત કરવા માટે સંચાર માધ્યમોએ પણ અગત્યનો ભૂમિકા ભજવવી પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ડૉ. વી.એન. શાહ : ઝાયડસ કેડિલામાં ડાયાબિટીયૉલોજીસ્ટ તરીકે કાર્યરત વરિષ્ઠ ડૉક્ટર-નિષ્ણાંત ડાયાબિટીયૉલોજીસ્ટ ડૉ. વી.એમ. શાહે પત્રકાર સાથેના સંવાદમાં જણાવ્યું કે, કોરોનાની ‘વોર-લાઇક’ સ્થિતિ સામે લડવા માટે ‘માસ મુવમેન્ટ’ શરૂ કરવાની જરૂર છે. ગામે-ગામ, તાલુકે-તાલુકે અને જિલ્લે-જિલ્લે સૌએ સમિતિઓ બનાવીએ, SMS તથા વેક્સિનેશનની જાગૃતિ ફેલાવીને તેમના વિસ્તારમાં કોવિડ-૧૯ની પ્રવેશબંધી માટે કડકાઇપૂર્વકનું અભિયાન ચલાવવું જોઇએ.  
શ્રી શાહે ઉમેર્યું કે હાલ કોવિડ-૧૯નો યુકે વેરિયન્ટ આપણા દેશમાં છે, જે ચાર થી છ ગણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોઈ એક વ્યક્તિને જો ઘરમાં કોવિડ-૧૯ પોઝિટીવ આવે તો તે ઝડપભેર ઘરના અન્ય સભ્યોને પણ ચેપગ્રસ્ત બનાવે છે. આ પરિસ્થિતિને નિવારવા આપણી પાસે વેક્સિનેશન (રસી) ઉપલબ્ધ છે. વેક્સિનેશન (રસી) આ રોગની અટકાયતનો હલ છે. આપણી પાસે રસી આવી ગઈ છે. અને મોટી ઉંમરના કોમોર્બિડ સહિતના લોકોને તે આપી શકાય છે.
ડૉ.વી.એમ.શાહે કહ્યુ કે, પુન: આજે એક વર્ષ બાદ કોવિડ-૧૯ની અટકાયત વિશે ચર્ચા કરવા માટે એકઠા થયા છીએ ત્યારે એસ.એમ.એસ.ના પાલનની પુનુરુક્તિ જરૂરી છે. આ સાથે જ આપણે રસીકરણને પ્રોત્સાહન આપવાનું છે.
શ્રી શાહે સ્પષ્ટપણે કહ્યું કે, રસી સંદર્ભે ફેલાયેલી ગેરમાન્યતાઓને દૂર કરવી પડશે. દેશમાં અપાયેલા રસીના કરોડો ડોઝની સામે આડ અસરના માત્ર. ૦.૦૦૧% થી ઓછા કિસ્સા આવતા હોય ત્યારે રસીના આ પાસા અંગે લોકોને જાગૃત કરવા અત્યંત જરૂરી છે.
અતુલ પટેલ : ડાયરેક્ટર, ઈન્ફેક્શિયસ ડિવિઝન સ્ટર્લિંગ હોસ્પિટલ, અમદાવાદ  
કોરોનાના દર્દીઓની સારવારને લઇને અનેક ઊભી થઇ રહેલી ગેરસમજ અંગે વાત કરતા ડો. અતુલ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસનો શિકાર બનેલા ૮૦ ટકા દર્દીઓમાં મોટાભાગે સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમાં માથું દુખવું, શરીર દુખવુ કે પછી સામાન્ય તાવ કે શરદી મુખ્ય લક્ષણો છે. ત્યારે આ પ્રકારના લક્ષણો ઘરાવતા દર્દીઓએ ગભરાવવાની જરૂર નથી માત્ર ઘરે આઇસોલેટ થઇને પણ ઝડપથી રિક્વરી મેળવી શકે છે.
કોરોના સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓ ઝડપથી કેવી રીતે રિકવરી મેળવી શકે છે તેના પર વાત કરતા અતુલ પટેલે જણાવ્યું કે, કોરોનાના સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓએ ખૂબ જ આરામ કરવો જોઇએ, ખુબ માત્રમાં પ્રવાહી લેવું જોઇએ તેમજ ડોલો. કે પેરાસીટામોલ લઇને ઝડપથી રિકવરી મેળી શકાય છે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાના સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓએ ટોસિલિઝુમેબ અને રેમેડિસિવીર જેવા ઇન્જેક્શન લેવાનો આગ્રહ ન રાખવો જોઇએ. આ પ્રકારના ઇન્જેક્શનથી સામાન્ય કોરોનાના લક્ષણો ઘરાવતા દર્દીને આડઅસર થઇ શકે છે.
ડો. અતુલ પટેલે વધુમાં જણાવ્યું કે, કોરોનાના સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓનું ઓક્સિજનનું લેવલ 94થી વધારે હોય તો આવા દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ થવાની કે પછી કોઇપણ પ્રકારના ઇન્જેક્શન લેવાની જરૂર નથી. આવા દર્દીઓ માત્ર ઘરે આરામ કરીને સાજા થઇ શકે છે.
કોરોનાના ગંભીર લક્ષણો ઘરાવતા દર્દીઓએ શું સાવચેતી રાખવી જોઇએ તેના પર માર્ગદર્શન આપતા ડો. અતુલ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસ એ ચેપી વાયરસ કરતા ઇન્ફ્લેમેટરી ડિસિઝ (સોજો આવતી બીમારી) છે. આ વાયરસ જ્યારે શરીરના અંદરના ભાગ સુધી પહોંચી જાય છે ત્યારે ફેફસા તેમજ કિડની, લીવર અને આંતરડા જેવા અન્ય અંગોમાં પણ સોજો આવી જાય છે.
ડેક્ઝામિથેસોન(સ્ટિરોઇડ) દવા અંગે તેમણે વધુમાં જણાવ્યું કે આ દવા કોરોના દર્દીઓનો જીવ બચાવનારી લાઇફ સેવિંગ ડ્રગ્ઝ છે, પણ જ્યારે ડેક્ઝામિથેસોન પર આ વાયરસ કંટ્રોલમાં આવતો નથી ત્યારે અન્ય લાઇફ સેવિંગ ડ્રગ્ઝ ટોસિલિઝુમેબ આપવાથી દર્દીઓમાં રિકવરીમાં વધારો જોવા મળે છે.
ડેક્ઝામિથેસોન અને ટોસિલિઝુમેબ આ બંને દવાઓ કોરોનાના દર્દીઓને ઝડપથી રિકવરી કરે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રેમડેસિવીર ક્યાં સંજોગોમાં લેવી જોઇએ તે અંગે માહિતી આપતા ડો. અતુલ પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસના ગંભીર લક્ષણો ઘરાવતા દર્દીઓને ઓક્સિજન આપવાની જરૂર પડે તેવા સંજોગોમાં દર્દીઓને શરૂઆતના પાંચ દિવસ રેમડેસિવીર આપવામાં આવે છે. રેમડેસિવિર ઇન્જેક્શન આપવાથી કોરોનાના દર્દીઓને ઝડપથી રિકવરી થાય છે, પણ મૃત્યુ દર ઘટાડી શકાતો નથી. રેમડેસિવીર લાઇફ સેવિંગ ડ્રગ નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
ડો અતુલ પટેલે જણાવ્યું કે, કોરોનાના સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓ ઉપરાંત એવા દર્દીઓ જેમને ઓક્સિજનની જરૂર નથી એવા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન લેવું જોઇએ નહીં. આ ઇન્જેક્શની ક્યારેક આડ અસર થાય છે તથા કિડની અને લિવરને પણ અસર કરી શકે છે.
ડો. તુષાર પટેલ : પલ્મોનોલોજિસ્ટ એન્ડ ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ, અમદાવાદ
કોરોનાના દર્દીઓ માટે હોમ આઈસોલેશન પણ અત્યંત ઉપયોગી અને કારગત ઉપાય છે, અને એટલે જ ગુજરાતમાં આરોગ્ય ધન્વન્તરિ રથ અને સંજીવની રથનો પ્રયોગ ખૂબ સફળ થયો છે. કોરોનાના દર્દીઓએ ઘરમાં pulse oximeter રાખવું જોઈએ અને ઓક્સિજનનું લેવલ ચેક કરવું જોઈએ. ઉપરાંત એક થર્મોમીટરની વ્યવસ્થા પણ રાખવી જોઈએ અને શરીર નું ટેમ્પરેચર સતત ઑબ્ઝર્વ કરવું જોઈએ. દર આઠ-આઠ કલાકે પેરાસીટામોલ લેવી જોઈએ અને આ રીતે તાપમાનને કંટ્રોલમાં રાખવું જોઈએ. ૯૫થી ઓછું ઓક્સિજન લેવલ જાય તો જ ચિંતા કરવી જોઈએ. ઘરે રહેલા દર્દીને શ્વાસ ચડે, ઓક્સિજન લેવલ  ૯૦ ગી ૯૪ જેટલું ઓછું થાય, એક વાક્ય બોલતાં પણ હાંફી જવાય, ખૂબ અશક્તિ લાગે અને પોતાનું કામ ન કરી શકે એવી સ્થિતિ લાગે એવા દર્દીઓએ જ હોસ્પિટલમાં જવું જોઈએ.
કોરોનાની મુખ્ય સારવાર જ ઓક્સિજન છે. ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં મળી રહે તો દર્દીને વાંધો આવતો નથી. આ ઉપરાંત હૉમ આઈસોલેશનમાં રહેલા દર્દીએ ઊલટા સૂઈ જવું ખૂબ જરૂરી છે. ઊલટા સૂઈ જવાથી ઘણો ફાયદો થાય છે. દર્દીએ યોગ અને પ્રાણાયામ પણ નિયમિત કરવા જોઈએ.
કોરોનાના દર્દીઓએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી. હવે તો ઘણા દર્દીઓ વેન્ટિલેટર પરથી પણ પાછા આવી રહ્યા છે.
બાળકો અને યુવાનોમાં આ વખતે કોરોનાના લક્ષણો વધારે દેખાઈ રહ્યા છે. અગાઉના સ્ટ્રેઈનમાં બાળકો એસિમ્પ્ટોમેટિક રહ્યા હતા, આ વખતના સ્ટ્રેઈનમાં બાળકો પણ સિમ્પ્ટોમેટિક દેખાયા છે. બાળકોમાં ઝાડા, પેટમાં દુખાવો, તાવ, સામાન્ય ઠંડી જેવા જુદા જુદા સિમ્પટમ્સ દેખાઈ રહ્યા છે.
 
ડૉ. મહર્ષિ દેસાઈ : ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ, એપોલો હોસ્પિટલ કોરોનાના વાયરસ માં વેરિએશન ખૂબ જ છે. દરેક દર્દીની તાસીર અલગ હોય છે, દરેક દવા પ્રત્યેનું દરેક વ્યક્તિનું રિએક્શન અલગ હોય છે. વાયરસ ભલે એકનો એક હોય પણ દરેક દર્દીમાં ક્લિનિકલ પિક્ચર અલગ હોઈ શકે.
કોરોનાના ૮૦ ટકા દર્દીઓને કોઈ સારવારની આવશ્યકતા હોતી નથી. નિયમિત રીતે પેરાસીટામોલ લો, ખુબ પાણી પીઓ અને ઓક્સિજન લેવલ જાળવી રાખો એટલું જ જરૂરી છે. માત્ર ૨૦ ટકા લોકોને હોસ્પિટલાઈઝેશનની આવશ્યકતા હોય છે, તેમાંથી પણ માત્ર પાંચ ટકા લોકો કે જે કો-મોર્બિડ છે એમને જ iccu ની જરૂર પડતી હોય છે.
કોરોના સાથેના એક વર્ષ પછી હવે આપણી પાસે આત્મવિશ્વાસ છે કે દર્દી વેન્ટીલેટર પર હોય તો પણ યોગ્ય સારવારથી આપણે બહાર લાવી શકીએ છીએ. ઘણા કોરોનાના દર્દીઓ માત્ર પેનીક થી હોસ્પિટલમાં જાય છે, દરેક દર્દીઓને હોસ્પિટલમાં જવાની જરૂર નથી. મોટાભાગના દર્દીઓ હોસ્પિટલમાં ગયા વિના જ હૉમ આઇસોલેશનમા  સારવારથી સારા થઈ શકે છે

   
(8:49 pm IST)