Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

"રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી-૨૦૨૧" આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ કેવડિયા ખાતે યોજાશે : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે

કેદ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ કેવડિયા ખાતે સમિક્ષા બેઠક યોજી : પોલિસવડા આશિષ ભાટિયાએ રાષ્ટ્રિય એકતા પરેડ સંદર્ભે રાજયમા થઈ રહેલી તૈયારી અંગે માહિતી આપી

રાજકોટ તા.૮ લોહ પુરુષ એવા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના એકીકરણના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી તા. ૩૧મી ઓક્ટોબરે કેવડીયા-નર્મદા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રિય એકતા દિવસની  રાષ્ટ્રિય ક્ક્ષાની ઉજવણી થનાર છે. આ ઉજવણી માટે થઈ રહેલી તૈયારીઓ અને કામગીરીની સમિક્ષા ભારત સરકારના ગૃહ સચિવ શ્રી અજય ભલ્લાએ આજે કેવડિયા ખાતે કરી હતી. 

કેવડિયા સરકીટ હાઉસ ખાતે યોજાયેલ આ સમિક્ષા બેઠકમા કેદ્રિય ગૃહ સચિવ શ્રી એ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમા યોજાનાર કાર્યક્રમો સંદર્ભે સવિસ્તૃત ચર્ચા કરી હતી અને આયોજન અંગે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યુ હતું. વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કેવડિયા ખાતે થનાર આ ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે 

આ બેઠકમાં રાજયના પોલિસવડાશ્રી આશિષ ભાટિયાએ રાષ્ટ્રિય એકતા પરેડ સંદર્ભે રાજયમા થઈ રહેલી તૈયારી અંગે માહિતી આપી હતી ત્યારબાદ એડિશનલ ડી.જી.પી શ્રી રાજુ ભાર્ગવે રાષ્ટ્રિય એકતા પરેડમા જે લોકો સહભાગી થવાના છે એની વિસ્તૃત વિગતો આપતું પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી આપી હતી.જયારે જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી માટે સુચારૂ રીતે વ્યવસ્થાપન અને જરૂરી વિગતો આપતુ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. જિલ્લા પોલિસ વડાશ્રી હિમકરસિહે આ ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સહિત પાર્કિગ અને અન્ય વ્યવસ્થા માટેની સવિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી. 

આ બેઠકમાં ઈન્ટેલીજન્સ બ્યુરોના ડાયરેકટરશ્રી, સી.આર.પી.એફ ના ડી.જી.પી શ્રી પુન્ય સલીલા શ્રી વાસ્તવ, એમ.એચ.એના જોઇન્ટ ડાયરેકટર શ્રી અનીષ દયાલ સિગ સહિત રાજય સરકારના સંબંધિત વિભાગના સનદી અધિકારીઓ અને પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ એ ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. 

આ કેન્દ્રિય ટીમે સમિક્ષા બેઠક બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની પાદપૂજાની તથા પરેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા

દિલીપ ગજજર

(3:41 pm IST)