Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમિતા જોષી આપઘાત કેસમાં બંને નણંદોને જામીન મળ્યા

પતિ સુરત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે : બંને નણંદો મૃતકથી અલગ રહેતી હતી તેવામાં અમિતા જોષીને ત્રાસ આપવાના આક્ષેપો તથ્ય વિહોણા : વકીલ

સુરત,તા.૮  : પીએસઆઈ અમિતા જોષીના આપઘાતના કેસમાં કોર્ટે મૃતકની બંને નણંદને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. અમિતા જોષીના પિતાએ તેમના પતિ તેમજ અન્ય સાસરિયા સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે અમિતા જોષીના સાસુ-સસરા, પતિ તેમજ બે નણંદની ધરપકડ કરી હતી. સુરતની જિલ્લા અને સેશન્સ કોર્ટે અમિતા જોષીની બે નણંદ મનિષા ભટ્ટ (ઉં. ૩૭ વર્ષ) અને અંકિતા મહેતા (ઉં. ૩૧ વર્ષ)ને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત ૫ ડિસેમ્બરના રોજ અમિતા જોષીએ પોતાની નણંદ સાથે ફોન પર વાત ચાલુ હતી ત્યારે જ પેટમાં સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છોડી આપઘાત કર્યો હતો. અમિતા જોષી સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમણે ફાલસાવાડીમાં આવેલા પોતાના ક્વાર્ટરમાં અંતિમ પગલું ભર્યું હતું. મૃતકને ચાર વર્ષનો એક દીકરો પણ છે, જે હાલ તેમના સાસરિયા પાસે જ છે. અમિતા જોષીનો પતિ વૈભવ વ્યાસ પણ સુરત શહેર પોલીસમાં જ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે.

            મહિધરપુરા પોલીસે અમિતા જોષીના સાસરિયાની ૨૩ ડિસેમ્બરના રોજ ધરપકડ કરી હતી, અને તેમને લાજપોર જેલમાં મોકલી અપાયા હતા. તેમની નણંદો દ્વારા કરવામાં આવેલી જામીન અરજીમાં તેમના વકીલ જી.આઈ. દેસાઈએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં જ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં કંઈ નવું નથી. વળી, તેમાં આપઘાતની દુષ્પ્રેરણા અપાઈ હોવાની પણ કોઈ વાત નથી. મૃતકની નણંદો તેમનાથી અલગ પોતાના પતિઓ સાથે રહે છે, જેથી તેમના દ્વારા મૃતકને શારીરિક કે માનસિક ત્રાસ આપવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. મૃતક અમિતા જોષીના પિતા પણ પૂર્વ પોલીસકર્મી છે, અને તેમણે અમિતા જોષીના સાસરિયા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં અમિતા જોષીને સાસરિયા ત્રાસ આપતા હોવા ઉપરાંત તેમના પતિ વૈભવ વ્યાસને પરસ્ત્રી સાથે સંબંધ હોવાના પણ ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં એવું પણ જણાવાયું હતું કે એકવાર અમિતા જોષીએ પોતાના પતિને પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. અમિતા જોષીએ પોતાની બહેન સાથે ફોન પર આ અંગે વાત કરી હતી, અને તે કોલનું રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે ફરિયાદ સાથે રજૂ કરવામાં આવ્યું હતું.

(9:09 pm IST)