Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

માધવસિંહ સોલંકીને પાન ખાવાનો ભારે શોખ હતોઃ વહેલી સવારે 5 વાગ્‍યે ઉઠીને 3 થી 4 કલાક વાંચન કરતાઃ ઘરના ભોંયરામાં લાઇબ્રેરી બનાવી હતી

ગાંધીનગર: પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતીઓએ દુખ વ્યક્ત કર્યું છે. માધવસિંહ સોલંકી ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા. માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠક મળી હતી. માધવસિંહ સોલંકી 'ખામ થિયરી'થી જાણીતા થયા હતા અને કેન્દ્રીય મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. એટલું જ નહિ, માધવસિંહ સોલંકીના નામે ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ 149 બેઠકો જીતવાનો રેકોર્ડ છે. માધવસિંહ સોલંકી પત્રકાર, રાજકારણ અને સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા. મફત કન્યા કેળવણી અને મધ્યાહન ભોજન યોજના સહિત અનેક યોજનાઓ તેમના સમયમાં શરૂ થઈ હતી. માધવસિંહના નિધનને પગલે રાજ્યમાં એક દિવસનો શોક પણ જાહેર કરાયો છે.

ઘરના ભોંયરામાં માધવસિંહે લાઈબ્રેરી બનાવી હતી

માધવસિંહ સોલંકીના નિધનના સમાચાર સાંભળીને ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં શોક વ્યાપી ગયો છે. તો અનેક નેતાઓ સહિત તેમના સમર્થકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. માધવસિંહ સોલંકીના માનસ પુત્ર તરીકે ઓળખાતા બાબુ કાકાએ માધવસિંહ સોલંકીનો નિત્યક્રમ વર્ણવ્યો હતો. બાબુ કાકા માણસાના પૂર્વ ધારાસભ્ય છે. તેમણે જણાવ્યું કે, માધવસિંહ સોલંકીને પાન ખાવાનો ખૂબ શોખ હતો અને તેઓ નિયમિત પાન ખાતા હતા. માધવસિંહ સોલંકી આટલી ઉંમરે પર નિયમિત રીતે વહેલી સવારે ઉઠી જતા હતા. એટલુ જ નહિ, નિત્યક્રમ મુજબ તેઓ પોતાના ઘરમાં કામ પણ કરતા હતા. સવારે ચાર-પાંચ વાગે ઉઠી જવાના નિત્યક્રમને કારણે વહેલા પરવારી તેઓ વાંચનની પ્રવૃત્તિ કરતા હતા.

બધા જ જાણે છે કે, માધવસિંહને વાંચનનો બહુ જ શોખ હતો. બાબુ કાકાએ જણાવ્યું કે, પોતાના જ નિવાસસ્થાનમાં ભોંયરામાં માધવસિંહે લાઈબ્રેરી બનાવી હતી. તેઓ નિયમિત રીતે ત્રણથી ચાર કલાકનું વાંચન કરતા હતા. માધવજીભાઈ વાંચતા હોય ત્યારે એટલા બધા મગ્ન થઈ જતા કે, બાજુમાંથી કોઈ પસાર થાય તો પણ તેમને કંઈ ખબર ન પડે. સતત હું એમની પડખે રહ્યો છું.

લોકોના હૃદયમાં પોતાની છબી બેસાડનાર માણસે આજે વિદાય લીધી - અમિત ચાવડા

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને અમારા વડીલે આજે વિદાય લીધી છે. આજે આપણે રાજનેતાની સાથે સાથે લોકનેતા ગુમાવ્યા છે. ગુજરાતમાં ચાર ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા અને કેન્દ્રમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. મધ્યાહન ભોજન, બક્ષીપંચની કામગીરી હોય તે તમામ લોકોને યાદ છે. સામાન્ય માણસના હ્ર્દયમાં પોતાની છબી બેસાડનાર માણસે આજે વિદાય લીધી છે. સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. આવતીકાલે માધવસિંહ સોલંકીના દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બપોર પછી તેમની અંતિમવિધિ કરવામાં આવશે. તેમના પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ વિધિનું સ્થાન નક્કી કરવામાં આવશે.

(5:31 pm IST)