Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કોરોના કહેર વચ્‍ચે સુરતમાં ખાસ કોવિડ કેર સેન્‍ટર તૈયારઃ દર્દીઓને કંટાળો ન આવે અને મનોરંજન મળી રહે તે માટે 8 બેડ વચ્‍ચે ટીવીની વ્‍યવસ્‍થાઃ ઇલેકટ્રીક કીટલી અને બાફ લેવાનું મશીન મુકાયુ

સુરત: સુરતમાં જે રીતે કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તે જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ગંભીર પ્રકારના દર્દીઓને પૂરતો ઓક્સિજન જથ્થો મળી રહે તેવા પ્રયાસ સાથે ટેન્ક ઈન્સ્ટોલ કરાઈ છે. નર્સિંગ ક્વાર્ટસ પાસે ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ટેન્કની ખાસિયત એ છે કે, ઓક્સિજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે કંપનીને તાત્કાલિક મેસેજે મળી જશે. જેથી કંપની દ્વારા ટેન્કમાં ઓક્સિજન રિફીલિંગ કરવામાં આવશે. ડિજીટલ સિસ્ટમ દ્વારા કંપનીને ઓક્સિજન રિફીલિંગનો મેસેજ મળે છે. બે-ત્રણ દિવસમાં ઓક્સિજન ટેન્ક કાર્યરત થઈ જશે. હાલ ચાલી રહેલી કોવિડની મહામરીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં 24 કલાકમાં 241 નવા દર્દી નોંધાયા હતા. તો આ સાથે જ કુલ આંકડો 6209 પર પહોંચ્યો છે.

કોરોના કહેર વચ્ચે સુરતના અલ્થાન વિસ્તારમાં ખાસ કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. ઓક્સિજનની સુવિધા સાથે અદ્યતન ઇકોફ્રેન્ડલી કાર્બોડ 182 બેડની કોવિડ કેર હોસ્પિટલ ખુલ્લી મૂકાઈ છે. હોસ્પિટલમાં ખુલ્લી મુકવા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ હાજર રહ્યા હતા. આ હોસ્પિટલમાં એવી એવી સુવિધાઓ મૂકાઈ છે, જે વિચારમા ન આવે.

દર્દીઓને કંટાળો નહી આવે અને મનોરંજન મળી રહે તે માટે આઠ બેડ વચ્ચે એક ટીવીની વ્યવસ્થા કરાઈ છે.

- ગરમ પાણી પીવા માટે દરેક બેડ પર ઈલેક્ટ્રીક કિટલી અને બાફ લેવાનું મશીન મૂકાયું છે.

- નર્સ કે ડોક્ટરને બોલાવવા માટે દરેક બેડ પર ડિજિટલ બેલ મૂકાયો છે.

- કોરોનાનો દર્દી પરિવાર સાથે વાત કરી શકે તે માટે 18 વોકી ટોકી પણ ઉપલબ્ધ કરાવાયા છે.

- દરેક દર્દીના બેડ પર અલગ-અલગ પંખા પણ મૂકાયા છે.

- ડૉક્ટર અને નર્સ માટે એર કન્ડિશનર રૂમ બનાવાયો છે.

- આ ઉપરાંત 40થી વધુ શૌચાલય અને 4 હીંચકા મુકવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાકમાં કોરોનાના નવા 59 કેસ નોંધાયા છે. કામરેજ તાલુકામાં 25 કેસ, ચોર્યાસી તાલુકામાં 7 કેસ, ઓલપાડ તાલુકામાં 7 કેસ, પલસાણા તાલુકામાં 7 કેસ, બારડોલી તાલુકામાં 8, માંગરોળ તાલુકામાં 3, અને ઉમરપાડા તાલુકામાં 2 કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 862 થઈ છે. તેમજ છેલ્લાં 24 કલાકમાં 2 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. આ સાથે કુલ મૃતકોની સંખ્યા 29 થઈ છે.

(4:37 pm IST)