Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

યુવકને લાફો મારી દેવાની બાબતમાં જૂથ અથડામણ

બે પાન પાર્લરના જૂથ વચ્ચેની અદાવતમાં બબાલ : ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પોલીસની બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી ઉંડી તપાસ

અમદાવાદ,તા. ૮ :  અમદાવાદ શહેરના છેવાડે ગોતાથી નજીક આવેલા જગતપુર ગામ પાસે ગઇકાલે બે પાન પાર્લરના જૂથ વચ્ચે મારામારી અને તોડફોડની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયુ હતુ અને આ ઘટનામાં બેથી વધુ વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એક જ્ઞાતિના યુવાનને લાફો મારવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ચાંદખેડા બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જગતપુર ગામ નજીક આવેલા ક્રિષ્ના હાઈટ્સમાં આવેલા એચટુઓ નામનું પાર્લર ધરાવતા માલિક અને ફાટક નજીક જય માતાજી નામનું પાર્લર ધરાવતા જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જગતપુર ગામના એક યુવાનને કોઈએ લાફો મારતા ગામના લોકોએ એચટુઓ પાર્લર પર જઈ માલિકને ઠપકો આપ્યો હતો કે, ગામના કોઈ છોકરાને મારવો નહીં. જેની અદાવત રાખી એચટુઓ પાન પાર્લરના માલિક અને તેના ૧૦થી૧૨ મળતીયાઓએ જય માતાજી પાન પાર્લર પર જઈ તોડફોડ કરી હતી. બીજી તરફ સામા જૂથના માણસો પણ એચટુઓ પાન પાર્લર પર આવ્યા હતા અને હથિયારો વડે સીસીટીવી અને નાસ્તાનું કાઉન્ટર સહિત વસ્તુઓમાં તોડફોડ કરી હતી. બંનેની જૂથ વચ્ચે થયેલી મારામારીમાં હરેશ ઠાકોર તથા અન્ય ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(8:51 pm IST)