Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

પંચમહાલના છાણીપ ગામ પાસે બાઇકો વચ્ચે દુર્ઘટના : ૩ મોત

ત્રણ યુવકોના મોતને લઇ સમગ્ર પંથકમાં શોક : શહેરાના ચાંદલગઢ-છાણીપ ગામની વચ્ચે વહેલી સવારે ત્રણ વાગે બે બાઈકોની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

અમદાવાદ, તા.૮ : પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં વહેલી પરોઢે ત્રણ વાગ્યાના અરસામાં છાણીપ અને ચાંદલગઢની વચ્ચે બે બાઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં ત્રણ યુવકોના  ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. શહેરા પોલીસે અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજીબાજુ, અકસ્માતને પગલે અને ત્રણ યુવકોના એકસાથે મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, પરિવારજનોમાં શોકનો માતમ પથરાયો હતો. અક્સ્માત બાદ એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પંચમહાલ જીલ્લામાં નવરાત્રીનો છેલ્લો દિવસ જાણે ગોઝારો બન્યો હતો અને ત્રણ યુવકનો ભોગ લેવાયો હતો. 

  આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરા તાલુકાના ચાંદલગઢ અને છાણીપ ગામની વચ્ચે વહેલી સવારે ત્રણ વાગે બે બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ યુવાનો શહેરા તાલુકાના હોવાની અને આ યુવાનો નવરાત્રી નિહાળીને પોતાના ઘરે જઈ રહ્યા હોવાની વાત સામે આવી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે આસપાસના સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ થતા શહેરા પોલીસ તેમજ એમ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી. ત્રણેય યુવકના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલાં જ  ભાદરવા મહિનામાં અંબાજીપગપાળા સંઘ જતા પદયાત્રીઓને કાર ચાલકે શહેરા તાલુકાના જ લાભી પાટીયા ગામ પાસે અડફેટે લેતા દાહોદ જીલ્લાના ત્રણ આશાસ્પદ યુવાનો મોત થયા હતા.

(8:32 pm IST)