Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

PSI શ્વેતા જાડેજાએ જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી

વીસ લાખ રૃપિયાના તોડનો મામલો : ફરિયાદી સામે કાયદેસરની કાર્યવાહી કરી હોવાથી ખોટી રીતે ફસાવવામાં આવી છે : પીએસઆઈ શ્વેતા જાડેજા

અમદાવાદ, તા. ૮ :  બળાત્કાર કેસના આરોપી અને જીએસપી ક્રોપ સાયન્સના એમડી પાસેથી રૂ. ૩૫ લાખનો તોડ કરવા મામલે પકડાયેલ આરોપી મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાએ જામીન મેળવવા માટે અરજી કરી છે. મહિલા પીએસઆઈ દ્વારા કરવામાં આવેલ જામીન અરજી સાથે ફરિયાદી સામે અત્યાર સુધી કરવામાં આવેલ કાર્યવાહી અને ફરિયાદની નકલો રજૂ કરી છે. જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમડી કેનાલ શાહ વિરુદ્ધ ૨૦૧૭માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં કેનાલ શાહ પાસેથી વીસ લાખ રોકડ લેવામાં આવ્યા હતા અને પીએસઆઈ દ્વારા ખરીદવામાં આવેલ મોબાઈલ કેનાલ શાહની કંપનીમાંથી ચુકવવામાં આવ્યો હતો.

             એસઓજી દ્વારા પીએસઆઈ શ્વેતા જાડેજાના ત્રણ દિવસના રિમાન્ડ દરમ્યાન કોઈ મહત્વના પુરાવા મેળવી શકી નહોતી. દરમ્યાનમાં પીએસઆઈ શ્વેતા જાડેજાએ જામીન મેળવવા માટે અરજી કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, નિર્દોષ છે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ફરિયાદીની ફરિયાદ ખોટી છે. ફરિયાદી સામે કાયદેસરની કાર્યવાહી કરી હોવાથી ખોટી રીતે ફસાવવામાં આવી છે. તપાસમાં પુરો સહકાર આપ્યો હોવાથી જામીન આપવા જોઈએ. એસઓજી દ્વારા તપાસ દરમ્યાન ફરિયાદી દ્વારા ખરીદીને પીએસઆઈને મોબાઈલ આપ્યો હતો તે કબજે લેવામાં આવ્યો છે. જો કે, વીસ લાખના તોડ મામલે તપાસનીશ એજન્સી દ્વારા હજુ સુધી કોઈ રોકડ રકમ કબજે લેવામાં આવી નથી. બીજી તરફ શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર વીસ લાખ લઈ ગયા હોય એસઓજી દ્વારા તેમની તપાસ આદરી છે.

 

(10:31 pm IST)