Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

માનવ અને શ્વાન વચ્ચેનું અલૌકિક ઋણાનુબંધન

સુરતના ખ્યાતનામ સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો.પ્રકાશ બરવાળીયા અને તેના પરીવારજન સમા ડોગ 'ટોમ' વચ્ચેના અકલ્પનીય સંબંધોના તાણાવાણા : ૮ વર્ષના ટોમે ફાની દુનિયા છોડતા ઓશો સન્યાસી પ્રકાશ સ્વામી અને પરિવારે તેની અંતિમ ક્રિયા - બેસણું પણ રાખ્યુ : કલીનીક હોય કે ઓશો આશ્રમ હોય કે સાધના ચાલુ હોય ટોમ સતત પ્રકાશભાઈની સાથે જ રહેતો, ધ્યાનમગ્ન બની જતો

બંન્ને વચ્ચે એટલી આત્મીયતા હતી કે ડોકટર સાહેબ ઘરથી એક કિ.મી.દુર હોય ત્યાં જ ટોમ દરવાજે જઈ ઉછળકુદ કરતોઃ ડો.પ્રકાશ બરવાળીયા વિદેશ પ્રવાસ જતા ત્યારે વિડીયો કોલીંગ કરી ટોમને જમાડવો પડતો : ભાવવિભોર કરી દયે તેવી સંવેદના સર્જતી સત્ય ઘટના

રાજકોટ,તા.૮: મુળ અમરેલીના થોરડી ગામના ડો.પ્રકાશભાઈ બરવાળીયા સુરતમાં સ્કીન સ્પેશ્યાલીસ્ટ તરીકે ખૂબ જ નામના ધરાવે છે. ઓશો સન્યાસી પણ છે. સુરત ઉપરાંત અમદાવાદ, બરોડા અને લંડનમાં સ્કીન હોસ્પીટલ ધરાવતા પ્રકાશભાઈ અને તેમના શ્વાન ''ટોમ'' વચ્ચેના રૂણાનુબંધ અકલ્પનીય અને અવિશ્વસનીય છે. તાજેતરમાં જ ''પગ'' બ્રીડના શ્વાન ''ટોમ''નું બિમારી બાદ ૮ વર્ષની ઉંમરે અવસાન થતા બરવાળીયા પરિવારમાં સ્વજન જવા જેટલા દુઃખનું મોજુ ફરી વળ્યું છે. 'પગ' બ્રીડના શ્વાન, ફેમીલી ડોગ અને વોડાફોન ફેઈમ ડોગ તરીકે જગપ્રસિદ્ધ છે.

પ્રકાશભાઈના લઘુબંધુ જનકભાઈ (મો.૯૮૨૪૫ ૭૧૦૧૫ અને ૯૯૦૯૯ ૦૭૩૧૨) એ ''અકિલા'' સાથેની ટેલીફોનીક વાતચિતમાં ટોમ અને ડો.પ્રકાશ બરવાળીયા વચ્ચેની આત્મીયતા ઉજાગર કરી હતી. જનકભાઈએ જણાવેલ કે ૩ મહિનાનો ટોમ સૌપ્રથમવાર ઘરમાં આવ્યો ત્યારે ખુશીનું મોજુ ફરી વળ્યુ હતું. ટોમ ધીમે ધીમે પરિવારનો સભ્ય બની ગયો હતો. કોઈપણ તહેવાર કે પ્રસંગ હોય સ્વજનની જેમ ટોમની પણ હાજરી અચુક હોય જ. પ્રકાશભાઈ અને ટોમ ૨૪ કલાક સાથે રહેતા, તેમ કહીએ તો ખોટું નથી.

પ્રકાશભાઈ સાથે તેમના કલીનીકે પણ ટોમ જતો. ડોકટર દર્દીને ચેક કરતા હોય ત્યારે ટોમ બાજુમાં જ હોય. જાણે તે પણ માનવીના દર્દને સમજતો હોય. સતત સાથે રહેવાથી ટોમ અને ઓશોના સન્યાસી એવા ડો.પ્રકાશભાઈ બરવાળીયા એક- બીજાની ભાષા સમજતા હતા. બન્નેને એક બીજા વિના ચાલતુ જ ન હતું.

ટોમ એટલી હદે પ્રકાશભાઈ સાથે આત્મીય થઈ ગયો હતો કે ૧ કિલોમીટર દુરથી જ તેમના આવતા હોવાની ખબર પડી જતી અને ટોમ દરવાજે જઈ ઉછળકુદ કરવા લાગતો હતો. જનકભાઈએ વધુમાં જણાવેલ કે અમારે પ્રકાશભાઈને પૂછવું પણ ન પડતુ કે તમે ઘરે કયારે આવો છે. ટોમના વર્તન ઉપરથી જ ખ્યાલ આવી જતો કે પ્રકાશભાઈ નજીકમાં જ છે.

ડોકટર હોવાની સાથો- સાથ પ્રકાશભાઈ ઓશોના અનુયાયી પણ છે. તેમણે વાપી પાસેના નારગોલમાં કુદરતના સાન્નિધ્યમાં ઓશો ધ્યાન આશ્રમ સ્થાપ્યો  છે. વર્ષમાં એક વખત પ્રકાશ સ્વામી નારગોલ ઓશો આશ્રમમાં ૧ મહિનો મૌન સાધના કરવા છેલ્લા ૧૫ વર્ષથી જાય છે. ટોમના આવ્યા બાદ તે પણ તેમની સાથે મૌન સાધનામાં જતો, સાધનાની ક્રિયાઓ પણ મનુષ્યની જેમ જ ટોમ કરતો.

જયારે પણ ડોકટરને વિદેશ જવાનું કે ૨- ૩ દિવસ એકલા જવાનું થતું ત્યારે ટોમ માટે મુશ્કેલી સર્જાતી. પ્રકાશભાઈ બહારગામ કે વિદેશ જાય ત્યારે ટોમ અન્ન- જળ ત્યાગી દેતો. આ પરિસ્થિતિના ઉપાયરૂપે પ્રકાશભાઈ વિડીયો કોલ કરી ટોમને જમવા અને પાણી પીવા જણાવતા અને તે પછી જ ટોમ ભોજન કરતો.

ટોમને થોડા સમય પહેલા શરીરે ગાંઠ નિકળી હતી. ડોકટરે ટોમની સારવાર મુંબઈની ખાનગી હોસ્પીટલમાં કરાવી હતી. ૮ વર્ષીય ટોમ ઉપર એક પછી એક ત્રણ ઓપરેશનો કરવામાં આવ્યા હતા. છેલ્લા ૭ દિવસ પ્રકાશભાઈએ પણ ટોમની સેવામાં નિરાંતે ખાધુ પીધુ પણ ન હતુ. સારવાર કારગત ન નિવડતા તા.૩ના રોજ ટોમનું ૮ વર્ષની વયે મુંબઈની હોસ્પીટલમાં અવસાન થયુ હતુ. પોતાના સ્વજનની વસમી વિદાયથી બરવાળીયા પરિવાર દુઃખમાં ગરકાવ થઈ ગયો હતો. ટોમની અંતિમવિધી નારગોલના ઓશો આશ્રમ ખાતે કરવામાં આવી હતી. તેમજ સ્વજન ટોમનું પુણા ગામ, સુરત ખાતે બેસણું પણ રાખવામાં આવ્યુ હતું.

ડો.પ્રકાશભાઈ બરવાળીયા શ્વાન પ્રેમી છે. તેમણે પોતાના વતન અમરેલીના થોરડી ગામે ફાર્મ હાઉસમાં પણ લેબ્રાડોર જાતિના સાત શ્વાન પાળ્યા હતા. પોતાના સ્વજનસમા ટોમનું નિધન થતા ડોકટર સહિત તમામ પરિવારજનો અત્યંત ભાવુક બની ગયા છે.

જવેલ્લે જ જેવા મળે તેવો ટોમ અને પ્રકાશભાઈ વચ્ચેના લાગણીના આ અતૂટ પારલૌકિક બંધનોની સત્ય ઘટનાથી આપણે પણ ભાવવિભોર બની જઈએ એ નિશ્ચિત છે... ઓમ શાંતિ શાંતિ શાંતિ...

ઉપરોકત તસ્વીરમાં 'પગ' બ્રીડના લાડકવાયા 'ટોમ'ની વિદાયથી ઓશો સન્યાસી અને ખ્યાતનામ સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો.પ્રકાશ બરવાળીયા પરીવાર શોકાતુર બની ગયેલ છે. ટોમ સાથે પ્રકાશભાઈનો નાતો જાણે જન્મોજન્મનો હોય તેવો ભાવ જોવા મળતો હતો. ૮ વર્ષના ટોમની ચીરવિદાયથી પ્રકાશભાઈ અને પરીવાર શોકાતુર બની ગયેલ. તસ્વીરમાં પ્રકાશ સ્વામી સાથે સવાસન મુદ્રામાં 'ટોમ' નજરે પડે છે તો ડોકટર સાથે નૈસર્ગિક વાતાવરણમાં પ્રકૃતિ માણી રહેલો પણ જોવા મળે છે. એક પરીવારના બાળકની જેમ 'ટોમ' પ્રકાશભાઈ સાથે ખાટલા ઉપર લંબાવી દેતો પણ દર્શાય છે. પરીવારની દિકરીઓ 'ટોમ'ને રક્ષાબંધનના દિવસે રાખડી પણ બાંધતી. ટોમની વિદાય થતા પરીવારના સભ્યની વિદાય થઈ હોય તેમ જ અખબારોમાં બેસણાની જાહેરાત પણ પરીવારે આપી, પરીવારની બહેનો અને પરીવારજનોએ 'ટોમ'ને સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે તમામ વિધિ કરી અંતિમ વિદાય અને બેસણુ પણ રાખેલ જે નજરે પડે છે. શ્વાન સાથેની આવી આત્મીયતા જવલ્લે જ જોવા મળે છે.... (તસ્વીરો : સૌજન્ય : જનકભાઈ બરવાળીયા, સુરત)

(3:18 pm IST)