Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આણંદ તાલુકાના સુંદણ ગામ નજીક નજીવી બાબતે થયેલ ઝઘડાની રીસ રાખી યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો

આણંદ:તાલુકાના સુંદણ ગામે બકરીઓ પાણી પી જવાની સામાન્ય રીષમાં એક યુવકની હત્યા કરાઈ હોવાના બનાવે ગામમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે વાસદ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા શખ્શને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુંદણ ગામે આવેલા ભાથીજી મંદિર નજીક રહેતો ૨૩ વર્ષીય ગીરીશ કનુભાઈ તળપદા પશુપાલન કરી જીવન ગુજરાન ચલાવતો હતો. બે દિવસ પૂર્વે તે પોતાની બકરીઓ સીમમાં ચરાવીને ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં લક્ષ્મણભાઈ માનાભાઈ ભોઈના ઘર આગળ મુકેલ ડોલમાંથી બકરીઓએ પાણી પીધું હતું. જેથી લક્ષ્મણભાઈએ ગીરીશને તારી બકરીઓએ પાણી બગાડયું તેમ કહી ઠપકો આપ્યો હતો. દરમ્યાન ગતરોજ પુનઃ ગીરીશ પોતાની બકરીઓ લઈ તળાવ ખાતે ચરાવવા ગયો હતો. જ્યાં લક્ષ્મણભાઈ લાકડાનો ડંડો લઈને આવી ચઢ્યો હતો અને ગઈકાલે તારી બકરીઓએ મારું પાણી બગાડયું હતું અને જો આજે બગાડયું તો જોવા જેવી થશે તેમ કહી ગીરીશને ગમે તેમ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. 

દરમિયાન ગીરીશે અપશબ્દો બોલવાની ના પાડતા લક્ષ્મમભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડાનો ડંડો ગીરીશના માથાના ભાગે ફટકારી દેતાં ગીરીશ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડયો હતો. દરમ્યાન આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરતા ૧૦૮ મોબાઈલ વાન મારફતે ગીરીશને વાસદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

(6:04 pm IST)