Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

આર.એસ.એસ. દેશભકત અને સમરસતા માટે કામ કરતુ નિઃસ્વાર્થ સંગઠન છેઃ ભરત પંડયા

કોંગ્રેસ ઇટાલીના ચશ્મા ઉતારીને જોવેઃ કોંગ્રેસને સેવા સાથે લેવાદેવા નથી

અમદાવાદ, તા.૮: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આર.એસ.એસ. એ છેવાડાના માનવીનું કલ્યાણ, સામાજીક સમરસતા, દેશને શકિત, સમૃદ્ઘિ અને ગૌરવ અપાવવાના ધ્યેય અને  વસુદૈવ કુંટુંમ્બકમ ની ભાવના સાથે પ્રકૃતિ અને હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત કામ કરતું એક સામાજીક સંગઠન છે. દેશહિત અને લોકહિતને ધ્યાનમાં રાખીને સંદ્ય ૩૯ પરીવારના પ્રકલ્પો સાથે દેશના ૮૨૦થી વધુ જીલ્લામાં ૧,૭૨,૦૦૦થી વધુ સેવાકાર્યો સાથે કામ કરી રહ્યું છે. જો કોંગ્રેસ પોતાના ઈટાલીના ચશ્મા ઉતારશે તો તેને ચોક્કસ દેખાશે કે, આર.એસ.એસ. એ દેશભકિત, જનસેવા, સામાજીક સમરસતા માટે સતત કામ કરતું એક નિસ્વાર્થ સંગઠન છે. કોંગ્રેસ જયાં સુધી ઈટાલીના ચશ્મા નહીં ઉતારે ત્યાં સુધી દેશની સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા, આસ્થા-શ્રદ્ઘા કેન્દ્રો અને માનબિંદુઓ,માનચિત્રો વગેરેની સમજ-ર્દષ્ટિ નહીં આવે તેમશ્રી પંડ્યાએ જણાવ્યું હતું.

શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, અત્યારનું આ કોંગ્રેસનું સેવાદળ એ આઝાદી સમયનું સેવાદળ નથી. તેણે માત્ર ગાંધી પરીવાર આવે ત્યારે માત્ર સલામી આપવાનું કામ કર્યું છે. કોંગ્રેસને સેવા સાથે કોઈ જ લેવા દેવા નથી. સૂર્યોદય અને સૂર્યાસ્ત કોને કહેવાય તેમાં કોંગ્રેસને જ ખબર પડતી નથી. ભુતકાળમાં કોંગ્રેસના ૨૧ રાજયો હતાં અને હવે માત્ર ૪ બાકી રહ્યાં છે. સંસદમાં ૪૦૧ સભ્યો હતાં અત્યારે ૪૪ બાકી રહ્યાં છે. શું આને સૂર્યાસ્ત તરફ જતી કોંગ્રેસ ગણી શકાય કે કેમ ? જયારે ભાજપ જનતાના આશીર્વાદ-જનસમર્થન-જનમતથી ૨૧ રાજયોમાં સેવા-સુત્રો સંભાળી રહી છે. ૨૭૨ ભાજપના સંસદ છે. ૧૧ કરોડ પ્રાથમિક સભ્યો છે. દેશના લગભગ ૬૮.૨૫ ટકા ભુભાગ પર સત્ત્।ામાં છે. જયારે કોંગ્રેસ માત્ર ૭.૫૪ ભુભાગ પર રહી છે. ત્યારે કોંગ્રેસ કયાં મોઢે સૂર્યોદયની વાત કરે છે.

શ્રી પંડ્યાએ જણાવ્યું હતું, નર્મદા ડેમનું કામ શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે જ પૂર્ણ કર્યું. ૧૮ ટકા વ્યાજે મળતી લોન, '૦' (શુન્ય) ટકે ભાજપે નિર્ણય કર્યો છે. આઝાદી પછી પહેલીવાર ૪૦૦૦ કરોડથી પણ વધારે મગફળી, કપાસ,ઘઉં, રાયડો જેવા અન્ય ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં આ દેશનું સૌથી મોટું અને લાંબુ જળસંગ્રહ અભિયાન ખેડૂતો માટે અમારી સરકારે ચલાવ્યું છે. કોંગ્રેસની શાકભાજી, દૂધ ઢોળી દેવાની પ્રવૃતિએ ગુજરાતની સંસ્કૃતિ નથી. આ આંગણવાડીમાં બાળકોને દૂધ, શાકભાજી આપી હોત તો વધુ સારૃં હતું. કોંગ્રેસની પ્રકૃતિ-પ્રવૃતિ હંમેશા ઢોળી દેવાની, તોડફોડ, અફવા, અપપ્રચાર અને અરાજકતા ફેલાવવાની રહી છે. તે ગુજરાતની જનતા કયારેય સાંખી લેશે નહીં.

(3:34 pm IST)