Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

આણંદના ખેડૂતોએ શરૂ કરેલી સૌર ઉર્જા મંડળીના કારણે ખેતી સિવાયની પણ આવક

આણંદ :ઉનાળાના ધોમધખતા તાપમાં ગુજરાતનો કોઇ ખેડૂત હસતો હસતો દેખાયો તો સમજી જવાનું કે તેના ખેતરમાં સોલાર સિસ્ટમ લગાવી છે. વાત કોઇ નવી કે રોકેટ સાયન્સ જેવી નથી, પણ આજના ખેડૂતો ભવિષ્યનું વિચારતા થયા છે અને ટેકનોલોજીનો ભરપૂર ફાયદો ઉઠાવતા થયા છે. સમજદાર ખેડૂતો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોતાની આવકમાં વધારો કરી રહ્યાં છે. જેનું મોટું ઉદાહરણ છે ગુજરાતના આણંદના ખેડૂતો.

ભારતમાં પ્રથમ કહી શકાય તેવી મુજકુવા સૌર ઉર્જા મંડળી 11 ખેડૂતો સાથે મળીને બનાવી હતી. જેનુ વડાપ્રધાનના હસ્તે આઠ મહિના પહેલા ઉદઘાટન કરાયું હતું. આજે 11 ખેડૂતો તેના પ્રતાપે મીઠા ફળ મેળવી રહ્યાં છે. ટૂંકા ગાળામાં એક એક ખેડૂત 40 હજાર જેટલી રકમ ખેતી સિવાયની આવક સૌર ઉર્જાથી મેળવી રહ્યાં છે તેવું મુજકુવા સૌર ઉર્જા મંડળીના સેક્રેટરી લાભુભાઈ પટેલનું કહેવું છે.

ખેડૂત નરેશભાઈ પઢિયાર કહે છે કે, ખેડૂતોને વર્ષ દરમિયાન ફ્રીમાં પાણી મળી રહે છે. સાથે સાથે જે વીજળીની બચત થાય છે તેમાંથી આવક પણ મળે છે. ખેડૂતોએ જણાવ્યા અનુસાર, પદ્ધતિથી મજૂરી પણ ઓછી લાગે છે અને રાત ઉજાગરા પણ નથી થતા.

મુજકુવાના પૂર્વ સરપંચ પૂનમભાઈ પઢિયારનું કહેવુ છે કે, મુજકુવા ગામના મોટાભાગના ખેડૂતો વિચારશીલ અને મહેનતુ છે. તેઓએ સૌથી પહેલા પહેલ કરી ભારતની પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ખેડૂત મંડળી બનાવી, તે આજે દેશભરમાં એક ઉત્તમ ઉદાહરણ તરીકે સામે આવી છે.

(6:11 pm IST)