Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ઇન્દ્રનીલને કોંગીમાં ફરીથી લાવવાનો તખ્તો તૈયાર થયો

ઇન્દ્રનીલ-કોંગ્રેસના સમર્થકોની મંથન બેઠક યોજાઇ : ઇન્દ્રનીલની ઘરવાપસીને લઇ અનેક અટકળો : ભાજપ પણ પોતાની રાજકીય વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત

અમદાવાદ, તા.૮ : ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે ત્યારે ગુજરાતમાં પણ રાજકારણની કશ્મકશ લડાઇ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઇ માત્ર ચાર કલાકમાં જ કેબિનેટ મીનીસ્ટરનું પદ હાંસલ કરી લીધુ, ત્યારબાદ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા વિક્રમ માડમની નારાજગી અને રાજકોટના કોંગ્રેસના મોટા ગજાના નેતા મનાતા  ઇન્દ્રનીલ રાજયગરૂના રાજીનામા આપવાની ઘટનાઓ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ તમામ ઘટનાઓમાં કોંગ્રેસ બેકફુટ પર આવી જતાં હવે લોકસભાની ચૂંટણી પહેલા સ્થિતિ વધુ વણસે તે પહેલાં કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં પડી છે તો, ભાજપ પણ પોતાની રાજકીય વ્યૂહરચના ઘડવામાં વ્યવસ્ત બન્યું છે.   ત્યારે આજે ઇન્દ્રનીલ રાજયગુરૂને હવે કોંગ્રેસપક્ષમાં ફરીથી લાવવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો હોય તેવું ચિત્ર આજે સામે આવ્યું હતું. રાજકોટની એક ખાનગી હોટલમાં આજે ઇન્દ્રનીલ રાજયગુરૂ, તેમના સમર્થકો, સમાજના લોકો અને કોંગ્રેસમાં માનનારા લોકોની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં મુખ્ય મુદ્દો ઇન્દ્રનીલ રાજયગુરૂની ઘરવાપસીનો હતો. ઇન્દ્રનીલના હિતેચ્છુ અને સમાજના લોકોએ એક સૂરે પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો હતો કે, ઇન્દ્રનીલે કોંગ્રેસમાં ફરી પરત જઇને જાહેરજીવનમાં સક્રિય બનવું પડશે. તો જ સમાજ અને જાહેરજનતાના કાર્યો અસરકારકતાથી થઇ શકશે. એટલું જ નહી, સાથે સાથે કોંગ્રેસ પક્ષ અને સ્થાનિક સંગઠનનું માળખું પણ એટલું જ મજબૂત બનશે. બેઠકમાં હાજર મહાનુભાવો અને આગેવાનો દ્વારા ઇન્દ્રનીલ રાજયગુરૂના કોંગ્રેસમાં ઘરવાપસીને લઇ કલાકો સુધી મનોમંથન ચાલ્યું હતું. સૌકોઇએ પોતાના મત વ્યકત કર્યા હતા અને કેટલાક સૂચનો પણ થયા હતા. બેઠકમાં ભાજચપ છોડી કોંગ્રેસમાં ટેકો આપનાર રાજભા ઝાલાની હાજરી જણાઇ હતી. ઇન્દ્રનીલ રાજયગુરૂ પોતે હાલ વિદેશ પ્રવાસે છે ત્યારે તેમની ગેરહાજરીમાં મળેલી આજની બેઠકે ઘણા મહત્વના સંકેત આપી દીધા હતા.

(9:14 pm IST)