Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

માઇક્રોહાઇબ્રીડ એસી તૈયાર કરાયું: વીજળીનું બિલ બચશે

અમદાવાદના નૃજલ પટેલે ખાસ એસી બનાવ્યું: સામાન્ય લોકો એસીનો ઉપયોગ કરી શકશે, પાંચ વર્ષની વોરંટી નહી પણ ગેરેંટી : ભાવ પણ બ્રાન્ડેડ એસીથી ઓછા

અમદાવાદ,તા.૮ : હવે આગામી દિવસોમાં મોંઘા બજેટના અને વીજળીનું તોતીંગ બીલ લાવતાં એર કન્ડીશનર(એસી)ના બદલે માઇક્રોહાઇબ્રીડ, એકદ સસ્તા, સમાજના તમામ વર્ગોને પોષાય તેવા દરે અને વીજબીલમાં ૭૦ ટકા સુધી રાહત આપતાં એર કન્ડીશનર બજારમાં જોવા મળશે. અમદાવાદના નૃજલ પટેલ નામની વ્યકિતએ અનોખા ઇનોવેટીવ માઇક્રોહાઇબ્રીડ એસીની શોધ કરી છે, જે આગામી માર્ચ મહિના સુધીમાં ગુજરાતના બજારમાં જોવા મળશે. આ માઇક્રોહાઇબ્રીડ એસીની નોંધનીય વિશેષતા એ છે કે, તે ઇકોફ્રેન્ડલી ગેસથી ચાલે છે અને તેનાથી ઓઝોને લેયરને ઝીરો ટકા અસર થાય છે. જેની સામે હાલના જાણીતી કંપનીઓના એસીથી ઓઝોન લેયરને ૩૨ ટકા સુધી નુકસાન પહોંચતુ હોવાનો દાવો નૃજલ પટેલે કર્યો હતો. કંઇક અનોખા અને ક્રાંતિ સર્જતા એસીની શોધ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે વાત કરતાં નૃજલ પટેલે જણાવ્યું હતું કે, તે કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેથી કામ કરતા મજૂરો અને તેમના પરિવારજનોને પરસેવે રેબઝેબ જોતો અને તેઓની કફોડી હાલત જોઇને આપણી જેમ જો તેઓને પણ એસી ચેમ્બરમાં બેસવા કે સૂવાની ઠંડક મળે તો કેવું તેવો વિચાર આવ્યો અને તેથી ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગને પણ પોષાય તેવા પ્રકારના અને ગુણવત્તાયુકત એસી બનાવવાનું નક્કી કર્યું. ચાર વર્ષની મહેનતના અંતે હું તમામ વર્ગને પોષાય તેવું એફોર્ડેબલ એસી બનાવી શકયો. નૃજલ પટેલે તેમના માઇક્રોહાઇબ્રીડ એસી અને હાલની જાણીતી કંપનીઓના એસી વચ્ચેના નોંધપાત્ર તફાવતની વાત કરતાં જણાવ્યું કે, અમારા એસી તમામ લોકો એફોર્ડ કરી શકશે, હાલના જાણીતી કંપનીઓના એસી કરતાં તેની કિંમત સાવ અડધી હશે. હાલના એસીમાં ઝેરી ગેસનો ઉપયોગ થાય છે, જેની સામે અમારા એસીમાં ઇકો ફ્રેન્ડલી ગેસનો ઉપયોગ થાય છે. સામાન્ય એસી ૬થી૮ એમ્પીઅર પાવરનો ઉપયોગ કરે છે, જેની સામે આ માઇક્રોહાઇબ્રિડ ટેક્નોલોજીથી ડિઝાઇન કરાયેલા એસી માત્ર ૨થી ૨.૫ એમ્પીઅર પાવરનો ઉપયોગ કરે છે. જેને લઇ વીજબીલમાં નાગરિકોને ૭૦ ટકા સુધીની રાહત મળશે. એટલું જ નહી, આ માઇક્રોહાઇબ્રીડ એસીમાં ગ્રાહકોને પાંચ વર્ષની વોરંટી નહી પરંતુ ગેરેંટી અપાશે એટલે કે, જો સાડા ચાર વર્ષ પછી પણ એસી બગડયુ તો, તેમને રિપ્લેસ કરી અપાશે. ૧.૨ અને ૧.૫ ટન એમ વેરીએન્ટસમાં રજૂ થનારા આ એસી માર્ચ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અને ત્યારબાદ ભારતભરમાં લોન્ચ કરી દેવાશે એમ નૃજલ પટેલે ઉમેર્યું હતું. તેમણે એ પણ જાહેરાત કરી હતી કે, એસીની તેમની પ્રોડક્ટ હાલ ૨૮ ટકા જીએસટીના સ્લેબમાં છે, તેથી અમે રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે, જો અમને રાહત અપાય તો, અમે તે તમામ રાહતના પૈસા ઘેર-ઘેર આ માઇક્રોહાઇબ્રીડ એસી ઉપલબ્ધ બનાવાય તે માટે આમજનતાની રાહતમાં ઉપયોગ કરીશું.

(9:40 pm IST)