Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

મધ્યપ્રદેશ જેવી જ ભાવાંતર સ્કીમ લાવવાની પણ તૈયારી

એમએસપી મુદ્દાને લઇને મદદ કરવા કેન્દ્રને અપીલ : ખેડૂતોની સમસ્યાઓ તરફ વિશેષ ધ્યાન અપાયું : ખેડૂતોને વાજબી એમએસપી ઉપલબ્ધ કરાવવા નવી સ્કીમ લવાશે

ગાંધીનગર,તા. ૯ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમએસપીના મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે. મળેલી માહિતી મુજબ ગુજરાત સરકાર પણ મધ્યપ્રદેશની જેમ જ ભાવાંતર સ્કીમ લાવવા અથવા તો તેલંગાણાની જેમ ઉત્પાદન ખર્ચ લાભ જેવી સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે. મગફળી, કપાસ, બટાકા, ટામેટાના ખેડૂતોને પડી રહેલ તકલીફોનો સામનો કરી રહી છે. તેમની પેદાશો બદલ આ ખેડૂતોને લઘુત્તમ સમર્થન મુલ્ય મળી રહ્યા નથી. આવી સ્થિતિમાં રૂપાણી સરકાર પણ મધ્યપ્રદેશ અથવા તેલંગાણાની દિશામાં આગળ વધીને ખેડૂતોને રાહત આપી શકે છે. રૂપાણી સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ગુજરાતના એમએસપીના મુદ્દાને રજૂ કરવા માટે ઇચ્છુક છે. આ ઉપરાંત ગુજરાત સરકારે હાલમાં જ રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને ઉત્પાદન કરતા ૧.૫ ગણી વધુ એમએસપી ચુકવવા માટે કરવામાં આવેલી જાહેરાત અંગે પણ વિગતો માંગી છે. ઉપરાંત રાજ્યના બજેટમાં આ પ્રકારની સ્કીમનો સમાવેશ કરવા માટેની પણ તૈયારી કરી છે. વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઓછા માર્જિનથી ભાજપને જીત મળી હતી. આ ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાં પાર્ટીની કફોડી હાલત થઇ હતી. ખેડૂત સમુદાયના લોકો ભાજપથી નાખુશ દેખાયા હતા. આવી સ્થિતિમાં પાર્ટી ખેડૂતોના મુદ્દાને લઇને ખુબ જ સંવેદનશીલ દેખાઈ રહી છે. રૂપાણી સરકાર કૃષિ સમસ્યાઓને હલ કરવા માટે શ્રેણીબદ્ધ પગલા લેવા ઇચ્છુક દેખાઈ રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે વ્યાજબી એમએસપી ઉપલબ્ધ કરાવવા ખેડૂતો માટે નવી સ્કીમ લાવવાનો પણ નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશમાં અમલી કરવામાં આવી રહેલી સ્કીમ અથવા તો તેલંગાણામાં અમલી રહેલી સ્કીમોને પણ ગુજરાતમાં લાગૂ કરી શકાય છે. મધ્યપ્રદેશ સરકારે ખેડૂતો માટે બાવાંતર સ્કીમ શરૂ કરેલી છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને માર્કેટ કિંમત અને એમએસપી વચ્ચેના અંતરની રકમ સીધીરીતે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતો સીધીરીતે માર્કેટ કિંમતમાં તેમની પેદાશો વેચી શકે છે. આવી સ્થિતિમાં સરકારને ખરીદવા અને સ્ટોર કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત મોટી સંખ્યામાં સરકારી સંશાધનોનો બચાવ પણ થઇ શકે છે. સરકાર તેલંગાણામાં જે રીતે નવી સ્કીમ અમલી છે તે જ રીતે એક સ્કીમ લાવવા વિચારી રહી છે.

તેલંગાણામાં સરકારે વાવણી પહેલા ખેડૂતોને ઉત્પાદન ખર્ચના ભાગરુપે કેટલીક રકમ ચુકવે છે. વાવણી પહેલા ખેડૂતોને ખર્ચની રકમનો એક હિસ્સો ચુકવી દેવામાં આવે છે. મધ્યપ્રદેશ અને તેલંગાણાના મોડલો ખેડૂતોમાં પણ લોકપ્રિય થયા છે. ગુજરાતની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ પ્રકારના મોડલ અસરકારક સાબિત થઇ શકે છે. રાજ્ય સરકાર બંને મોડલોને અમલી બનાવવાના પ્રયાસમાં છે. સુત્રોનું કહેવું છે કે, નીતિ આયોગનો સંપર્ક આ સંદર્ભમાં કરવામાં આવીચુક્યો છે. એમએસપી માટે નવી દેશવ્યાપી ફોર્મ્યુલા ઉપર નીતિ આયોગ સાથે જોડાયેલા લકો કામ કરીરહ્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ નવી હિલચાલ શરૂ થઇ ચુકી છે.

(8:25 pm IST)