Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

હાર્દિક પટેલ, વસ્ત્રાપુરના પૂર્વ PSI સામે વોરંટ જારી કરાયું

પાટીદાર અનામત આંદોલન કાંડ વેળાનો કેસ : મેટ્રોપોલિટન કોર્ટે બંને સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું : સરકારી-જાહેર મિલકતોને નુકસાન કરવાનો મામલો

અમદાવાદ,તા. ૮ : પાટીદાર અનામત આંદોલન દરમ્યાન સરકારી અને જાહેર મિલકતોને નુકસાની સહિતના ચકચારભર્યા કેસમાં છેલ્લી ૧૮ મુદતોથી અદાલત સમક્ષ હાજર નહી રહેનાર પાસના નેતા હાર્દિક પટેલ અને વસ્ત્રાપુર પોલીસમથકના તત્કાલીન પીએસઆઇ રામાનુજ વિરૂધ્ધ અત્રેની મેટ્રોપોલીટન કોર્ટે જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ગત તા.૨૫-૮-૨૦૧૬ના રોજ પાસના કન્વીનર અને યુવા નેતા હાર્દિક પટેલે હેલ્મેટ સર્કલ પાસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉમટેલા લાખો પાટીદારોને ઉશ્કેરણીજનક ભાષણ અને પ્રવચન આપ્યુ હતું અને તેને લઇને બાદમાં શહેર સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જેમાં અમદાવાદ સહિતના વિવિધ સ્થળોએ તોડફોડ, હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી હતી. અમદાવાદ શહેરમાં પણ સરકારી અને જાહેર મિલકતાને નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં અત્રેની મેટ્રોપોલીટન કોર્ટમાં એક ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે કેસની સુનાવણીમાં છેલ્લી ૧૮ મુદતોથી પાસના નેતા હાર્દિક પટેલ અને વસ્ત્રાપુર પોલીસમથકના તત્કાલીન પીએસઆઇ રામાનુજ હાજર નહી રહેતાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે આ વાતની ગંભીર નોંધ લીધી હતી અને બંને જણાં વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. કોર્ટે કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.

(8:39 pm IST)