Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

કાલે મુખ્યમંત્રી ગાંધીનગરથી રાજ્યના ર૬ જિલ્લાઓમાં ‘‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર’’નો પ્રારંભ કરાવશે

ઉત્તરાયણ દરમ્યાન ‘કરૂણા અભિયાન’ને મળેલી સફળતાને પગલે મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણય

અમદાવાદ :મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી કાલે મંગળવાર તા.૯ ઓકટોબરે રાજ્યના ર૬ જિલ્લાઓમાં મૂંગા પશુ-પક્ષી જીવોની સારવાર, ઇમરજન્સી સેવા અને ચિકિત્સા માટે ‘કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬ર’નો શુભારંભ કરાવશે. 

  ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧ ના નર્મદા હોલમાં મંગળવારે સવારે ૧૦-૩૦ વાગ્યે યોજાનારા આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ પણ ઉપસ્થિત રહેવાના છે. 

મુખ્યમંત્રી આ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬રને ફલેગ ઓફ આપી સંબંધિત જિલ્લાઓમાં પ્રસ્થાન કરાવશે. 

મુખ્યમંત્રીએ સંવેદનાસભર અભિગમ દર્શાવી મકરસંક્રાંતિ – ઉત્તરાયણ વેળાએ પતંગના દોરાથી ઘાયલ-ઇજાગ્રસ્ત થતાં પક્ષીઓની તત્કાલ સારવાર માટે ‘કરૂણા અભિયાન’ શરૂ કરાવ્યું હતું. 

આ અભિયાનને મળેલી વ્યાપક સફળતાને પગલે ૧૦૮ આપાતકાલિન સેવાઓ જેમજ કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર સેવાઓ અગ્રતાના ધોરણે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જિલ્લા અને મહાપાલિકા તથા મહેસાણા, પાલનપુર, ભાવનગર એમ કુલ ૧૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર સેવા ૨૦૧૭થી ઉપલબ્ધ બનાવી છે. આ સેવાઓ દ્વારા રર હજાર પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ અબોલ પશુજીવોની સેવાના આ યજ્ઞને વધુ વ્યાપક ફલક આપવા પશુપાલન વિભાગને પ્રેરિત કર્યુ છે. તેના પગલે રાજ્યના ર૬ જિલ્લાઓ આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, નડિયાદ, ગાંધીનગર, ગીર-સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી, કચ્છ, ડાંગ, વલસાડ, મહિસાગર, નવસારી તેમજ તાપી, ભરૂચ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર તથા નર્મદામાં આવતીકાલથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬રનો પ્રારંભ કરવામાં આવશે.

(1:38 am IST)