Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

આંશિક લોકડાઉન વૈજ્ઞાનિક અભિગમ વગરનું અને બિન અસરકારક : તાકીદે હટાવો

ઘરમાં રહેવાથી જ સંક્રમણ વધે છે : હાઇકોર્ટમાં થઇ રસપ્રદ પિટિશન : બહાર જઇ આવનાર વ્યકિત હાથ ધોવે છેઃ કપડા પલાળે છે : ઘરમાં રહેનાર આવું કરતો નથી

અમદાવાદ,તા.૮: રાજયમાં સંક્રમણની સાંકળ તોડવા માટે લાગુ કરવામાં આવેલું આંશિક લોકડાઉન કોઈપણ જાતના વૈજ્ઞાનિક અભિગમ વગરનું અને બિનઅસરકારક હોવાથી તાત્કાલિક તેને હટાવી લેવું જોઈએ તેવી માગણી કરતી પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં ફાઈલ કરવામાં આવી છે. આ પિટિશનમાં તેવી પણ આશ્ચર્યજનક વાત રજૂ કરવામાં આવી છે કે, બહાર ફરવા કરતાં ઘરમાં રહેવાથી સંક્રમણનું જોખમ વધે છે અને તેથી જ બીજી લહેરમાં મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગના લોકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે.

સામાજિક કાર્યકરો વિશ્વાસ ભાંમ્બુરકર અને સ્નેહ ભાવસાર દ્વારા પાર્ટી ઈન પર્સન તરીકે કરવામાં આવેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે, કોરોનાના વધતા કેસોને જોતા લોકડાઉન બિનઅસરકારક છે. સરકાર દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવે છે તે ખોટા હોઈ શકે છે અને પોતાન સાનુકૂળ આદેશો મેળવવા માટે રજૂ કર્યા હોઈ શકે છે.

ગુજરાત અને અન્ય રાજયોમાં કોરોનાના કેસોના આંકડા, સંશોધનો અને તેના આધારે છપાયેલા સમાચારોને આધાર તરીકે લઈને પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે, બહાર ફરવાના બદલે દ્યરમાં બેસી રહેવાથી કોરોનાનું સંક્રમણ થવાનો વધારે ભય છે. તેની પાછળનું કારણ એ છે કે, બહાર જઈને આવનાર વ્યકિત પોતાના હાથ ધોવે છે અને કપડા પલાળે છે પરંતુ ઘરમાં રહીને આમ કરવામાં આવતું નથી. લોકડાઉન દરમિયાન મધ્યમવર્ગ કે ઉચ્ચ મધ્યમવર્ગ દ્વારા એકબીજાને હળવા મળવાની અને સંપર્કની પ્રક્રિયા ચાલુ રહેતી હોવાથી તેનો હેતુ સર થતો નથી. રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયંત્રણોની નીતિ વૈજ્ઞાનિક અભિગમ કે આંકડાકીય માહિતીનો આધાર ધરાવતી નથી. આવા નિર્ણયોના કારણે સમસ્યાનું સમાધાન થવાના બદલે વધુ વકરે છે. વાયરસની પોતાની એક ખાસિયત છે અને તે સરકારી કે કોર્ટના આધારે વર્તન કરતો નથી.

'તેણે લોકોને ખુલ્લા વાતાવરણમાં મળવા દેવા જોઈએ, હવાનું પુનઃવહન થાય તે માટે જાહેર અને ખાનગી જગ્યાઓએ એરકંડિશનિંગ ઘટાડવું જોઈએ તેમજ લોકોને કુદરતી હવા મળી રહે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. ખુલ્લા વિસ્તારોમાં ફેરિયાને વેપાર કરવાની મંજૂરી આપવી જોઈએ. કોરોનાગ્રસ્ત લોકોને તબીબી સુવિધા, બેડ, ઓકિસજન, દવાઓ તેમજ ઈન્જેકશન મળી રહેવા જોઈએ', તેમ પિટિશનમાં કહેવાયું છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનો શરુ થયો ત્યારથી ગુજરાતમાં નિયમિત સરેરાશ કોરોના વાયરસના ૧૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે સરકારે મિનિ લોકડાઉનની જાહેરાત કરી છે. આ સિવાય રાતના ૮થી સવારના ૬ વાગ્યા સુધીનું રાત્રિ કર્ફયુ પણ છે.

(9:59 am IST)