Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રૂઢીચુસ્તતાને તિલાંજલી : ચુંદડી પ્રથાને લગ્ન પ્રસંગમાં ફેરવ્યો : ચોમેરથી શુભેચ્છા

રાજપૂત સમાજના બે પરિવારે લાખોનો ખર્ચ બચાવી સમાજને નવો રાહ ચિંધ્યો : વર-વધુ બન્ને એન્જીનીયર : પરમાર -મહિડા પરિવારને સમાજના અગ્રણીઓએ અભિનંદન આપ્યા

બારડોલી,તા.૮: રાજપૂત સમાજમાં સામાજિક પ્રસંગોના જૂના અને રૂઢિચુસ્ત રીતિ રિવાજોને તિલાંજલિ આપવામાં આવી રહી છે. યુવાનોમાં વધી રહેલા શિક્ષણના પ્રમાણને કારણે સામાજિક પ્રસંગોમાં થતાં લખલૂંટ ખર્ચને કેવી રીતે બચાવી શકાય તે માટેની સમજ વિકસિત થતાં રાજપૂત સમાજના અનેક પરિવારો ચુંદડી પ્રથાને લગ્ન પ્રસંગમાં ફેરવી સમાજને એક નવી દિશા ચીંધી રહ્યા છે.

ત્યારે વાલોડ તાલુકાના અંધાત્રી યુવક અને માંડવી તાલુકાના તરસાડા બાર ગામની યુવતીએ પણ મંગળવારના રોજ તેમની ચુંદડી પ્રથાને લાંગ પ્રસંગમાં ફેરવી સમાજ માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સામાજિક પ્રસંગની વિગત એવી છે કે, માંડવી તાલુકાનાં તરસાડા બાર ગામના સ્વ. અર્જુનસિંહ નાથુસિંહ મહિડા અને કુંદનબેનની પુત્રી પ્રિયાના લગ્ન વાલોડ તાલુકાનાં અંધાત્રી ખાતે રહેતા સંજયસિંહ પરમાર અને હેમલતાબેન પરમારના પુત્ર પુષ્પરાજસિંહ સાથે નક્કી થયા હતા. પ્રિયાએ એન્જિીનયરીંગમાં માસ્ટરની ડિગ્રી મેળવી હાલ તે ઉમરાખ કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવે છે. જયારે પુષ્પરાજ એન્જિીનયરીંગમાં બેચલરની ડિગ્રી મેળવી હાલ કેનેડામાં સ્થાયી થયા છે. મંગળવારના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ તરસાડા ખાતે ચુંદડી પ્રથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં વરપક્ષ અને કન્યા પક્ષના લોકોએ સામાજિક રિતરિવાજોથી ઉપર ઉઠી ચુંદડી પ્રથાને લગ્ન પ્રસંગમાં ફેરવવાનું નક્કી કર્યું હતું અને ચર્ચાવિચારણા કરી તત્કાલીક શાસ્ત્રોકત વિધિ મુજબ લગ્નપ્રસંગ યોજવામાં આવ્યો હતો અને દીકરીને સાસરે વિદા કરવામાં આવી હતી. સમાજને નવી રાહ ચીંધવા બદલ સમાજના અગ્રણીઓએ કન્યા પક્ષ અને વર પક્ષને અભિનંદન પાઠવ્યા હતા.

(10:58 am IST)