Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

કોરોનામાં 40થી વધુ સીટી વેલ્‍યુ હોય તો તે પરિસ્‍થિતિ સારી માનવામાં આવે છેઃ અમદાવાદના એમ.ડી. ફિઝીશ્‍યન ડો. પ્રવિણ ગર્ગના કેટલાક ખુલાસા

અમદાવાદ: કોરોના થયો છે કે નહીં તેની જાણ માટે RT - PCR ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ સાથે આપવામાં આવતા CT વેલ્યુને લઈ થતી જુદી જુદી પ્રકારની ચર્ચા થતી રહે છે. જે પણ વ્યક્તિ તપાસમાં કોરોના સંક્રમિત મળે તેને પોતાની સીટી વેલ્યૂ માલૂમ હોવી જરૂરી છે. ત્યારે અમદાવાદના MD ફિઝિશિયન ડોકટર પ્રવીણ ગર્ગે કેટલાક ખુલાસા કર્યા હતા.

તેઓએ CT વેલ્યૂ વિશે મહત્વની જાણકારી આપતા કહ્યું કે, CT વેલ્યુ 24ની ઉપર હોય તો દર્દી માટે ચિંતાનો વિષય ન હોવાની વાત અનેક લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે CT વેલ્યુ પર નિર્ભર ના રહેવા ICMR દ્વારા સ્પષ્ટ સૂચન કરાયું છે. CT વેલ્યૂ એ કોરોના પોઝિટિવ દર્દીઓમાં વાયરલ લોડ કેટલો એક્ટિવ છે તે દર્શાવે છે. CT વેલ્યૂને 3 ભાગમાં વિભાજીત કરીને જોવામાં આવે છે. જેટલો CT વેલ્યુ ઓછો એટલો કોરોના વાયરસનો વાયરલ લોડ વધુ હોવાનું માનવામાં આવે છે. 15 થી 24 CT વેલ્યૂ ચિંતાજનક માનવામાં આવે છે, જ્યારે 24 થી 40 CT વેલ્યુ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીમાં સામાન્ય વાયરલ લોડ હોવાનું કહેવામાં આવે છે. 40 થી વધુ CT વેલ્યુ હોય તો તે પરિસ્થિતિ સારી માનવામાં આવે છે.

જોકે ICMR ના અભ્યાસ મુજબ, જે કોરોનાના દર્દીઓમાં CT વેલ્યુ 24 થી વધુ હતી, તેમની પણ શારીરિક સ્થિતિ બગડી હોવાનું ધ્યાને આવ્યું છે. તેમજ જે દર્દીમાં CT વેલ્યુ 20 મળી હતી તેઓને ખાસ સમસ્યા થઈ ના હોવાનું પણ ધ્યાને આવ્યું છે. કોરોનાના દર્દીઓ અને સારવાર કરતા તજજ્ઞોને CT વેલ્યુ પર નિર્ભર રહીને દર્દીનો ઈલાજ ન કરવા અથવા સૂચન ના કરવા ICMR દ્વારા જાણકારી આપવામાં આવી છે. CT વેલ્યુ એ દર્દીના લેવામાં આવેલા સેમ્પલ અને લેબોરેટરીમાં ટેસ્ટ સમયે કરાયેલા પરીક્ષણ પર આધાર રાખે છે, જેને લઈને હાલ અનેક સવાલો થઈ રહ્યા છે. CT વેલ્યુ એ RT - PCR ટેસ્ટના રિપોર્ટથી જાણી શકાય છે, હાલ મોટી સંખ્યામાં થઈ રહેલા એન્ટીજન રિપોર્ટથી દર્દીમાં CT વેલ્યુ કેટલી છે તે જાણી શકાતું નથી.

(4:50 pm IST)