Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા આયોજનઃ ફેસબુક પેઇજ ઉપર લાઇવ પ્રસારણ

તબીબોના જ્ઞાનની વૃધ્ધિ માટે રવિ-સોમ ખાસ લોક દરબાર

કાલે રાત્રે ૮:૩૦ વાગે મ્યુકર માઇકોસીસ વિશે અમદાવાદના ડો. અતુલ પટેલ અને સોમવારે રાત્રે ૯:૩૦ કોરોના સારવારમાં ટોસીલીઝુમેબ સહિતની ગંભીર મેડીસીનના યોગ્ય ઉપયોગ અંગે અમદાવાદના ડો. સપન પંડયા તબીબોને માર્ગદર્શન આપશે : દેશ-વિદેશના તબીબો મ્યુકર માઈક્રોસીસ વિશે જાણે-સમજે અને તેના દ્વારા દર્દીને યોગ્ય સારવાર મળી શકે એવો ઉમદા હેતુ : રાજકોટ સહિત જિલ્લાની તમામ આઈ.એમ.એ. બ્રાન્ચના તબીબો લોક દરબારમાં જોડાશે.

રાજકોટ તા. ૮: કોરોના મહામારીના કારણે લોકોમાં ડરનો માહોલ છે ત્યારે કોરોનામાંથી સાજા તો થઈ જાય છે પણ કોરોનાના કારણે આજ કાલ મ્યુકર માઈક્રોસીસ નામની બિમારીના દર્દી બહુ વધ્યા હોવાનું બહાર આવતા તબીબો સહિત સમગ્ર સમાજ માટે આ ચિંતાનો વિષય છે, આવા સમયે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી તબીબો આ રોગ વિશે સંપૂર્ણ જાણે અને દર્દનું બને એટલું વહેલું નિદાન કરી તેની યોગ્ય અને ઝડપી સારવાર કરી કે કરાવી શકે એ માટે તબીબો માટે આવતીકાલ તા. ૯ ને રવિવારે રાત્રે ખાસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે કોરોના અને તેના કારણે થતાં વિવિધ અન્ય રોગની સારવારમાં  વિવિધ મેડિસિનના ઉપયોગ અંગે પણ તબીબો જાગૃત બને એ માટે પણ તા. ૧૦ને સોમવારે રાત્રે એક ખાસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડૉ. પ્રફુલ કમાણી તથા સેક્રેટરી ડૉ. દુષ્યંત ગોંડલીયાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. લોક દરબારમાં ખાસ તબીબો માટે વિશેષ માહિતી-માર્ગદર્શન આપવામાં આવશે. ફેસબુક પેઈજ પર લાઈવ યોજાનારા આ લોક દરબારમાં રાજકોટ જિલ્લાની ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની તમામ શાખાના તબીબો જોડાશે.

અમદાવાદના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાસ ઈન્ફેકશન ડિસિઝના નિષ્ણાત ડો. અતુલ પટેલ છેલ્લાં ૩૨ વર્ષથી ગુજરાતમાં તેમની સેવા આપે છે. તેઓ ગુજરાત રાજયની કોરોના કોર કમીટીના સિનિયર સભ્ય છે. તેમની આગેવાનીમાં આવતીકાલે તા. ૯ને રવિવારે રાત્રે ૮-૩૦ કલાકે મ્યુકર માઈકોસીસી વિશે તબીબો માર્ગદર્શન આપવામાં આવશે. કોરોના મહામારી સામે આજે તબીબો અને લોકો લડી રહ્યા છે અને અનેક લોકો સાજા પણ થઈ રહ્યા છે આવા સમયે કોરોનાના કારણે મ્યુકર માઈક્રોસીસ નામની ફુગ જન્ય બિમારીના કેસ બહુ વધ્યા હોવાનું સામે આવ્યું છે. આ બિમારી ડાયાબીટીસ જેવી બિમારી ધરાવતા કોરોનાના દર્દમાં વધુ જોવા મળી છે. કોરોનાની સારવારમાં વપરાતા સ્ટીરોઈડ ના કારણે પણ શકય છે કે આ બિમારી વધુ પ્રસરી હોય. આ બિમારીમાં વહેલુ નિદાન અને ઝડપી સારવાર બહુ જરૂરી છે, જેટલાં વહેલાં નિદાન કરી યોગ્ય સારવાર કરવામાં આવે તો દર્દીને ખૂબ રાહત થતી હોય છે. આ બિમારી વિશે, તેના લક્ષણો વિશે તબીબો સંપૂર્ણ માહિતગાર બને અને તેમની પાસે આવતા મ્યુકર માઈક્રોસીસના દર્દીનું ઝડપી નિદાન કરાવી તેને યોગ્ય તબીબ પાસે મોકલી ઝડપી સારવાર ઉપલબ્ધ બનાવી શકે એ માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા તા. ૯ને રવિવારે રાત્રે ૮.૩૦ કલાકે તબીબો માટેના ખાસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાસ અમદાવાદના ડૉ. અતુલ પટેલની આગેવાનીમાં તબીબોની ટીમ માર્ગદર્શન આપશે. રાજકોટ અને આસપાસના નાના સેન્ટરોના તબીબો આ રોગના લક્ષણો વિશે સંપૂર્ણ જાણકાર હશે તો તેમની પાસે આવતા કોરોનામાંથી સાજા થયેલાં દર્દીમાં જો આવા કોઈ લક્ષણ દેખાશે તો તેનું ઝડપથી નિદાન કરી શકશે.

 ગુજરાત રાજ્ય કોરોના કોર કમીટીના સભ્ય અને ઈન્ફેકશન ડિસિઝના જાણીતા તબીબ અમદાવાદના ડો. અતુલ પટેલની આગેવાની હેડળ રાજકોટના ડો. સંજય ભટ્ટ, ડો. સંકલ્પ વણઝારા, ડો. દિગ્વીજયસિંહ જાડેજા, ડો. આકાશ દોશી, ડો. નિલેશ દેત્રોજા, ડો. ભરત કાકડીયા, ડો. યશ પંડયા, ડો. કાંત જોગાણી, ડો. બફુલ વ્યાસ, ડો. દુષ્યંત ગોંડલીયા, ડો.  આઝાદ ગુમા દ્વારા મ્યુકર માઈક્રોસીસ રોગ, નિદાન-સારવાર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.

અમદાવાદના ડો. સપન પંડ્યા છેલ્લાં ૩૦ વર્ષથી રૂમેટોલોજીસ્ટ અને ઓટો ઈમ્યુન ડિસિઝના નિષ્ણાત તબીબ છે. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના પ્રથમ રૂમેટોલોજીસ્ટ છે. તેમના દ્વારા કોરોના સારવારમાં ટોસીલીઝુમેબ સહિત ગંભીર પ્રકારની મેડિસીનના ઉપયોગ વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

આ ઉપરાંત કોરોના સારવાર માં નવી મેડિસીન, સ્ટીરોઈડ વગેરેનો ઉપયોગ થાય છે. આ બધી મેડિસીનનો ક્યારે, કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો એ વિષય પર તા. ૧૦ ને સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યે તબીબો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના ફેસબુક પેઈઝ IMA RAJKOT પરથી કોરોના દર્દીની સારવાર માટે ઉપયોગી ટોસીલીઝુમેબ, સ્ટીરોઈડ સહિતની અન્ય તમામ મેડિસીનના ઉપયોગ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કઈ મેડિસીનનો કેટલો ડોઝ આપવો, ક્યારે આપવો, ઓછી સાઈડ ઈફેકટ સાથે મેડિસીનનો યોગ્ય ઉપયોગ કરવો વગેરે મુદા પર નિષ્ણાત તબીબો માર્ગદર્શન આપશે. આ લાઈવ લોક દરબારમાં જાણીતા તબીબો ડો.સપન પંડ્યા, ડો. શબ્બીર ચિકાણી, ડો. પુજા શ્રીવાત્સવ, ડો. જયેશ ડોબરીયા અને ડો. મયંક ઠક્કર દ્વારા કોરોનાની સારવારમાં મેડિસીન મેનેજમેન્ટ વિશે જાણકારી આપવામાં આવશે.

તબીબો માટેના આ બન્ને લોક દરબારના સંયોજક ડો. ચેતન લાલસેતા અને ડો.પારસ શાહે જણાવ્યું છે કે,  રવિ-સોમ એમ બે દિવસના લોક દરબારમાં  કોરોના અને કોરોનાના કારણે થતી અન્ય બિમારી વિશે તબીબો વધુ જાણકાર હશે તો જ લોકોને યોગ્ય નિદાન-સારવાર કરી શકશે. પહેલાં આ બન્ને લોક દરબાર તબીબોના જ્ઞાન-અનુભવ એક-બીજા સાથે શેર કરી શકે અને જે તે વિષયના નિષ્ણાત તબીબો દ્વારા બધાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના આ લાઈવ લોક દરબારમાં રાજકોટ જિલ્લાની આઈ.એમ.એ.ની તમામ બ્રાન્ચના તબીબો જોડાશે. આ લોક દરબારમાં મોરબી આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડો. વિજય ગઢીયા, ગોંડલ બ્રાન્ચના પ્રેસીડન્ટ ડો. દિપક વાડોદરીયા, વાંકાનેર બ્રાન્ચના પ્રેેસીડન્ટ ડો. રમેશ પ્રજાપતી, જસદણ બ્રાન્ચના પ્રેસીડન્ટ ડો. વિજય સરધારા, ધોરાજી બ્રાન્ચના પ્રેેસીડન્ટ ડો. દિપલ સુતરીયા, જેતપુર બ્રાન્ચના પ્રેેસીડન્ટ ડો. દિપક રામાણી અને ઉપલેટા બ્રાન્ચના પ્રેસીડન્ટ ડો. ધવલ મહેતાની આગેવાનીમાં જે તે બ્રાન્ચના તબીબો જોડાશે.

ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડો. પ્રફુલ કમાણી, સેક્રેટરી જાણીતા રેડિયોલોજીસ્ટ ડો. દુષ્યંત ગોંડલીયા, પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, ગુજરાત આઈ.એમ.એ.ના ઉપપ્રમુખ ડો.રશ્મી ઉપાધ્યાય, આઈમ.પી.પી. ડો. જય ધીરવાણી, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. સંજય ભટ્ટ, પૂર્વ પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ડો. પારસ ડી. શાહ, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. તેજસ કરમટા, ડો. મયંક ઠક્કર, ડો. જયેશ ડોબરીયા, ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. હિરેન કોઠારી, ડો. અમીત હપાણી, ડો. એમ. કે. કોરવાડિયા, ડો. ભાવિન કોઠારી, આઈ.એમ.એ.-રાજકોટના ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. કીર્તિભાઈ પટેલ, ડો. કાંત જોગાણી, પૂર્વ પ્રમૂખ ડો. દિપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે, ડો. નિતીન લાલ, ડો.વિપુલ અઘેરા, ડો. કમલેશ કાલરીયા સહિત તબીબોની ટીમ લોક દરબાર માટે સતત કાર્યરત છે. આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડનિટર તરીકે  વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપી રહયાનું યાદીના અંતમાં જણાવ્યું છે.

(4:16 pm IST)