Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

વડોદરાના સોની પરિવારના સામુહિક આપઘાત કેસમાં નવો વળાંકઃ પોલીસ પકડથી બચવા માટે તમામ જ્‍યોતિષીઓ રાજસ્‍થાન ભાગી ગયા

વડોદરા: વડોદરામાં સોની પરિવારે જ્યોતિષીઓના ચક્કરમાં લાખો ગુમાવ્યો, અને છેવટે આખા પરિવારને સામૂહિક આત્મહત્યાનો વારો આવ્યો. સોની પરિવારનો પુત્ર ભાવિન સોનીએ મરતા પહેલા 9 જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા. જેથી વડોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, આ કેસમાં એવો વળાંક આવ્યો છે કે, પોલીસ પકડથી દૂર રહેવા તમામ જ્યોતિષી રાજસ્થાન ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે.

તમામ જ્યોતિષી રાજસ્થાન ભાગી ગયા

વડોદરામાં સોની પરિવારના 6 સભ્યોના આપઘાત મામલે સમા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સોની પરિવારને વ્યાજના ચક્કરમાં ભેરવનાર તમામ જ્યોતિષીઓ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસની એક ટીમ રાજસ્થાન જઈ તપાસ કરી રહી છે. કેસમાં નામ ખૂલતા જ તમામ જ્યોતિષીઓ રાજસ્થાન ભાગી ગયા છે. ત્યારે પોલીસે રાજસ્થાન તરફ તપાસના ઘોડા દોડાવ્યા છે.

જ્યોતિષીઓ રાજસ્થાનના રહેવાસી

ભાવિન સોનીએ મરતા પહેલા તમામ લેભાગુ જ્યોતિષીઓના નામ આપ્યા હતા. જોકે, પોલીસે તમામ જ્યોતિષીઓને પકડવા દરોડા પાડ્યા હતા. જોકે, તમામ રાજસ્થાન ફરાર થઈ ગયા છે. જોકે, પોલીસને આ જ્યોતિષીઓને પકડવા માટે જલ્દી જ સફળતા મળશે તેવુ લાગી રહ્યું છે. સમા પોલીસે વડોદરા અને અમદાવાદના હેમંત જોષી(રહે-ગોત્રી કેનાલ,વડોદરા), સ્વરાજ જ્યોતિષી, પ્રહલાદ, દિનેશ, સમીર જોષી, સાહિલ વ્હોરા, વિજય જોષી, અલ્કેશ સહિતના જયોતિષીઓની સામે ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે, પરંતુ તેમનો કોઈ જ પત્તો મળી શકયો ન હતો. હાલ પોલીસે તેમના લોકોના મોબાઈલ લોકેશનની તપાસ કરી, જ્યાં તમામ રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, તમામ જ્યોતિષી રાજસ્થાનના રહેવાસી છે.

પરિવારના 6 માંથી 5 લોકોના મોત

વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે ત્રણ દિવસ પહેલા સામૂહિક આત્મહત્યા કરી હતી. પરિવારના મોભી નરેન્દ્ર સોનીએ આખા પરિવારને કોલ્ડ ડ્રીંકમાં ઝેર ભેળવીને પીવડાવ્યું હતું. જેમાં નરેન્દ્ર સોની, તેમની દીકરી તથા પૌત્રનું મોત નિપજ્યું હતું. પુત્ર ભાવિન સોની, પુત્રવધુ ઉર્વી અને નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તી સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ભાવિન સોનીની તબિયત સારી હતી, પરંતુ બંને સાસુ-વહુની હાલત ગંભીર હતી. જેમાં હવે દિપ્તી સોની અને પુત્ર ભાવિન સોનીનું મોત નિપજ્યું છે. આમ, સામૂહિક આપઘાતના મોતનો આંકડો 5 થયો છે.

મોત પહેલા ભાવિને પોલીસ સામે લેભાગુ જ્યોતિષીઓને ખુલ્લા પાડ્યા 

સોની પરિવારનો આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પરિવાર વિખેરાયા બાદ આજે ભાવિન સોનીને અફસોસ થઈ રહ્યો છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ ભાવિને લોકોને જ્યોતિષીઓના ચક્કરમાં ન ફસાવાની સલાહ આપી છે. ભાવિને કહ્યું કે, અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હતા. પરિવારે કેવી રીતે ઝેર પીવાનો નિર્ણય લીધો તે અંગે ભાવિને કહ્યું કે, સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય મારા પિતા નરેન્દ્ર સોનીનો હતો. અમે બધાએ તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ તેઓ માન્યા ન હતા. અમે વિરોધ કર્યો, પણ તેમની સામે અમારી કોઈ જ વાત ચાલી ન હતી. મારા પુત્રને પણ દવા તેમણે જ પીવડાવી હતી. 2018 ના વર્ષથી અમારી પડતીની શરૂઆત થઈ હતી. જ્યોતિષીઓના ચક્કરમાં આવીને અમે અમારું સર્વસ્વ ગુમાવ્યું. જેથી અમારી પાસે સામૂહિક આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ભાવિને કહ્યું કે, મારા પિતા લેભાગુ જ્યોતિષીઓના ચક્કરમાં આવી ગયા હતા. તેમણે આ ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હાત. તો સાથે જ મારો બિઝનેસ પણ સારો ચાલતો ન હતો. પરિવાર ચારેતરફથી ભીંસમાં આવી ગયો હતો. અમારી નાણાકીય સ્થિતિ ખરાબ હતી અને એમાંય પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું.

પરિવારના મોભી સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો

સામૂહિક આપઘાત કેસમાં પોલીસે બે ગુના દાખલ કર્યા છે. જેમાં 9 જ્યોતિષીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો અને મૃતક નરેન્દ્ર સોની સામે પૌત્રને ઝેરી પદાર્થ પીવડાવવાને લઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો. મહત્વની વાત છે કે સામૂહિક આપઘાત કેસમાં નરેન્દ્ર સોની, રિયા સોની અને પાર્થ સોનીનું મોત થયું છે. જ્યારે કે, ભાવિન સોની, દીપ્તિ સોની અને ઉર્વશી સોની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં દીપ્તિ અને ઉર્વશી સોનીની હાલત ખૂબ ગંભીર છે.

(5:25 pm IST)