Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

વડોદરાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામે કાચા મકાનમાં આગ ભભૂકતા 6 વર્ષીય બાળકના મૃત્યુથી પરિવારની માથે આભ ફાટ્યું

વડોદરા : વાઘોડિયા તાલુકાના તરસવા ગામે આજે બપોરે એક કાચા મકાનમાં આગ લાગતા મકાનમાં હાજર છ વર્ષના બાળકનું સળગી જતા અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું. આગમાં  ખેતમજૂરના બીજા પુત્રનો બચાવ થયો હતો પરંતુ આખું મકાન ખાક થઇ ગયું હતું.

આ અંગેની વિગત એવી છે કે તરસવા ગામે મંદિરવાળા ફળિયામાં રહેતા નિતિનભાઇ પરમાર પત્ની અને બે સંતાનો સાથે રહે છે. નિતિનભાઇ ખેતમજૂરી કરતા હોવાથી આજે સવારે તેઓ પત્ની સાથે ખેતમજૂરી પર ગયા હતા અને ઘેર બે પુત્રો એકલા હતાં. બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ અચાનક નિતિનભાઇના ઘરમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા ફળિયાના લોકો આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતાં.

ગ્રામજનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી થતી હતી ત્યારે નિતિનભાઇનો એક પુત્ર ઘરમાંથી બહાર નીકળી આવતા તેનો બચાવ થયો હતો જ્યારે છ વર્ષનો પુત્ર ધુ્રમિલ આગની અગનજ્વાળાઓમાં લપેટાતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આગના બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડયા  હતાં. આ અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોતની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:56 pm IST)