Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કોંગ્રેસમાં કકળાટને ડામવા હાઈકમાંડે ચૂંટણી ઇન્ચાર્જને દોડાવ્યા

તામ્રધ્વજ સાહુએ કહ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સાથે બેઠક કરીશું, નારાજગીઓ મામલે ચર્ચા કરીશું

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસમાં કકળાટનો દૌર યથાવત રહેતા ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ તામ્રધ્વજ સાહુ ગુજરાત દોડી આવ્યા છે. ચૂંટણી સમયે સપાટી પર આવેલા કકળાટને ડામવા હાઈકમાંડે ચૂંટણી ઇન્ચાર્જને દોડાવ્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી, સંગઠનમાં કકળાટ અને રોજ પડતા રાજીનામાંના પગલે સાહુ ગુજરાતમાં દોડી આવ્યા છે.


અગાઉ પણ ગુજરાત આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણીઓ છે તેની ચર્ચા કરવા આવ્યા છીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સાથે બેઠક કરીશું,બાદમાં પ્રચાર હાથ ધરવામાં આવશે. મોટી પાર્ટી છે કોંગ્રેસ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મહત્વ છે. ટિકિટ તમામને નથી મળતી,નારાજગી વ્યક્ત કરવાથી કઈ મળતું નથી.

તેમણે જણાવ્યું હતું કે, ક્યાંય ચૂક થઈ હોય તો વર્તમાનમાં સુધાર કરવાની જરૂર હોય છે. ચૂંટણીઓ આગામી 5 વર્ષમાં ફરી આવે છે. નારાજગીઓ મામલે ચર્ચા કરીશું, આનો ઉકેલ લાવવો જરૂરી છે. ટિકિટ પૈસા આપીને વહેંચાવમાં આવે છે તે મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવશે.આ હકીકત સામે આવવી જરૂરી છે.

(1:04 pm IST)