Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

આજે થેલેસેમિયા દિવસ

થેલેસેમિયાગ્રસ્ત કિંજલબેન સફળ લગ્ન જીવન બાગમાં ફુલ મહેકયુ : સ્વસ્થ બાળકીને જન્મ

અમદાવાદઃ ૮: થેલેસેમિયા ડે . ૯ મે-મધર્સ ડે. આ બે દિવસો વારાફરતી આવે છે, પણ તેને જોડતી એક કડી એટલે કિંજલબહેન.  કિંજલબહેન થેલેસેમિયાગ્રસ્ત છે. તે જાણતા હતા તેમની ખોળાના ખુંદનારની ઝંખના જીવનું જોખમ ઉભી કરી શકે તેમ છે. છતાં તેમણે આ જોખમ ઉઠાવ્યું. અને તેમને વિશ્વની કોઈ પણ સ્ત્રી માટેનું પરમ સુખ ગણાતું એવું માતૃત્વનું સુખ મેળવ્યું.

પોતાનો જીવ જોખમ છે તેવું જાણતી હોવા છતાં પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂકીને પણ એક નવા જીવને જન્મ આપે તેનું નામ જ માં... સમગ્ર દુનિયા શનિવારે તા. ૮ મે, ૨૦૨૧ ના દિવસે વર્લ્ડ થેલેસેમિયા ડૅ ઉજવી રહી છે અને ૯ મે, ૨૦૨૧ ના દિવસે મધર્સ ડૅ ઉજવશે ત્યારે આ બંને વૈશ્વિક દિનના મહિમાને ઉજાગર કરે તેવો ગુજરાતની એક એવી મહિલાનો કિસ્સો સામે આવ્યો છે.

કિંજલબહેન ગુજરાતની પ્રથમ સંભવિત એવી થેલેસેમિયાગ્રસ્ત બહેન છે કે જેમને આ જન્મજાત વ્યાધિ હોવા છતાં વિધાતા સામે હામ ભીડી અને પોતાની જીવલેણ પરિસ્થિતિ જાણતા હોવા છતાં ગર્ભધારણ કર્યો. અને સ્વસ્થ બાળકીને જન્મ આપીને જ રહ્યાં. આજે માતા અને પુત્રી બંને અત્યંત સ્વસ્થ જીવન જીવે છે. કિંજલબહેનનું વ્યકિતત્વ આ બંને દિવસના સંદર્ભમાં અનેક માટે પ્રેરણાનું પ્રતીક બન્યું છે અને આગળ પણ બનતુ રહેશે.   

કિંજલબહેન જન્મથી જ થેલેસેમિયાગ્રસ્ત હતા. તેથી તેમના લગ્નમાં ઘણી અડચણો આવી. સદભાગ્યે તેમને નવિનભાઈ જેવો સમજદાર જીવનસાથી મળ્યો. મુલાકાત બાદ કિંજલબહેને   નવિનભાઈને બિમારી વિશે સત્ય જણાવ્યું પણ નવિનભાઈનો કિંજલબહેન સાથે જ લગ્ન કરવાનો અને હંમેશા કિંજલબહેનના જ થઇને રહેવાનો નિર્ણય અફર રહ્યો. પાંચ વર્ષ સુધી બંનેએ પોતપોતાના પરિવારને મનાવ્યા અને ૨૦૧૭માં બંનેએ ધામધૂમથી લગ્ન કર્યાં.

થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેને દવાઓ લઇને માતૃત્વ માટે શરીર તૈયાર કર્યું

લગ્ન બાદ પતિ નવિનભાઈએ કિંજલબહેનના જીવને બચાવવા માટે બાળક દત્તક લેવાની તૈયારી દર્શાવી, પણ આ વાત કિંજલબહેનને મંજૂર નહોતી. તેમને પોતાના સંતાનને જન્મ આપવો હતો. આખરે કિંજલબહેનની સમજાવટ બાદ નવિનભાઈ તૈયાર થયા.

આ ઘટના એટલા માટે મહત્વની છે કારણકે થેલેસેમિયાના કોઇ પણ દર્દીના શરીરમાં હંમેશા લોહીની ઉણપ રહે છે, તેથી તેમને દર થોડા દિવસના અંતરે કોઇ ને કોઇ દાતાનું લોહી ચડાવવું પડતું હોય છે. આવી કઠિન પરિસ્થિતિમાં પણ કિંજલબહેને ગર્ભધારણ કરી માતૃત્વશકિતની ભાવનાને ચાર ચાંદ લગાવ્યાં. એટલું જ નહીં પોતાના અડગ મનોબળ સાથે સ્વસ્થ બાળકી નવ્યાને પણ જન્મ આપ્યો.

એક સંતાનને ઉછેરવામાં એક માતાને જે તકલીફ પડે તે બધી જ તકલીફો કિંજલબહેનને પણ પડી, પણ અહીં વાત અલગ છે કેમકે કિંજલબહેનને થેલેસેમિયા જેવી ગંભીર સમસ્યા પણ હતી. સતત દવાઓ અને સમયાંતરે લોહી ચડાવવા માટે જેવા પડકારોનો સામનો કરીને કિંજલબહેને પોતાની દિકરીને જન્મ આપ્યો. ઘણી વખત તો એવું થતું કે કિંજલબહેન લોહી મેળવવા માટે પોતાની નાની નવ્યાને જોડે લઇને હોસ્પિટલ જતાં જ્યાં એક તરફ કિંજલબહેનને લોહી ચડતું હોય અને બીજી તરફ કિંજલબહેન નવ્યાને જોડેજોડે પેટ ભરાવીને માતા તરીકેની ફરજ પણ સમાંતરે  નિભાવતા!

કોરોનાની મહામારીમાં પણ સરકારની મદદથી કિંજલબહેનને લોહી ચડાવવાની સુવિધા મળી રહી, જેનાથી આ મહામારીના સમયમાં પણ કિંજલબહેનને બહુ તકલીફ ન પડી. આ બધી મુશ્કેલી કિંજલબહેને પાર કરી અને હવે તેમાંથી બહાર પણ આવી ગયા છે. હવે નવ્યા બે વર્ષની થઈ ગઈ છે અને સંપૂર્ણ સ્વસ્થ છે.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની થેલેસેમિયા કમિટિના ચેરમેન અને થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અનિલ ખત્રી કહે  છે કે, કોરોના મહામારીની શરૂઆતથી જ ગુજરાતમાં થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓની તકલીફો શરૂ થઈ ગઈ હતી પણ ખાસ કરીને અમદાવાદમાં આ દર્દીઓ માટે ખુબ જ સુંદર આયોજન કરાયુ હતું. થેલેસેમિયાના દર્દીઓ માટે સૌથી મહત્વનું લોહી હોય છે. ગુજરાત સરકારની મદદથી ખુબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે.

થેલેસેમિયાના દર્દીઓનો જીવ જોખમમાં ન મુકાય તે માટે શરૂઆતથી જ સરકારે ખુબ મોટી મદદ કરી. એક સુંદર વ્યવસ્થા એવી ગોઠવાઇ જેમાં સરકારે આખા ગુજરાતમાં દરેક સિવિલ હોસ્પિટલથી થેલેસેમિયાની દવા લઇને રેડક્રોસની બ્રાન્ચ ઉપર મૂકી અને એ રીતે થેલેસેમિયાના દર્દી બાળકોને વિના વિઘ્ને અને કોવિડ ઝોનમાં ગયા વગર જ જીવનજરૂરી દવા ઉપલબ્ધ થઈ અને સિવિલના ડોકટર્સ ઉપરનો બોજ પણ ઓછો  થયો છે.

 સંકલન : અમિતસિંહ ચૌહાણ

(3:20 pm IST)