Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અપમૃત્યુના નડિયાદના જુદા-જુદા બે બનાવમાં બે મોતને ભેટ્યા

નડિયાદ: શહેરમાં અપમૃત્યુના બનેલા બે બનાવમાં બેના મોત થયા હતા જેમાં એક પરિણીત યુવાનને માતાએ ઠપકો આપતા ગળે ફાંસો ખાધો હતો. જ્યારે બીજા બનાવમાં મજૂરી કામે આવેલ શ્રમજીવીનું આકસ્મિક મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ ચંદ્રલોક સોસાયટીમાં ભરતભાઈ નટવરભાઈ મકવાણાના લગ્ન થયા બાદ પત્ની સાથે મનમેળ ન થતા છુટાછેડા થયા હતાં. જેથી ભરત તેની માતા સાથે રહેતો હતો. આ દરમ્યાન ગઈકાલે માતા કાંતાબેને પુત્રને ઠપકો આપતા ભરતભાઈને (ઉંમર ૩૨ વર્ષ)મનમાં લાગી આવતા ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવની જાણ થતા કાંતાબેન નટવરભાઈ મકવાણાને જાણ કરતા નડિયાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ઘરી હતી.
જ્યારે બીજા બનાવ નડિયાદ પશ્ચિમમાં નહેર નજીક આવેલ સોસાયટીમાં બન્યો હતો. જેમાં દિગ્વીજય ચંદુભાઈ ઓજીયા આજે સવારે મજૂરી કામે આવ્યો હતો. આ દરમ્યાન મજૂરી કામ કરતા દિગ્વીજયને અચાનક ચક્કર આવતા પડી ગયો હતો. જેથી શ્રમજીવીને તુરંત જ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દિગ્વીજયભાઈ ચંદુભાઈ ઓજીયા (ઉંમર ૪૦ વર્ષ) રે. અરજાગપુર કોટ)નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડો. નિમેશભાઈ શાહે જાણ કરતા નડિયાદ પશ્ચિમ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:00 pm IST)