Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોના સામેના મુકાબલામાં હોમિયોપેથી અક્સિર પુરવાર

રાજ્યમાં કોરોનાનું ગત વર્ષ કરતા વધુ ભયાનક સ્વરૂપ : ૧૦ એપ્રિલે વર્લ્ડ હોમોપેથી ડે છે, કોરોનામાં લોકો નવા નુસખા કરે છે ત્યારે આ પદ્ધતિના લાભ ઉપર એક નજર

અમદાવાદ, તા. ૯ : આજે આખી દુનિયા કોરોના જેવી મહામારી સામે લડી રહી છે. ગુજરાતમાં તો હાલ કોરોનાએ ગયા વર્ષ કરતાં પણ ગંભીર સ્વરુપ ધારણ કર્યું છે. લોકો તેનાથી બચવા માટે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે જાતભાતના નુસ્ખા અપનાવી રહ્યા છે, ત્યારે હોમિયોપેથી ના માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પરંતુ જો કોરોનાએ ગંભીર સ્વરુપ ધારણ કરી લીધું હોય તો તેમાંથી પણ દર્દીને ઝડપથી સાજો કરવા સક્ષમ છે.

આવતીકાલે વર્લ્ડ હોમિયોપેથી ડે ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડૉ. આનંદ જોશી (એમડી)એ જણાવ્યું હતું કે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ કોરોના સામેની લડાઈમાં હોમિયોપેથીને હથિયાર બનાવવામાં આવ્યું છે. ઈમ્યુનિટી બૂસ્ટર એવી અર્સેનિકમ આલ્બમ ૩૦ પોટેન્સી દ્વારા કોરોના સામે લડવાની પ્રતિકારક શક્તિ કેળવી શકાય છે. ગુજરાત સરકારે પણ હોમિયોપેથીક કાઉન્સિલ સાથે મળીને ૩.૪૮ કરોડ લોકો સુધી આ દવાના ડોઝનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત, હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન ઓફ ઈન્ડિયા, અમદાવદા શાખા દ્વારા પણ ૩.૫૦ લાખ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે.

ડૉ. જોશી જણાવે છે કે હોમિયોપેથી માત્ર કોરોના સામે લડવાની શક્તિ જ નથી વધારતી, પરંતુ જે દર્દીને કોરોના મટ્યા બાદ પણ તેની અસર વર્તાતી હોય તેમની સારવારમાં પણ હોમિયોપેથી અક્સીર ઈલાજ પ્રદાન કરે છે. તેમણે જણાવ્યું હતું કે, લંગ ફાઈબ્રોસિસ, મ્યુકોરમયકોસીસ, ગાલિયન બેર સિન્ડ્રોમ ઉપરાંત કોરોના મટ્યા બાદ ખૂબ જ અશક્તિ આવી જવાના કિસ્સામાં હોમિયોપેથીની બ્રાયોનિઆ આલ્બા, સિંકોના,

ફોસ્ફરસ, જલસેમિયમ જેવી દવાઓ અસરકારક નીવડે છે. જોકે, કોઈપણ દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

હોમિયોપેથીની સૌથી સારી વાત એ છે કે તેની દવાઓની કોઈપણ આડઅસર નથી થતી. સામાન્ય રીતે એલોપેથીની કેટલીક દવાઓની આડઅસર થતી હોય છે, અને તે આડઅસરને ઓછી કરવા પણ ડૉક્ટર દવા આપતા હોય છે. પરંતુ હોમિયોપેથીમાં આ વાતની કોઈ ચિંતા કરવાની જરુર નથી. આ ઉપરાંત, આયુર્વેદમાં જે રીતે દર્દીએ સખ્ત ચરી પાળવી પડે છે તેવું પણ હોમિયોપેથીમાં કરવાની જરુરનથી.

હોમિયોપેથીની બીજી એક ખાસ વાત એ છે કે, તે તમામ પ્રકારના રોગોની સારવારમાં અસરકારક છે. બાળકોને થતાં રોગ હોય કે પછી સ્ત્રીઓને થતી હોર્મોનલ તકલીફો, તમામનો ઈલાજ હોમિયોપેથી દ્વારા શક્ય છે. આ ઉપરાંત એલોપેથીમાં જે બીમારી માત્ર સ્ટીરોઈડથી કંટ્રોલ કરવામાં આવે છે તેવી ઓટો ઈમ્યુન બીમારીના દર્દીને પણ એલોપેથીથી સાજા કરી શકાય છે. વળી, આજકાલ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, અને તેને એલોપેથી દ્વારા જડમૂળથી મટાડવા શક્ય નથી. જોકે, હોમિયોપેથિક ડૉક્ટર દ્વારા સૂચવેલી દવાઓનું નિયમિત સેવન કરવાની સાથે લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવાથી આ રોગોથી મુક્તિ મેળવી શકાય છે.

ઘણા કિસ્સામાં આપણે જોતા હોઈએ છીએ કે એલોપેથીની દવાનો સ્વાદ કડવો હોવાથી પણ પેશન્ટને તેનો ડોઝ લેવામાં ખૂબ તકલીફ પડે છે. તેમાંય જો કડવી દવા નાના બાળકને આપવાની હોય તો તે કામ ઘણું મુશ્કેલ થઈ જતું હોય છે. ઘણીવાર તો બાળકો દવા લીધા બાદ ઉલ્ટી પણ કરી દેતા હોય છે. જોકે, હોમિયોપેથીમાં કડવી દવા લેવાની જરુર નથી. કુદરતી તત્વોમાંથી બનતી તેની દવાઓનો સ્વાદ પણ એવો હોય છે કે બાળકોથી માંડી વડીલો સુધી તેને કોઈપણ તકલીફ વિના આરામથી લઈ શકે છે. આ ઉપરાંત, ગર્ભવતી સ્ત્રીઓ પણ હોમિયોપેથીની ટ્રીટમેન્ટ લઈ શકે છે. તેની દવાઓ કુદરતી હોવાની સાથે રોગને જડમૂળમાંથી નાબૂદ કરવા સક્ષમ છે.

(7:31 pm IST)